VIDEO: ટીમમાંથી ડ્રોપ કરવા અંગે સૂર્યકુમાર યાદવનો ખુલાસો
ભારતીય T20 ટીમને પોતાની કેપ્ટનશીપ હેઠળ T20 વર્લ્ડ કપ 2026માં વિજય અપાવનાર વિસ્ફોટક બેટર સૂર્યકુમાર યાદવે ટીમમાંથી અચાનક બાદ કરાવાના મુદ્દે આખરે પોતાનું મૌન તોડ્યું છે. પસંદગી સમિતિ દ્વારા કેપ્ટનશીપ પરથી હટાવવા અને ટીમમાંથી જ બહાર કરી દેવા અંગે સૂર્યકુમારે એક ઇન્ટરવ્યુમાં દિલ ખોલીને વાત કરી છે. પૂર્વ ભારતીય ક્રિકેટર આકાશ ચોપરા સાથેની વાતચીતમાં સૂર્યકુમાર યાદવે ખુલાસો કરતાં જણાવ્યું હતું કે, ટીમની સત્તાવાર જાહેરાત થવાના 2થી 3 દિવસ પહેલાં જ અજિત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિનો તેમના પર ફોન આવ્યો હતો. સિલેક્ટર્સે તેમને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું હતું કે હવે ભવિષ્યની યોજનાઓને ધ્યાનમાં રાખીને આગળ વધવાનો સમય આવી ગયો છે. સૂર્યકુમાર યાદવે સ્વીકાર્યું કે છેલ્લા બે વર્ષના ખરાબ બેટિંગ ફોર્મને કારણે આ નિર્ણય લેવાયો હોઈ શકે છે. જોકે, તેણે નિરાશા વ્યક્ત કરતાં કહ્યું, જ્યારે તમે બે વર્ષમાં એક પણ T20 શ્રેણી હાર્યા ન હોવ, એશિયા કપ અને વર્લ્ડ કપ જીત્યા હોવ, ત્યારે અચાનક આ પ્રકારના પરિવર્તનના નિર્ણયથી થોડી નિરાશા ચોક્કસ થાય છે. મારા મગજમાં પણ એ જ પ્રશ્ન ચાલતો હતો કે જ્યારે બધું બરાબર ચાલી રહ્યું હતું ત્યારે પરિવર્તન શા માટે?

