VIDEO: IPLમાં કોમેન્ટ્રીને લઈને ટ્રોલ થયો હરભજન સિંહ, સેહવાગ-સિદ્ધુ અને આકાશ ચોપરાની પણ થઈ ટીકા
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની વર્તમાન સિઝન દરમિયાન પૂર્વ ભારતીય ક્રિકેટર હરભજન સિંહ પોતાની કોમેન્ટ્રીને લઈને મોટા વિવાદમાં ફસાયો છે. આ વિવાદ સોશિયલ મીડિયા પર એટલી હદે વધી ગયો છે કે હવે તે વ્યક્તિગત આક્ષેપો અને આકરી દલીલો સુધી પહોંચી ગયો છે. સમગ્ર મામલાની શરૂઆત ત્યારે થઈ જ્યારે 'X' પર એક ક્રિકેટ મીમ એકાઉન્ટ દ્વારા હરભજન સિંહ, વીરેન્દ્ર સેહવાગ અને નવજોત સિંહ સિદ્ધુની કોમેન્ટ્રી પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. આ ટીકા ખાસ કરીને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચ દરમિયાન કરવામાં આવી હતી.
ઇયાન બિશપને ગણાવ્યા ચડિયાતા
સોશિયલ મીડિયા યુઝરે ભારતીય કોમેન્ટ્રેટર્સની સરખામણી વેસ્ટ ઈન્ડિઝ પ્રખ્યાત કોમેન્ટ્રેટર ઇયાન બિશપ સાથે કરી હતી અને દાવો કર્યો હતો કે હિન્દી કોમેન્ટ્રીમાં ઊંડાણ અને જ્ઞાનનો અભાવ છે. આ વાત હરભજન સિંહને પસંદ ન આવી અને તેણે આકરી પ્રતિક્રિયા આપતા લખ્યું કે, "જ્યારે બજારમાં હાથી ચાલે છે, ત્યારે... ભસે છે."
આના પર યુઝરે પણ વળતો હુમલો તેજ કર્યો. તેણે રવિચંદ્રન અશ્વિન સાથે હરભજન સિંહની જૂની હરીફાઈનો ઉલ્લેખ કરીને દાવો કર્યો કે ઈર્ષ્યાને કારણે તેમનું કરિયર નીચે ગયું હતું અને હવે તેમની કોમેન્ટ્રીનું પણ એવું જ થશે. યુઝરે ઉશ્કેરણીજનક શબ્દોનો ઉપયોગ કરીને તેમને વધુ ભડકાવવાનો પ્રયાસ કર્યો.
તેના જવાબમાં હરભજન સિંહે વધુ કડક શબ્દોમાં પલટવાર કર્યો. તેણે લખ્યું- "...ને ઘી પચતું નથી અને તમારા જેવા હારેલા લોકોને જવાબ સહન થતો નથી. નીકળી જાઓ અહીંથી."
વીરેન્દ્ર સેહવાગ અને આકાશ ચોપરા પર પણ કોમેન્ટ
આ વિવાદમાં માત્ર હરભજન જ નહીં, પરંતુ વીરેન્દ્ર સેહવાગ અને આકાશ ચોપરાને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા. એક પોસ્ટમાં આ ત્રણેય ખેલાડીઓની તસવીર શેર કરીને તેમને 'જોકર' કહેવામાં આવ્યા, જેના પર હરભજન સિંહે અત્યંત આક્રમક રીતે જવાબ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, અગાઉ T20 વર્લ્ડ કપ 2026 દરમિયાન આકાશ ચોપરાને લઈને પણ આવો જ વિવાદ શરૂ થયો હતો, જે હવે હરભજન સિંહના કિસ્સામાં વધુ ગંભીર બન્યો છે અને સોશિયલ મીડિયા પર ક્રિકેટ પ્રેમીઓ વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે.

