પહેલા CSKને શરમજનક હારનો સામનો કરવો પડ્યો, હવે BCCIએ કેપ્ટન સહિત સમગ્ર ટીમને ફટકાર્યો દંડ
ગુજરાત ટાઈટન્સ સામે શરમજનક હાર સાથે IPL 2026માં ચેન્નાઈ સુપર કિંગ્સની સફરનો અંત આવ્યો છે. આખી ચેન્નાઈ ટીમ હજુ આ હારમાંથી બહાર નહતી આવી ત્યાં તેને વધુ એક ઝટકો લાગ્યો. ગુજરાત સામેની મેચ બાદ, BCCIએ મેચમાં સ્લો ઓવર-રેટ માટે દોષિત ઠેરવતા ચેન્નાઈના કેપ્ટન સહિત સમગ્ર ટીમને દંડ ફટકાર્યો છે. આ સિઝનમાં આ બીજી વખત છે જ્યારે ચેન્નાઈ ટીમે આ ભૂલ કરી છે, જેના કારણે તેને ભારે દંડ ફટકારવામાં આવ્યો છે.
આ સિઝનમાં આ બીજી વખત છે જ્યારે ચેન્નાઈ ટીમે આ ભૂલ કરી છે
આ સિઝનમાં આ બીજી વખત છે જ્યારે ચેન્નાઈ ટીમે સ્લો ઓવર-રેટની ભૂલ કરી છે. અગાઉ, સિઝનની 18મી મેચમાં, ટીમ નિર્ધારિત સમયમાં જરૂરી ઓવર ફેંકવામાં નિષ્ફળ રહી હતી. કેપ્ટન ગાયકવાડને આચારસંહિતાના નિયમ 2.22 હેઠળ 24 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે, જે ન્યૂનતમ ઓવર-રેટ સાથે સંબંધિત છે. માત્ર કેપ્ટન જ નહીં, પરંતુ ટીમના અન્ય તમામ ખેલાડીઓ, જેમાં ઈમ્પેક્ટ ખેલાડીનો પણ સમાવેશ થાય છે, તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. તેમને બધાને 6 લાખ રૂપિયાઅથવા તેમની મેચ ફીના 25% (જે ઓછું હોય તે) દંડ ફટકારવામાં આવ્યો છે.
CSK 14માંથી ફક્ત 6 મેચ જીતી
ઋતુરાજ ગાયકવાડની કેપ્ટનશિપ હેઠળ, ચેન્નાઈ સુપર કિંગ્સ IPL 2026માં ખરાબ રીતે નિષ્ફળ ગઈ છે. ટીમે આ સિઝનમાં રમાયેલી 14માંથી ફક્ત 6 મેચ જીતી. 12 પોઈન્ટ અને -0.345ની નબળી નેટ રન રેટ સાથે, CSK આ વખતે પ્લેઓફ માટે ક્વોલિફાય કરવામાં નિષ્ફળ ગઈ છે. આ સતત ત્રીજી સિઝન છે જેમાં ચેન્નાઈ IPL પ્લેઓફમાં સ્થાન મેળવવાથી ચૂકી ગયું છે. ચેન્નાઈએ છેલ્લે 2023માં એમએસ ધોનીની કેપ્ટનશિપ હેઠળ IPL જીત્યું હતું.
ચેન્નાઈનો ક્રૂર પરાજય
ગુજરાત ટાઈટન્સ સામે 89 રનથી મળેલી હાર ચેન્નાઈની IPL ઈતિહાસમાં રનની દૃષ્ટિએ સૌથી મોટી હાર છે. આ મેચમાં ગુજરાત ટાઈટન્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 229 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 13.4 ઓવરમાં પોતાની બધી વિકેટ ગુમાવી દીધી હતી અને માત્ર 140 રન જ બનાવી શકી હતી. ચેન્નાઈને આ સિઝનમાં અનુભવી ખેલાડી એમએસ ધોનીની સૌથી વધુ ખોટ વર્તાઈ હતી. ઈજાને કારણે તે એક પણ મેચ નહતો રમી શક્યો.

