T20 World Cup 2026 / 'અમે કંઈ નથી...', ભારત સામેની મેચનો બહિષ્કાર કરવા અંગે પાકિસ્તાની કેપ્ટને આપ્યું મોટું નિવેદન

ICC T20 વર્લ્ડ કપ 2026માં ભારત સામે ન રમવાના પાકિસ્તાન સરકારના નિર્ણય પર પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગાએ પોતાનું મૌન તોડ્યું છે. ઓસ્ટ્રેલિયા સામેની T20I સિરીઝની ત્રીજી અને છેલ્લી મેચમાં 111 રનની મોટી જીત બાદ સલમાન આગાએ સ્પષ્ટપણે કહ્યું કે આ નિર્ણયમાં ટીમનો કોઈ રોલ નથી.
IND vs PAK મેચ સંકટમાં
1 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાન સરકારે સ્પષ્ટ કર્યું કે ટીમને T20 વર્લ્ડ કપમાં ભાગ લેવાની પરવાનગી આપવામાં આવી છે, પરંતુ ટીમ 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં યોજાનારી ભારત-પાકિસ્તાન મેચ નહીં રમે. આ નિર્ણયથી ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો. મેચ પછી મીડિયા સાથે વાત કરતા પાકિસ્તાનના કેપ્ટન સલમાન આગાએ કહ્યું, "અમે વર્લ્ડ કપ રમવા જઈ રહ્યા છીએ. આ અમારો નિર્ણય નથી, અમે કંઈ નથી કરી શકતા. અમારી સરકાર અને PCB ચેરમેન જે કંઈ કહે તે અમારે સ્વીકારવું પડશે. ભારત સામે ન રમવાનો નિર્ણય અમારો નથી."
પાકિસ્તાન સરકારનો નિર્ણય
અગાઉ PCBના અધ્યક્ષ અને પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસીન નકવીએ સંકેત આપ્યો હતો કે વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ભાગીદારી અંગેનો અંતિમ નિર્ણય 30 જાન્યુઆરી અથવા 2 ફેબ્રુઆરી સુધીમાં આવી શકે છે. 30 જાન્યુઆરીએ કોઈ સત્તાવાર જાહેરાત ન થયા પછી, 2 ફેબ્રુઆરીએ સ્પષ્ટતા થવાની અપેક્ષા હતી. જોકે, અચાનક આ ઘટનાક્રમમાં વેગ આવ્યો. 1 ફેબ્રુઆરીની સાંજે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને મોહસીન નકવી વચ્ચે એક મીટીંગ થઈ, જેના પછી સત્તાવાર નિર્ણયની જાહેરાત કરવામાં આવી.
સરકારની મંજૂરી મળ્યા પછી તરત જ પાકિસ્તાને T20 વર્લ્ડ કપ 2026 માટે તેની સત્તાવાર જર્સી પણ લોન્ચ કરી. પાકિસ્તાનને ભારત, નામિબિયા, નેધરલેન્ડ અને USA સાથે ગ્રુપ Aમાં મૂકવામાં આવ્યું છે.
પાકિસ્તાનનું આ પગલું રમતની ભાવના વિરુદ્ધ
ટુર્નામેન્ટ શરૂ થવામાં હવે એક અઠવાડિયાથી પણ ઓછો સમય બાકી હોવાથી, ICCએ પણ ભારત-પાકિસ્તાન મેચ અંગેના નિર્ણય વિશે એક મહત્ત્વપૂર્ણ નિવેદન પણ જારી કર્યું છે. ICCએ કહ્યું કે તે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) તરફથી સત્તાવાર અને લેખિત માહિતીની રાહ જોઈ રહ્યું છે, પરંતુ આવો નિર્ણય વૈશ્વિક રમતગમતની મૂળભૂત ભાવનાની વિરુદ્ધ છે.

