Asia Cup 2025 / શું સુપર-4 માટે પાછો ફરશે દુનિથ વેલ્લાલાગે? પિતાના અવસાન બાદ કોલંબો પરત ફર્યો

શ્રીલંકાના દુનિથ વેલ્લાલાગે તેના પિતા સુરંગાના અવસાનને કારણે UAEમાં ચાલી રહેલી એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાંથી પરત ફર્યો છે. ગુરુવારે તેના પિતાનું અવસાન થયું, તે જ દિવસે આ ઓલરાઉન્ડર અફઘાનિસ્તાન સામે ગ્રુપ B લીગ મેચ રમી રહ્યો હતો.
કોલંબો જતી પહેલી ફ્લાઈટમાં રવાના થયો
શ્રીલંકાની ટીમને દુનિથ વેલ્લાલાગેના પિતાના મૃત્યુની જાણ થઈ ચૂકી હતી, પરંતુ આ વાત તેનાથી ગુપ્ત રાખવામાં આવી હતી. મેચ પૂરી થયા પછી જ તેને જાણ કરવામાં આવી હતી. આ જાણ્યા પછી, તે પહેલી ફ્લાઈટમાં જ કોલંબો જવા રવાના થયો.
શું તે સુપર-4 માટે પાછો ફરશે?
હજુ સુધી એ નથી જાણી શકાયું કે 22 વર્ષીય ખેલાડી ટુર્નામેન્ટમાં પાછો ફરશે કે નહીં. શ્રીલંકા શનિવારે બાંગ્લાદેશ સામે તેની પહેલી સુપર-4 મેચ રમશે. ત્યારબાદ તે 23 સપ્ટેમ્બરે પાકિસ્તાન અને 26 સપ્ટેમ્બરે ભારતનો સામનો કરશે.
લસિથ મલિંગાએ શ્રદ્ધાંજલિ આપી
શ્રીલંકાના ભૂતપૂર્વ કેપ્ટન લસિથ મલિંગાએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, "દુનિથ વેલ્લાલાગેના પિતા સુરંગા વેલ્લાલાગેના નિધનથી મને ખૂબ જ દુઃખ થયું છે. પરિવાર પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના. દુનિથ, હિંમત રાખો. આ મુશ્કેલ સમયમાં આખો દેશ તમારી અને તમારા પરિવાર સાથે ઉભો છે."
લેફ્ટ આર્મ સ્પિનર વેલ્લાલાગેએ અફઘાનિસ્તાન સામે ચાર ઓવર ફેંકી અને 49 રનમાં ઈબ્રાહિમ ઝદરાનની વિકેટ લીધી. આ તેની કારકિર્દીની પાંચમી T20 આંતરરાષ્ટ્રીય મેચ હતી. મેચની છેલ્લી ઓવરમાં, મોહમ્મદ નબીએ વેલ્લાલાગેને સતત પાંચ બોલમાં પાંચ છગ્ગા ફટકાર્યા હતા.
વર્લ્ડ કપમાં પાછા ફર્યા બાદ સચિને સદી ફટકારી હતી
ઈંગ્લેન્ડમાં 1999ના વર્લ્ડ કપ દરમિયાન, સચિન તેંડુલકરના પિતાનું અવસાન થયું હતું. તે તરત જ મુંબઈ પાછો ફર્યો, તેના પિતાના અંતિમ સંસ્કાર કર્યા, અને પછી પાછા ફરીનેકેન્યા સામે સદી ફટકારીને તેના સ્વર્ગસ્થ પિતાને શ્રદ્ધાંજલિ આપી હતી.

