વિરાટ કોહલીની ધાર્મિક આસ્થા પર મોહમ્મદ શમીનું મોટું નિવેદન, કહ્યું- વિશ્વાસ પર સવાલ ઉઠાવવો યોગ્ય નથી

ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમીએ વિરાટ કોહલીની ધાર્મિક આસ્થા અને આધ્યાત્મિક જીવન અંગે ખુલ્લીને પોતાનો મત રજૂ કર્યો છે. હાલમાં વિરાટ કોહલી અને તેમના પત્ની અનુષ્કા શર્માના વૃંદાવનમાં પ્રેમાનંદ મહારાજ સહિત વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાત લેવા અંગે સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની ચર્ચાઓ છેડાઈ છે. હવે શમીએ આ ટીકાઓ પર પોતાની પ્રતિક્રિયા આપી છે.
કોહલી પોતાની આસ્થા અને શ્રદ્ધાને સંપૂર્ણ પ્રામાણિકતાથી નિભાવે છે: શમી
ખાનગી ચેનલ સાથેની વાતચીતમાં શમીએ કહ્યું કે, વિરાટ કોહલીનો આધ્યાત્મિક ઝુકાવ કોઈ નવી વાત નથી. કોહલી હંમેશા પોતાની આસ્થાને ગંભીરતાથી લેતા આવ્યા છે અને જે બાબતમાં વિશ્વાસ રાખે છે, તેને પૂરી પ્રામાણિકતા અને શિસ્ત સાથે નિભાવે છે. શમીએ કહ્યું કે, કોઈ વ્યક્તિના વિશ્વાસ કે ધાર્મિક આસ્થા પર સવાલ ઉઠાવવાનું કોઈ કારણ હોવું જોઈએ નહીં. જો કોઈ પોતાના ધર્મ અને આધ્યાત્મિક વિચારોને મહત્વ આપે છે, તો તે સંપૂર્ણપણે તેનો વ્યક્તિગત નિર્ણય છે.
"પતિ-પત્ની સાથે ધાર્મિક પ્રવૃત્તિઓમાં જોડાય તેમાં કંઈ ખોટું નથી"
શમીને એ પણ પૂછવામાં આવ્યું કે, શું અનુષ્કા શર્માએ વિરાટ કોહલીની આધ્યાત્મિક યાત્રાને પ્રભાવિત કરી છે. તેના પર શમી કહ્યું કે, જો કોઈ વ્યક્તિ કોઈ આધ્યાત્મિક ગુરુ કે ધાર્મિક પરંપરામાં વિશ્વાસ રાખે છે, તો તેને તે જ રીતે સન્માન પણ આપવું જોઈએ. આ પ્રકારની વાતો પર નકામી આંગળી ચીંધવી યોગ્ય નથી અને કોઈની અંગત આસ્થા પર ટિપ્પણી કરવાથી બચવું જોઈએ. જો પતિ-પત્ની એકબીજા સાથે ધાર્મિક કે આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં સામેલ થાય છે, તો તેમાં ખોટું શું છે. તેમના મતે આ સંપૂર્ણપણે તેમનો અંગત મામલો છે અને બીજા કોઈને તેનાથી પરેશાની હોવી જોઈએ નહીં.
વેસ્ટ ઈન્ડિઝ સામેની આગામી શ્રેણી પર કોહલીનું ધ્યાન
મહત્વનું છે કે, વિરાટ કોહલી તાજેતરમાં ઈંગ્લેન્ડ સામેની વનડે શ્રેણીમાં ભારતીય ટીમનો ભાગ હતા. હવે તેમની નજર સપ્ટેમ્બરમાં વેસ્ટ ઈન્ડિઝ સામે થનારી આગામી શ્રેણી પર હશે, જ્યાં તેઓ ફરી એકવાર ભારતીય બેટિંગ ઓર્ડરમાં જવાબદારી સંભાળતા જોવા મળશે.

