IND vs ZIM / 'અભિષેકને બદલે સંજુને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપો', આ દિગ્ગજે મેચ પહેલા ટીમને આપી સલાહ

T20 વર્લ્ડ કપ 2026માં ટીમ ઈન્ડિયાએ ગ્રુપ સ્ટેજમાં શાનદાર પ્રદર્શન કર્યું અને ચારેય મેચ જીતીને સુપર 8માં સ્થાન મેળવ્યું. સુપર 8ની પહેલી જ મેચમાં સાઉથ આફ્રિકા સામે ટીમની હારથી પ્રશ્નો ઉભા થયા છે. ટીમ ઈન્ડિયાની બેટિંગ આફ્રિકન બોલરો સામે સંપૂર્ણપણે ફ્લોપ ગઈ હતી અને કોઈપણ બેટ્સમેન ફોર્મમાં નહતો દેખાયો. ટીમના વિસ્ફોટક ઓપનર અભિષેક શર્માનું ફોર્મ પણ ચિંતાનું કારણ છે. આ સ્થિતિમાં ભારતીય અનુભવી ખેલાડીએ ટીમ ઈન્ડિયાને ઝિમ્બાબ્વે સામેની મેચ પહેલા સલાહ આપી છે.
અભિષેક શર્માને ટીમમાંથી બહાર કરો
ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ઓપનર વીરેન્દ્ર સેહવાગે ઝિમ્બાબ્વે સામેની મેચ પહેલા ટીમ ઈન્ડિયાને એક મહત્ત્વપૂર્ણ સલાહ આપી છે. તેણે અભિષેક શર્માને આ મેચમાંથી બ્રેક આપવાની સલાહ આપી છે. તેણે કહ્યું, "જો હું ત્યાં હોત, તો હું અભિષેક શર્માને બ્રેક આપત. હું તેની જગ્યાએ સંજુ સેમસનને તક આપત. ઝિમ્બાબ્વે સામેની મેચ આ ટ્રાયલ માટે છેલ્લી તક હશે. જો તમે આ મેચ હારી ગયા, તો તમે છેલ્લી મેચમાં કોઈપણને રમાડી શકો છો. તેથી, આ મેચમાં ફોર્મમાં રહેલા 11 ખેલાડીઓને મેદાનમાં ઉતારો."
અભિષેક શર્માએ આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી 4 મેચ રમી છે, જેમાં તે ત્રણમાં કોઈ રન બનાવ્યા વિના આઉટ થયો છે, જ્યારે એક મેચમાં તેણે માત્ર 15 રન બનાવ્યા છે. બીજી તરફ, સંજુને ફક્ત એક જ મેચમાં રમવાની તક મળી છે, જેમાં તેણે 8 બોલનો સામનો કર્યો હતો અને 22 રન બનાવ્યા હતા.
બેટિંગ ઓર્ડરમાં ફેરફાર કરવાની પણ સલાહ આપી
વીરેન્દ્ર સેહવાગે ટીમ ઈન્ડિયાને બેટિંગ ઓર્ડરમાં ફેરફાર કરવાની પણ સલાહ આપી છે. તેણે કહ્યું, "સૂર્યકુમાર યાદવે નંબર 3 પર બેટિંગ કરવા ઉતરવું જોઈએ અમે તિલક વર્મા નંબર 4 પર મેદાનમાં ઉતારવો જોઈએ. આ સ્થિતિમાં લેફ્ટ રાઈટ કોમ્બિનેશન મુજબ બેટ્સમેનને ઉતારવા પડશે અને મુક્તપણે બેટિંગ કરવી પડશે. હાલમાં, એવું લાગે છે કે ટીમ ઈન્ડિયા દબાણ હેઠળ રમી રહી છે અને બેટ્સમેનોને આઉટ થવાનો ડર છે."

