VIDEO: હાર્દિક પંડ્યાના બચાવમાં આવ્યો ઇયાન બિશપ, જસપ્રીત બુમરાહ અને સૂર્યકુમાર યાદવ પર ઉઠાવ્યા સવાલ
આઈપીએલ (IPL) 2026માં પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સનું પ્રદર્શન અત્યાર સુધી અત્યંત કંગાળ રહ્યું છે. ટીમ પોઈન્ટ્સ ટેબલમાં 9મા ક્રમે હોવાથી કેપ્ટન હાર્દિક પંડ્યા સતત આલોચનાઓનો શિકાર બની રહ્યો છે. જોકે, વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ઝડપી બોલર ઇયાન બિશપે હાર્દિકનો બચાવ કરતા એક મોટું નિવેદન આપ્યું છે.
'મોટા ખેલાડીઓએ પણ જવાબદારી લેવી જોઈએ'
મશહૂર કોમેન્ટેટર ઇયાન બિશપે જણાવ્યું હતું કે ટીમની નિષ્ફળતાનો ટોપલો કોઈ એક વ્યક્તિ પર ન ફોડી શકાય. તેણે ઉમેર્યું કે હાર્દિકે સ્વીકાર્યું છે કે તેનું ફોર્મ સુધારવાની જરૂર છે, પરંતુ માત્ર કેપ્ટનના પ્લાન કામ ન લાગે જો ખેલાડીઓ મેદાન પર પ્રદર્શન ન કરે. સૂર્યકુમાર યાદવ અને જસપ્રીત બુમરાહ જેવા મોટા નામોએ પણ ટીમના ખરાબ પ્રદર્શનની જવાબદારી લેવી જોઈએ. ટીમમાં દરેક વ્યક્તિ (ખેલાડીઓ અને મેનેજમેન્ટ) આ પરિસ્થિતિ માટે જવાબદાર છે.
બુમરાહ અને સૂર્યાનું ફિક્કું પ્રદર્શન
આંકડાઓ પર નજર કરીએ તો મુંબઈના સ્ટાર ખેલાડીઓ આ સિઝનમાં સંઘર્ષ કરતા દેખાયા છે. સૂર્યકુમાર યાદવ અત્યાર સુધી 8 મેચમાં માત્ર 162 રન જ બનાવી શક્યો છે, જે તેના કદ પ્રમાણે ખૂબ જ સરેરાશ પ્રદર્શન છે. જ્યારે જસપ્રીત બુમરાહ આ સિઝનમાં 8 મેચમાં માત્ર 2 વિકેટ ઝડપી શક્યો છે અને 8.80ના ઇકોનોમી રેટથી રન લુટાવ્યા છે, જે તેના કરિયરના 7.32ના રેટ કરતા ઘણો વધારે છે. બીજી બાજુ કેપ્ટન હાર્દિક પંડ્યાએ 7 મેચમાં 128 રન બનાવ્યા છે અને 4 વિકેટ લીધી છે, પરંતુ તે કોઈપણ મેચમાં મોટો પ્રભાવ નથી. પાડી શક્યો
બિશપની સલાહ: દિગ્ગજોને આરામ આપો
ઇયાન બિશપે સલાહ આપી છે કે સતત ક્રિકેટ અને T20 વર્લ્ડ કપના થાકને કારણે બુમરાહ અને સૂર્યા જેવા ખેલાડીઓને બ્રેક આપવો જોઈએ. જો તેઓ બહાર બેસીને રમતનું વિશ્લેષણ કરશે અને ફરી તાજગી સાથે મેદાનમાં ઉતરશે, તો જ તેઓ પોતાના પ્લાન અને કૌશલ્યને નિખારી શકશે. મુંબઈ ઈન્ડિયન્સ અત્યાર સુધી 8માંથી 6 મેચ હારી ચૂક્યું છે અને માત્ર 4 પોઈન્ટ સાથે ટેબલમાં નીચેથી બીજા સ્થાને છે.

