નીરજ ચોપરા પત્ની સાથે PM નરેન્દ્ર મોદીને મળવા પહોંચ્યો, સ્પોર્ટ્સ સહિત અન્ય મુદ્દાઓ પર કરી વાત

ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ નવા વર્ષ પહેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. પીએમ મોદીએ X પર પોસ્ટ શેર કરીને આ માહિતી આપી. આ મુલાકાત દરમિયાન નીરજ ચોપરાની પત્ની હિમાની મોર પણ તેની સાથે હાજર હતી. પીએમ મોદીએ પોતાની પોસ્ટમાં એમ પણ જણાવ્યું હતું કે તેમણે નીરજ ચોપરા સાથે રમતગમત સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
પીએમ મોદીએ પોતાના ટ્વિટમાં શું લખ્યું?
X પરની પોસ્ટમાં પીએમ મોદીએ લખ્યું, "આજે સવારે હું નીરજ ચોપરા અને તેમની પત્ની હિમાની મોરને 7, લોક કલ્યાણ માર્ગ ખાતે મળ્યો. આ મુલાકાત દરમિયાન અમારી વચ્ચે ઘણા મુદ્દાઓ પર વાતચીત થઈ અને સ્વાભાવિક રીતે અમે રમતગમત વિશે પણ ઘણી ચર્ચા કરી." પીએમ મોદીએ પોતાની પોસ્ટમાં બે ફોટો પણ શેર કર્યા હતા.
નીરજ ચોપરાએ આ વર્ષે લગ્ન કર્યા
તમને જણાવી દઈએ કે નીરજ ચોપરાએ આ વર્ષે ટેનિસ ખેલાડી હિમાની મોર સાથે લગ્ન કર્યા હતા. તેમના લગ્ન સમારોહમાં ફક્ત થોડા નજીકના સંબંધીઓ અને પરિવારના સભ્યો હાજર હતા. ચોપરાએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર લગ્નના ફોટો પોસ્ટ કર્યા ત્યારે લોકોને તેના લગ્ન વિશે ખબર પડી હતી.
ડાયમંડ લીગમાં નીરજ ચોપરાનું પ્રદર્શન
બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા નીરજ ચોપરા માટે 2025નું વર્ષ ઉતાર-ચઢાવવાળું રહ્યું હતું. તેણે દોહામાં યોજાયેલી ડાયમંડ લીગમાં જેવલિન થ્રોમાં 90 મીટરનું અંતર હાંસલ કર્યું હતું. જોકે, આ જ વર્ષે ટોક્યોમાં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની ફાઈનલમાં તે મેડલ નહતો જીતી શક્યો. આ ટુર્નામેન્ટમાં, યુવાન સચિન યાદવે ચોથા સ્થાને રહીને નીરજ ચોપરાને પાછળ છોડી દીધો હતો.
ભારતે 2025માં બે વર્લ્ડ એથ્લેટિક્સ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું. નીરજ ચોપરાએ આમાંથી એકનું આયોજન કર્યું અને જીત મેળવી હતી. ભારતે 2031માં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ સહિત કેટલીક મોટી કોન્ટિનેન્ટલ અને વર્લ્ડ કક્ષાની ટુર્નામેન્ટનું આયોજન કરવામાં પણ રસ દાખવ્યો છે.

