VIDEO: IND vs SL / શ્રીલંકા સામેની પહેલી ટેસ્ટમાં ભારત ત્રણ સ્પિનર્સને મેદાનમાં ઉતારશે, કોચે આપ્યો સંકેત
ભારત અને શ્રીલંકા વચ્ચે બે મેચની ટેસ્ટ સિરીઝની પહેલી ટેસ્ટ 15 ઓગસ્ટ, શનિવારના રોજ ગોલમાં રમાશે. આ મેચ પહેલા ગોલની પિચની ખૂબ ચર્ચા થઈ રહી છે. દરમિયાન, ભારતીય ક્રિકેટ ટીમના બોલિંગ કોચ મોર્ને મોર્કેલે સંકેત આપ્યો છે કે ટીમ ઈન્ડિયા પહેલી ટેસ્ટમાં ત્રણ સ્પિનર્સને મેદાનમાં ઉતારી શકે છે. પરિણામે, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા અને માનવ સુથારની ત્રિપુટી ભારતીય પ્લેઈંગ ઈલેવનમાં એક્શનમાં જોવા મળી શકે છે.
ટીમ ઈન્ડિયાના બોલિંગ કોચ મોર્ને મોર્કેલે મીડિયાને જણાવ્યું હતું કે, "અમારી સાથે કુલદીપ છે, અને તે એક આક્રમક બોલર છે. તેનો અનુભવ અને સ્તર અમારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. મને લાગે છે કે તે બધા પોતપોતાની રીતે અલગ છે. એક (સુથાર) બોલને થોડો વધુ ફેરવે છે, એક (જાડેજા) થોડો વધુ સચોટ છે અને મને નથી લાગતું કે ત્રણ ડાબા હાથના સ્પિનર્સ હોવા અમારા માટે મોટી ચિંતાનો વિષય છે. તે શુભમન ગિલ ચોક્કસ સમયે તેનો કેવી રીતે ઉપયોગ કરે છે તેના પર નિર્ભર રહેશે. પરંતુ કૌશલ્યની દૃષ્ટિએ, તે બધામાં અમારા માટે 20 વિકેટ લેવાની ક્ષમતા છે."
મોર્કેલે કહ્યું કે ભારતનો સ્પિન અટેક ખૂબ જ આક્રમક વિકલ્પ પૂરો પાડે છે, ખાસ કરીને ગોલની પિચને ધ્યાનમાં લેતા, જે મેચ આગળ વધતાં સ્પિનર્સને અનુકૂળ થવાની અપેક્ષા છે. તેણે કહ્યું, "જો તમે પરંપરાગત રીતે આ મેદાન અને અહીં મેચ કેવી રીતે રમાઈ છે તે જુઓ, તો મને લાગે છે કે ત્રણ સ્પિનર્સ સાથે જવું એ યોગ્ય રસ્તો છે. અમારા સ્પિન એટેકને જોતાં, તે ખૂબ જ આક્રમક વિકલ્પ છે."
ભારતીય બોલિંગ કોચે કહ્યું, "મને લાગે છે કે આ પિચ સારી લાગે છે અને મારું માનવું છે કે ટેસ્ટ આગળ વધવાની સાથે તેમાં થોડો ફેરફાર થશે. ટીમે તમામ પ્રકારની પરિસ્થિતિઓ માટે તૈયારી કરી છે, અને આ પરિસ્થિતિઓમાં, માનસિક શક્તિ, લાંબા સમય સુધી બેટિંગ અને યોગ્ય ક્ષેત્રોમાં બોલિંગ મહત્ત્વપૂર્ણ રહેશે."

