હોંગકોંગ સિક્સીસમાં સમાપ્ત થઈ ભારતીય ટીમની સફર, છેલ્લી મેચમાં શ્રીલંકા સામે મળી કારમી હાર

હોંગકોંગ સિક્સીસ 2025માં ભારતીય ટીમની સફર સતત ચોથી હાર સાથે સમાપ્ત થઈ છે. ભારતે આ ટુર્નામેન્ટમાં પોતાના અભિયાનની શરૂઆત પાકિસ્તાન સામે જીત સાથે કરી હતી. પાકિસ્તાને ફાઈનલ માટે ક્વોલિફાય કર્યું છે, જ્યારે ભારતીય ટીમને ખાલી હાથે પરત ફરવું પડશે.
ભારતીય ટીમે રવિવાર, 9 નવેમ્બરના રોજ શ્રીલંકા સામે પોતાની છેલ્લી મેચ રમી હતી, જેમાં શ્રીલંકાની ટીમે 48 રનથી જીત મેળવી હતી. ભારતીય ટીમનો નિયમિત કેપ્ટન દિનેશ કાર્તિક આ મેચમાં નહતો રમ્યો, તેના સ્થાને સ્ટુઅર્ટ બિન્નીએ ટીમનું નેતૃત્વ કર્યું હતું.
ભારતની સફર સમાપ્ત
ભારતે પોતાના અભિયાનની શરૂઆત કટ્ટર હરીફ પાકિસ્તાન સામે જીત સાથે કરી હતી, જેનાથી ફેન્સમાં ઉત્સાહ હતો. જોકે, આ ખુશી વધુ સમય ન ટકી. 8 નવેમ્બરનો દિવસ ભારતીય ટીમ માટે ખરાબ સાબિત થયો, કારણ કે તેને સતત ત્રણ હારનો સામનો કરવો પડ્યો હતો.
ભારતીય ટીમને પહેલા કુવૈત સામે 27 રનથી હાર મળી, જ્યાં કુવૈતના બેટ્સમેનોએ અંતિમ ઓવર્સમાં ધમાકેદાર ઈનિંગ સાથે મેચને પલટી નાખી.
આ પછી ભારતને યુએઈ સામે પણ હારનો સામનો કરવો પડ્યો, જ્યાં દિનેશ કાર્તિક અને અભિમન્યુ મિથુનના ઉત્તમ સ્કોર છતાં ભારતીય બોલર્સ ટાર્ગેટ ડિફેન્ડ ન કરી શક્યા.
ત્યારબાદ ટીમને નેપાળ સામે 92 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો, જ્યારે નેપાળે એક પણ વિકેટ ગુમાવ્યા વિના 137 રન બનાવ્યા અને ભારત માત્ર 45 રનમાં ઓલઆઉટ થઈ ગયું.
આ સતત હારથી ભારત ક્વાર્ટર ફાઈનલની દોડમાંથી બહાર થઈ ગયું હતું.
છેલ્લી મેચમાં પણ નિરાશા
9 નવેમ્બરે ભારતીય ટીમે શ્રીલંકા સામે તેની છેલ્લી મેચ રમી હતી. જેમાં સ્ટુઅર્ટ બિન્નીએ નિયમિત કેપ્ટન કાર્તિકનું સ્થાન લીધું હતું. આ મેચમાં હારનો સિલસિલો ચાલુ રહ્યો અને શ્રીલંકાએ ભારતને 48 રનથી હરાવ્યું.
શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરતા, એક પણ વિકેટ ગુમાવ્યા વિના 138 રનનો વિશાળ સ્કોર બનાવ્યો. જવાબમાં, ભારત ફક્ત 3 વિકેટ ગુમાવીને માત્ર 90 જ બનાવી શક્યું. ભરત ચિપલી (41 રન) અને કેપ્ટન બિન્નીએ (25*) લડાયક પ્રદર્શન છતાં, ટીમ લક્ષ્યથી પાછળ રહી ગઈ. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ભારતીય બોલર્સનું પ્રદર્શન નબળું રહ્યું, ખાસ કરીને શ્રીલંકા સામે, જેમાં પાંચ બોલર્સમાંથી કોઈને સફળતા ન મળી.

