VIDEO: IPL 2026માં એક પણ મેચ રમ્યા વિના ધોની યુગનો અંત આવી ગયો? મેચ બાદ ઋતુરાજના જવાબે વધાર્યું સસ્પેન્સ
IPL 2026માંથી ચેન્નાઈ સુપર કિંગ્સની સફર સત્તાવાર રીતે સમાપ્ત ગઈ છે. ગુરુવારે ગુજરાત ટાઈટન્સ સામે મળેલી 89 રનની કારમી હાર બાદ ચેન્નાઈ પ્લેઓફની રેસમાંથી બહાર ફેંકાઈ ગયું છે. પરંતુ આ હાર કરતાં પણ મોટો આંચકો CSKના ફેન્સને એ વાતનો લાગ્યો છે કે, શું હવે ક્રિકેટના ઈતિહાસના સૌથી મોટા 'ધોની યુગ' નો અંત આવી ગયો છે? આખી સિઝનમાં મહેન્દ્ર સિંહ ધોની ગંભીર ઈજાના કારણે એકપણ મેચ નથી રમી શક્યો. લીગ સ્ટેજની છેલ્લી મેચ બાદ જ્યારે કેપ્ટન ઋતુરાજ ગાયકવાડને ધોનીના ભવિષ્ય વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેની પાસે પણ કોઈ ચોક્કસ જવાબ નહતો.
ધોનીના ભવિષ્ય અંગે ઋતુરાજ ગાયકવાડનું નિવેદન
મેચ પૂરી થયા બાદ પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે ઋતુરાજને પૂછવામાં આવ્યું કે શું આ સિઝનમાં ટીમે માહી ભાઈને મિસ કર્યા? ત્યારે ગાયકવાડે ભાવુક થતાં જણાવ્યું કે, "બિલકુલ, તેમના મેદાન પર હોવા માત્રથી જ સામેવાળા બોલર્સ દબાણમાં આવી જાય છે. ક્રીઝ પર માત્ર તેમની હાજરી જ મેચનો માહોલ બદલી નાખે છે. આગામી સિઝનમાં શું થશે તે મને ખબર નથી. પરંતુ હું ખુશ છું કે આ સિઝનમાં ટીમના યુવા ખેલાડીઓને ડગઆઉટમાં તેમની સાથે રહીને ઘણું બધું શીખવા મળ્યું છે."
IPL 2025 બાદ ફેન્સને આશા હતી કે ધોની 2026માં ધમાકેદાર વાપસી કરશે, પરંતુ કિસ્મતે કંઈક અલગ જ મંજૂર રાખ્યું હતું. આ આખી સિઝનમાં ધોની પ્લેયર તરીકે જર્સી પહેરીને મેદાન પર બેટ ફેરવતો ન દેખાયો, પણ તે ડગઆઉટમાં બેસીને ટીમના યુવા ખેલાડીઓનું માર્ગદર્શન કરતા 'મેન્ટોર' ના રોલમાં જોવા મળ્યો.
ધોની હવે એકેય મેચ રમશે કે નહીં? CSK નવેસરથી તૈયાર કરવી પડશે
CSKએ ધોનીના વિકલ્પ તરીકે સંજુ સેમસનને ટીમમાં સામેલ કર્યો હતો અને કાર્તિક તથા પ્રશાંત વીર જેવા યુવા ટેલેન્ટ પર મોટો દાવ લગાવ્યો હતો, છતાં ઈજાના કારણે ટીમનું કોમ્બિનેશન વિખેરાઈ ગયું. 5 વખતની ચેમ્પિયન ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ માટે આ સતત ત્રીજું વર્ષ છે જ્યારે તે પ્લેઓફમાં જગ્યા નથી બનાવી શક્યા. ટીમ અત્યારે બદલાવના સમયગાળામાંથી પસાર થઈ રહી છે. આવામાં IPL 2027ના મેગા ઓક્શન પહેલા ટીમે આખી સ્ક્વોડને ફરીથી નવેસરથી તૈયાર કરવી પડશે. પરંતુ આ બધાની વચ્ચે સૌથી મોટો સવાલ એ જ રહેશે કે શું ધોની ફેન્સને અલવિદા કહેવા માટે છેલ્લી એક મેચ રમશે?

