ફ્લાઈટ લેટ થવા પર ભડક્યો મોહમ્મદ સિરાજ, સોશિયલ મીડિયા પર ઠાલવ્યો ગુસ્સો

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બે મેચની ટેસ્ટ સિરીઝની બીજી મેચ ગુહાહાટીના બારસાપરા સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. જેમાં આફ્રિકન ટીમે 408 રનના મોટા માર્જિનથી જીત મેળવીને સિરીઝ 2-0થી પોતાના નામે કરી હતી. મેચ બાદ ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. ગુવાહાટી ટેસ્ટ માટે પ્લેઈંગ ઈલેવનનો ભાગ રહેલો સિરાજ મેચ પછી હૈદરાબાદ પરત ફરવા માંગતો હતો.
તેણે આ માટે એર ઈન્ડિયાની ફ્લાઈટ બુક કરાવી હતી, જે સાંજે 7:25 વાગ્યે રવાના થવાની હતી. જોકે, ફ્લાઈટ વારંવાર લેટ થતી રહી અને ચાર કલાક પછી પણ કોઈ અપડેટ ન મળ્યું. આનાથી સિરાજ ગુસ્સે ભરાયો અને સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો.
ફ્લાઈટ લેટ થવાથી સિરાજને આવ્યો ગુસ્સો
મોહમ્મદ સિરાજે ગુરુવારે પોતાના X એકાઉન્ટ પર પોસ્ટ કર્યું, "ગુવાહાટીથી હૈદરાબાદ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ IX 2884 7:25 વાગ્યે ઉડાન ભરવાની હતી. જોકે, એરલાઈન તરફથી કોઈ માહિતી નથી મળી અને વારંવાર ફોન કરવા છતાં, તેઓએ કોઈ માન્ય કારણ વગર ફ્લાઇટ લેટ કરી છે. આ ખરેખર નિરાશાજનક છે. ફ્લાઈટ ચાર કલાક લ્ર્ત થઈ છે અને અમે હજુ સુધી કોઈ અપડેટ વિના ફસાયેલા છીએ. એરલાઈન સાથેનો સૌથી ખરાબ અનુભવ. હું ખરેખર કોઈને આ ફ્લાઈટમાં મુસાફરી કરવાની ભલામણ નહીં કરું, જો તેઓ કોઈ નક્કર પગલા લેવા તૈયાર ન હોય."
એર ઈન્ડિયાએ સિરાજની પોસ્ટનો જવાબ આપ્યો
ફ્લાઈટ લેટ થવા અંગે મોહમ્મદ સિરાજના આક્રોશ બાદ, એર ઈન્ડિયાએ પણ જવાબ આપ્યો. સિરાજની પોસ્ટનો જવાબ આપતા, એરલાઈને જણાવ્યું કે તેમની ફ્લાઈટ IX 2884, જે ગુવાહાટીથી હૈદરાબાદ જતી હતી, તે ઓપરેશનલ કારણોસર રદ્દ કરવામાં આવી છે.
સિરાજ ODI સિરીઝનો ભાગ નથી
ટેસ્ટ સિરીઝના સમાપ્ત થયા પછી ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 30 નવેમ્બરથી ત્રણ મેચની ODI સિરીઝ રમાશે. જોકે, મોહમ્મદ સિરાજ સાઉથ આફ્રિકા સામેની ODI સિરીઝ માટે ટીમ ઈન્ડિયાનો ભાગ નથી. સિરાજે સાઉથ આફ્રિકા સામેની બે મેચની ટેસ્ટ સિરીઝમાં 29ની એવરેજથી 6 વિકેટ લીધી હતી.

