ODI સિરીઝ વચ્ચે મોહમ્મદ સિરાજને મળી મોટી જવાબદારી, ફાસ્ટ બોલર સંભાળશે આ ટીમની કમાન

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ત્રણ મેચની ODI સિરીઝ માટે ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ ટીમનો ભાગ છે. જ્યારે સિરાજે પ્રથમ 2 મેચમાં કંઈ ખાસ નથી કરી શક્યો, ત્યારે ODI સિરીઝ વચ્ચે તેને ઘરેલુ ક્રિકેટમાં મોટી જવાબદારી સોંપવાની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય ઘરેલુ ક્રિકેટમાં સૌથી મોટી ફર્સ્ટ-ક્લાસ ટુર્નામેન્ટ રણજી ટ્રોફી 2025-26માં કેટલીક ગ્રુપ મેચ બાકી છે અને તે 22 જાન્યુઆરીથી શરૂ થશે. પરિણામે હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશને બાકીની બે મેચ માટે મોહમ્મદ સિરાજને નવા કેપ્ટન તરીકે જાહેર કર્યો છે.
મોહમ્મદ સિરાજ પહેલીવાર આ ટીમની કમાન સંભાળશે
રાહુલ સિંહે 2025-26 રણજી ટ્રોફીની શરૂઆતની ગ્રુપ મેચોમાં હૈદરાબાદનું નેતૃત્વ કર્યું હતું. જોકે, ટીમનું પ્રદર્શન અપેક્ષા મુજબ નહતું, ટીમે 5 મેચમાંથી માત્ર એક જ જીતી અને એકમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે ત્રણ મેચ ડ્રો રહી. પરિણામે હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશને ગ્રુપ સ્ટેજની બાકીની બે મેચ માટે અનુભવી મોહમ્મદ સિરાજને કેપ્ટન તરીકે નિયુક્ત કરવાનો નિર્ણય લીધો છે. સિરાજ રણજી ટ્રોફીમાં પહેલીવાર કેપ્ટન તરીકે રમશે, 22 જાન્યુઆરીએ મુંબઈ સામે ગ્રુપ D મેચથી પોતાની જવાબદારી સંભાળશે. આ પછી હૈદરાબાદ છેલ્લી ગ્રુપ સ્ટેજ મેચ 29 જાન્યુઆરીએ છત્તીસગઢ સામે રમશે. અગાઉ કેપ્ટનશીપ સંભાળી ચૂકેલા રાહુલ સિંહને વાઈસ-કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે.
સિરાજે કેપ્ટન બનાવવા માટે પોતાની સંમતિ આપી
હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનના ચીફ સિલેક્ટરે 2025-26 રણજી ટ્રોફીમાં હૈદરાબાદ ટીમની છેલ્લી બે ગ્રુપ મેચ માટે મોહમ્મદ સિરાજને કેપ્ટન તરીકે નિયુક્ત કરતા પહેલા તેની સાથે વાત કરી હતી. એક નિવેદનમાં હૈદરાબાદના ચીફ સિલેક્ટરે કહ્યું, "અમે તેની સાથે વાત કરી છે અને તે સિઝનની બાકીની મેચો માટે ઉપલબ્ધ છે. તે એક ફાઈટર છે અને હંમેશા જીતવા માંગે છે અને અમને વિશ્વાસ છે કે આ અન્ય ખેલાડીઓના પ્રદર્શન પર પ્રતિબિંબિત થશે."
2025-26 રણજી ટ્રોફીની છેલ્લી બે ગ્રુપ મેચો માટે હૈદરાબાદની સ્કવોડ
મોહમ્મદ સિરાજ (કેપ્ટન), રાહુલ સિંહ (વાઈસ-કેપ્ટન), સીવી મિલિંદ, તનય ત્યાગરાજન, રોહિત રાયડુ, કે હિમાતેજા, એ વરુણ ગૌડ, એમ અભિરાથ રેડ્ડી, રાહુલ રાદેશ (વિકેટકીપર), અમન રાવ પેરાલા, સીટીએલ રક્ષન રેડ્ડી, એન નીતિન સાઈ યાદવ, કનાલા નિતેશ રેડ્ડી, સાઈ પ્રજ્ઞાય રેડ્ડી (વિકેટકીપર), બી પુનૈયા.

