Women's World Cup 2025 / સતત 2 મેચ હાર્યા બાદ હવે સેમીફાઈનલમાં કેવી રીતે પહોંચશે ટીમ ઈન્ડિયા? જાણો સમીકરણ

વિમેન્સ વર્લ્ડ કપ 2025માં ટીમ ઈન્ડિયા સતત બીજી મેચ હારી ગઈ છે. સાઉથ આફ્રિકાને હરાવ્યા બાદ ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવ્યું. રવિવારે ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે 330 રન બનાવ્યા હતા. સ્મૃતિ મંધાનાએ 80 રન અને પ્રતિકા રાવલે 75 રનની શાનદાર ઈનિંગ્સ રમી હતી, પરંતુ એલિસા હેલીની સદી (142) એ બંનેની ઈનિંગ્સ પર પાણી ફેરવી દીધું. એલિસ પેરીએ અંતિમ ઓવરોમાં અણનમ 47 રનની ઈનિંગ રમીને ઓસ્ટ્રેલિયાની 3 વિકેટની જીતમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. હવે ભારત સેમીફાઈનલમાં કેવી રીતે પહોંચી શકે? જાણો સમીકરણ.
ટીમ ઈન્ડિયા 330 રન ડિફેન્ડ ન કરી શકી
ભારતે વિમેન્સ વર્લ્ડ કપ 2025ની શરૂઆત શ્રીલંકા સામે જીત સાથે કરી હતી. ત્યારબાદ હરમનપ્રીત કૌર અને ટીમે પાકિસ્તાનને હરાવ્યું હતું. સાઉથ આફ્રિકાએ ભારતની જીતનો સિલસિલો અટકાવ્યો. ભારત સાઉથ આફ્રિકા સામે 251 રનનો ડિફેન્ડ કરવામાં નિષ્ફળ ગયું, અને હવે, ઓસ્ટ્રેલિયા સામે, ભારત 330 રનનો મોટો ટાર્ગેટ ડિફેન્ડ કરવામાં પણ નિષ્ફળ ગયું. તમને જણાવીએ દઈએ કે આ વિમેન્સ ODIમાં સૌથી મોટો સફળ રન ચેઝ છે.
પોઈન્ટ્સ ટેબલ અને નેટ રન રેટ ફેક્ટર
વિમેન્સ વર્લ્ડ કપ 2025ની સેમીફાઈનલમાં પહોંચવા માટે, માત્ર જીત કે હાર જ નહીં પરંતુ નેટ રન રેટ પણ મહત્ત્વપૂર્ણ રહેશે. ઓસ્ટ્રેલિયા સામે હાર્યા બાદ, ટીમ ઈન્ડિયાએ માત્ર બે પોઈન્ટ જ નથી ગુમાવ્યા, પરંતુ નેટ રન રેટમાં પણ ઘટાડો થયો છે. હાલમાં, 4 મેચ પછી ભારતના 4 પોઈન્ટ છે, ટીમની નેટ રન રેટ +0.682 છે. ટીમ ઈન્ડિયા પોઈન્ટ્સ ટેબલમાં ત્રીજા સ્થાને છે. ઓસ્ટ્રેલિયા 7 પોઈન્ટ અને +1.353ની નેટ રન રેટ સાથે પ્રથમ સ્થાને છે. ત્રણ મેચ પછી ઈંગ્લેન્ડ 6 પોઈન્ટ અને +1.864ની નેટ રન રેટ સાથે બીજા સ્થાને છે.
આગામી મેચ મહત્ત્વપૂર્ણ રહેશે
ભારતીય વિમેન્સ ટીમ હાલમાં સેમીફાઈનલની દાવેદારીમાં છે, પરંતુ ત્યાં પહોંચવાનો માર્ગ સરળ નથી. ભારતની ગ્રુપ સ્ટેજમાં હજુ ત્રણ મેચ બાકી છે. આગામી મેચ 19 ઓક્ટોબરે ઈન્દોરમાં ઈંગ્લેન્ડ સામે છે, ત્યારબાદ ટીમ 23 ઓક્ટોબરે ન્યુઝીલેન્ડ સામે ટકરાશે. બંને મજબૂત ટીમો છે, અને ભારતને કઠિન ટક્કરનો સામનો કરવો પડશે. ભારતની છેલ્લી ગ્રુપ સ્ટેજ મેચ 26 ઓક્ટોબરે બાંગ્લાદેશ સામે છે.
ભારત હવે કેવી રીતે ક્વોલિફાય થઈ શકે છે?
ભારતીય ટીમ તેની ત્રણેય મેચ જીતીને 10 પોઈન્ટ સુધી પહોંચી શકે છે, જેનાથી સેમીફાઈનલમાં સ્થાન મેળવી શકાય છે. જોકે, જો ટીમ 2 મેચ જીતીને 8 પોઈન્ટ સુધી પહોંચી જાય છે, તો નેટ રન રેટ વધુ મહત્ત્વપૂર્ણ બની જશે. જોકે, જો ભારત ત્રણમાંથી બે મેચ હારી જાય છે, તો ટીમનો સેમીફાઈનલમાં પહોંચવાનો માર્ગ ખૂબ મુશ્કેલ બની જશે. આવી સ્થિતિમાં, તેને અન્ય ટીમોની જીત અને હાર પર આધાર રાખવો પડશે.

