IND vs SA / બીજી ODIમાં હાર બાદ કેપ્ટન કેએલ રાહુલે જણાવ્યું ક્યાં થઈ ભૂલ, આ કારણે પોતાને પણ આપ્યો દોષ

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ત્રણ મેચની ODI સિરીઝ ખૂબ જ રોમાંચક તબક્કામાં પહોંચી ગઈ છે. ટીમ ઈન્ડિયાએ પહેલી મેચ 17 રનથી જીતી હતી, જ્યારે આફ્રિકન ટીમ રાયપુરમાં બીજી ODI 4 વિકેટથી જીતવામાં સફળ રહી હતી. આ સાથે સિરીઝ હવે 1-1 થી બરાબર છે, ત્રીજી ODI સિરીઝની વિજેતા ટીમ નક્કી કરશે. દરમિયાન, ટીમ ઈન્ડિયાનો કેપ્ટન કેએલ રાહુલ રાયપુર ODIમાં હાર બાદ ખૂબ જ નિરાશ થયો હતો, તેણે તેના નિવેદનમાં ટોસ હારવાને પણ મુખ્ય કારણ ગણાવ્યું હતું.
'બીજી ઈનિંગમાં બોલિંગ કરવી ખૂબ જ મુશ્કેલ હતી'
કેએલ રાહુલે રાયપુર ODIમાં ટીમ ઈન્ડિયાની હાર બાદ આપેલા નિવેદનમાં કહ્યું હતું કે, "બીજી ઈનિંગમાં ઝાકળના કારણે બોલિંગ કરવી ખૂબ જ મુશ્કેલ હતી. હું બોલ બદલવાનો નિર્ણય લેવા બદલ અમ્પાયરોનો આભાર માનું છું. હું પોતાની જાતને દોષ આપી રહ્યું છું કે મારે ટોસ નહતો હરવો જોઈતો, કારણ કે ઝાકળને કારણે તેની ભૂમિકા મહત્ત્વપૂર્ણ હતી. 350 રનનો સ્કોર આશાસ્પદ લાગતો હતો, પરંતુ અમે ડ્રેસિંગ રૂમમાં ચર્ચા કરી કે અમારે બોલર્સને વધારાના 20થી 25 રન આપવા જોઈતા હતા. અમે ફિલ્ડિંગમાં પણ કેટલીક ભૂલો કરી, જેના કારણે આફ્રિકન બેટ્સમેનો માટે સ્કોર કરવાનું સરળ બન્યું."
'હું આ મેચમાં 6ઠ્ઠા નંબર પર બેટિંગ કરવાનો હતો'
ટીમ ઈન્ડિયાએ રાયપુર ODIમાં બે સદી જોઈ, એક વિરાટ કોહલીની અને બીજી ઋતુરાજ ગાયકવાડની. કેએલ રાહુલે પોતાના નિવેદનમાં બંનેનો ઉલ્લેખ કર્યો અને તેમની પ્રશંસા કરી, ઋતુરાજ વિશે કહ્યું કે, "તેણે સ્પિનર્સ સામે ઝડપથી રન બનાવ્યા, જેનાથી અમને વધારાના 20 રન મળ્યા. પરંતુ લોઅર ઓર્ડરમાં અમારે યોગદાન આપવાની જરૂર હતી." તેણે વધુમાં કહ્યું, "હું પહેલા આ મેચમાં 6ઠ્ઠા નંબર પર બેટિંગ કરવાનો હતો, પરંતુ કોહલી અને ઋતુરાજ વચ્ચેની ઉત્તમ પાર્ટનરશિપને કારણે, મને 5મા નંબર પર બેટિંગ કરવાની તક આપવામાં આવી. છેલ્લી મેચમાં અડધી સદી ફટકાર્યા પછી મારો આત્મવિશ્વાસ પણ ઘણો વધારે હતો, તેથી મને 5મા નંબર પર બેટિંગ કરવા આવવામાં આરામદાયક લાગ્યું."

