Ind vs pak: ભારત વિરુદ્ધ T20 વર્લ્ડ કપનો મુકાબલો નહીં રમે પાકિસ્તાન, શાહબાઝ સરકારનો મોટો નિર્ણય

ભારતમાં યોજાનારા ICC T20 વર્લ્ડકપ 2026ને લઈને પાકિસ્તાને નવું નાટક શરૂ કરી દીધું છે. હંમેશા ભારતનો વિરોધ કરતી પાકિસ્તાન સરકારે તેમની ક્રિકેટ ટીમને ભારતમાં યોજાનારા વર્લ્ડકપમાં ભાગ લેવા માટે સત્તાવાર મંજૂરી આપી છે, પરંતુ આ સાથે એક એવી શરત મૂકી છે, જેનાથી ક્રિકેટ જગતમાં હોબાળો મચી ગયો છે.
પાકિસ્તાન ટુર્નામેન્ટમાં રમશે, પણ ભારત સામે નહીં રમે
પાકિસ્તાન સરકારના સત્તાવાર એક્સ હેન્ડલ પરથી કરવામાં આવેલી જાહેરાત મુજબ, પાકિસ્તાની ટીમ ટુર્નામેન્ટમાં રમશે પરંતુ 15 ફેબ્રુઆરી 2026ના રોજ ભારત સામે યોજાનારી હાઈ-વોલ્ટેજ મેચમાં ભાગ લેશે નહીં. એટલે કે પાકિસ્તાન ટુર્નામેન્ટમાં ભાગ લેશે, પરંતુ ભારત-પાકિસ્તાન વચ્ચે યોજાનારી મેચો નહીં રમાય.
ભારત સામે રમવાનો સ્પષ્ટ ઈન્કાર
પાકિસ્તાને ટુર્નામેન્ટમાં ભાગ લેવાની તૈયારી બતાવી છે પણ ભારત સામે રમવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. આ સ્થિતિમાં આખા વર્લ્ડકપનું શેડ્યૂલ ખોરવાઈ શકે છે. આ મામલે હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) શું સ્ટેન્ડ લે છે તેના પર સૌની નજર છે, જોકે અત્યાર સુધી BCCI કે ICC તરફથી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
બાંગ્લાદેશ બાદ હવે પાકિસ્તાનનું નવું નાટક
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા જ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે સુરક્ષાના કારણો આગળ ધરીને ભારતમાં રમવાનો ઈન્કાર કર્યો હતો, જેના કારણે તે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું છે અને તેના બદલે સ્કોટલેન્ડને તક આપવામાં આવી છે. ત્યારબાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધ્યક્ષ મોહસિન નક્વીએ વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથે મુલાકાત કરી હતી. પાકિસ્તાન સતત બાંગ્લાદેશના સમર્થનમાં ટુર્નામેન્ટના બહિષ્કારનો ડ્રામા કરી રહ્યું હતું, પરંતુ હવે ટુર્નામેન્ટ શરૂ થવાને ગણતરીના દિવસો બાકી છે ત્યારે આ નવું નાટક શરૂ કરી દીધું છે.

