હાર્દિક પંડ્યાના ટ્રેડની અટકળો તેજ, KKR-CSK સહિત 5 ટીમોની નજર, જાણો કોના માટે યોગ્ય સાબિત થશે

રિષભ પંતના લખનૌ સુપર જાયન્ટ્સમાંથી દિલ્હી કેપિટલ્સમાં ગયા બાદ હવે મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાને લઈને ટ્રેડની ચર્ચાએ જોર પકડ્યું છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના વર્તુળોમાં ચર્ચા છે કે ટીમ ઈન્ડિયાનો આ સ્ટાર ઓલરાઉન્ડર કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સાથે વાતચીત કરી રહ્યો છે. આ ઉપરાંત રાજસ્થાન રોયલ્સ, દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ સાથે પણ તેનું નામ જોડવામાં આવી રહ્યું છે. હાલ હાર્દિકને લઈને કોઈ ડીલ નથી થઈ. એવામાં અહીં અમે તેના રેકોર્ડ અને ક્ષમતાને ધ્યાનમાં રાખીને જણાવી રહ્યા છીએ કે, તે કઈ ટીમમાં વધુ યોગ્ય સાબિત થઈ શકે છે.
હાર્દિકના ટ્રેડના અહેવાલો વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સના એક પ્રવક્તાએ કહ્યું કે હાલ ટીમનું રિવ્યૂ ચાલી રહ્યું છે અને હાલમાં ટ્રેડ અંગે કોઈ વાતચીત નથી થઈ. ભલે તેણે આ અહેવાલોનું ખંડન કર્યું હોય, પરંતુ એક વાત તો લગભગ નક્કી છે કે હાર્દિક આગામી સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન નહીં રહેશે. જો તે કેપ્ટન ન રહે, તો પોતાના કરિયરમાં વધુ એક છલાંગ લગાવીને અન્ય ટીમની કમાન હંસલ કરી શકે છે. ઘણી ટીમોએ તેને કેપ્ટનશિપની ઓફર આપી છે.
CSK અને KKRની વર્તમાન સ્થિતિ
ચેન્નાઈ સુપર કિંગ્સ છેલ્લી ત્રણ સિઝનથી પ્લેઓફ માટે ક્વોલિફાય નથી કરી શકી અને કોલકાતાની પણ છેલ્લા બે વર્ષથી આવી જ સ્થિતિ રહી છે. પાંચ વખતની ચેમ્પિયન ચેન્નાઈએ પોતાના હેડ કોચ સ્ટીફન ફ્લેમિંગ સાથેનો 18 વર્ષ જૂનો સંબંધ પણ પૂરો કરી લીધો છે અને હવે ટીમ મેનેજમેન્ટ મોટા ફેરફારોની તૈયારીમાં છે. બીજી તરફ 2024માં ખિતાબ જીત્યા બાદ કોલકાતાનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું છે.
કોલકાતાને કેમ હાર્દિકની તલાશ છે?
અજિંક્ય રહાણેના તાજેતરના સંન્યાસ બાદ KKRને એક એવા કેપ્ટનની જરૂર છે જેની પાસે અનુભવ અને નેતૃત્વ ક્ષમતા હોય. નિષ્ણાતોનું માનવું છે કે, પંડ્યા કોલકાતા માટે ફિટ બેસે છે કારણ કે તે એક શાનદાર કેપ્ટન હોવાની સાથે-સાથે એક આક્રમક ઓલરાઉન્ડર પણ છે. તે ટીમમાં એ જ ભૂમિકા ભજવી શકે છે જે 2025 સિઝન સુધી આન્દ્રે રસેલ ભજવતો હતો.
IPL 2026માં હાર્દિકનું પ્રદર્શન
IPL 2026 બાદથી હાર્દિક પંડ્યા મેદાનથી બહાર છે. ગત સિઝનમાં તે પીઠના દુ:ખાવા (બેક સ્પૈઝમ) ના કારણે મુંબઈ ઈન્ડિયન્સ માટે 14માંથી 4 મેચ નહતો રમી શક્યો. સમગ્ર ટૂર્નામેન્ટમાં તેણે માત્ર 206 રન બનાવ્યા અને 4 વિકેટ લીધી હતી, જ્યારે તેની કેપ્ટનશિપમાં મુંબઈ ઈન્ડિયન્સ 10 ટીમોના પોઈન્ટ્સ ટેબલમાં નવમા સ્થાને રહી હતી. હાલમાં તે પોતાની ફિટનેસ પર ધ્યાન આપી રહ્યો છે.
અશ્વિને સમજાવ્યું ગણિત
અનુભવી સ્પિનર રવિચંદ્રન અશ્વિને પોતાની યુટ્યુબ ચેનલ પર જણાવ્યું કે, મુંબઈ ઈન્ડિયન્સ હાર્દિકને કોલકાતાને ત્યારે જ આપશે જ્યારે બદલામાં તેને હર્ષિત રાણા અને રિંકુ સિંહ મળે. તેણે એવો પણ સંકેત આપ્યો કે, ચેન્નાઈ હાર્દિકના બદલામાં શિવમ દુબે અને એક ફાસ્ટ બોલરની ઓફર કરી શકે છે. અશ્વિનનું માનવું છે કે, મુંબઈ ઈન્ડિયન્સ એ વાતનું પણ ધ્યાન રાખશે કે આ ટ્રેડથી કોલકાતા કે ચેન્નાઈ તેના કરતા વધુ મજબૂત ન થઈ જાય.
શું હાર્દિક દિલ્હી માટે યોગ્ય વિકલ્પ છે?
દિલ્હી કેપિટલ્સ માટે હાર્દિક પંડ્યા એક યોગ્ય વિકલ્પ નથી જણાતો. જોકે દિલ્હીએ ગત સિઝનમાં સાત જીત અને સાત હાર સાથે રમત પૂરી કરી હતી, પરંતુ તેની સૌથી મોટી નબળાઈ બોલિંગ રહી છે. ટીમે સમગ્ર સિઝનમાં માત્ર 64 વિકેટ લીધી અને પ્રતિ ઓવરે 10.04ના દરથી રન આપ્યા, જે હાર્દિકને ખરીદવાની રેસમાં સામેલ તમામ ટીમોમાં સૌથી ખરાબ બોલિંગ રેકોર્ડ છે. 2026ના આંકડા પ્રમાણે હાર્દિક પંડ્યા આ બોલિંગ સમસ્યાનું નિવારણ નથી. દિલ્હી પાસે પહેલાથી જ અક્ષર પટેલ, કેએલ રાહુલ અને હવે વાપસી કરી ચૂકેલા રિષભ પંત જેવા હાઈ-પ્રોફાઇલ ખેલાડીઓ અને નેતૃત્વના વિકલ્પો છે. આવી સ્થિતિમાં ત્યાં હાર્દિકનું કેપ્ટન બનવું મુશ્કેલ છે.
રાજસ્થાન યશસ્વીની કુરબાની આપશે?
રાજસ્થાન રોયલ્સ માટે હાર્દિક પંડ્યાને ટીમમાં સામેલ કરવાની શક્યતા ઓછી છે. ચર્ચા છે કે, મુંબઈની ટીમ હાર્દિકના બદલામાં યશસ્વી જયસ્વાલની માંગ કરી શકે છે. આ સ્થિતિમાં રાજસ્થાન રોયલ્સ તૈયાર નહીં થાય. રાજસ્થાન પાસે પહેલાથી જ જયસ્વાલ જેવા યુવા તાકાત, જાડેજા જેવા સ્થાપિત ભારતીય ઓલરાઉન્ડર અને રિયાન પરાગના રૂપમાં ભવિષ્યનો કેપ્ટનશિપ પ્રોજેક્ટ હાજર છે. 24 વર્ષના શાનદાર ઓપનર જયસ્વાલના બદલામાં, ખરાબ સિઝન અને ઈજાઓ સામે ઝઝૂમી રહેલા હાર્દિક પંડ્યાને લેવો એ ટીમ માટે ખોટનો સોદો સાબિત થઈ શકે છે.
લખનૌ સુપર જાયન્ટ્સને કેપ્ટનની તલાશ
લખનૌ સુપર જાયન્ટ્સને કેપ્ટનની તલાશ છે અને રિષભ પંતના ગયા પછી એક મોટા સ્ટાર પ્લેયરની જગ્યા પણ ખાલી છે. એડન માર્કરમ, મિચેલ માર્શ અને નિકોલસ પૂરન વિકલ્પ તરીકે મોજૂદ છે, પરંતુ વિદેશી ખેલાડીને કમાન સોંપતા પહેલા ટીમ ઘણો વિચાર કરશે. હાર્દિક મિડલ ઓર્ડરની સમસ્યાને ઉકેલવાની સાથે-સાથે એક બહેતરીન લીડરની ખોટ પણ પૂરી કરી શકે છે. હવે જોવાનું એ રહેશે કે તે કેએલ રાહુલ અને રિષભ પંતના ગયા પછી આ ફ્રેન્ચાઈઝીને પસંદ કરે છે કે નહીં.

