VIDEO: સૌરવ ગાંગુલીને જાનથી મારી નાખવાની ધમકી, પત્ની ડોનાને પણ બનાવી નિશાન: પોલીસમાં ફરિયાદ નોંધાઈ
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને પશ્ચિમ બંગાળની શાન સૌરવ ગાંગુલીને જાનથી મારી નાખવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો છે. દિગ્ગજ કેપ્ટન ગાંગુલીએ પોલીસને એક ફરિયાદ આપી છે, જેમાં તેમણે આ ધમકી અંગે વિગતો આપી છે. સોમવાર, 10 ઓગસ્ટે કોલકાતામાં ગાંગુલીની ઓફિસે ચિટ્ઠી આવી હતી, જેમાં તેમને અને તેમની પત્ની ડોનાની હત્યા કરવાની ધમકી આપવામાં આવી હતી. ગાંગુલીએ તાત્કાલિક પોલીસને આ અંગે ફરિયાદ કરી હતી અને જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક મહિનામાં તેમને આ પ્રકારની અનેક ચિટ્ઠીઓ મળી ચૂકી છે.
6 મહિનાથી આવી રહી હતી ધમકીઓ, હવે કરી ફરિયાદ
કોલકાતા પોલીસે સોમવારે આ વાતની પુષ્ટિ કરી હતી અને જણાવ્યું હતું કે આ ગંભીર બાબતની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. કોલકાતા પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ માહિતી આપી હતી કે હાલમાં સાઉથ કોલકાતાના ઠાકુરપુકુર પોલીસ સ્ટેશનમાં સૌરવ ગાંગુલી તરફથી એક લેખિત ફરિયાદ આપવામાં આવી છે, જેમાં તેમણે આ ભયાનક ઘટના વિશે જણાવ્યું છે.
છેલ્લા કેટલાક મહિનાઓથી ધમકીઓ મળી રહી હતી, પરંતુ સોમવારે મળી આવેલી નવી ચિટ્ઠી બાદ આખરે ગાંગુલીએ પોલીસની મદદ માંગી હતી. બંગાળ ક્રિકેટ એસોસિએશન (CAB)ના અધ્યક્ષ ગાંગુલીના નામે છેલ્લા આશરે 6 મહિનાથી આવી ધમકી ભરેલી ચિટ્ઠી મળતી હતી, જેને શરૂઆતમાં બહુ ગંભીરતાથી લેવામાં આવી ન હતી. પરંતુ જ્યારે આ સિલસિલો ન રોકાયો ત્યારે ગાંગુલીએ પોતાના મેનેજર મારફતે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તે મુજબ, સોમવારે પણ ગાંગુલીની ઓફિસે બે ચિટ્ઠી પહોંચ્યી હતી. જેમાં સૌરવ અને તેમની પત્ની ડોનાને જાનથી મારી નાખવાની ધમકી હતી. સાથે જ ગાંગુલી પરિવારના નજીકના લોકોને પણ નુકસાન પહોંચાડવાનો ઉલ્લેખ હતો.
પોલીસ તપાસમાં એક શંકાસ્પદ વ્યક્તિ પર નજર
ગાંગુલીની હાઇ-પ્રોફાઇલ અને મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કોલકાતા પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી દીધી છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ ચિટ્ઠીમાં લખેલી ધમકીઓ અને અન્ય વાતોની સમીક્ષા કરવામાં આવી રહી છે. આ સાથે જ ચિટ્ઠી મોકલનારની ઓળખ અને તેમના હેતુને જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
પ્રાથમિક તપાસમાં પોલીસને જે સંકેત મળ્યા છે તે મુજબ નોર્થ 24 પરગણા જિલ્લાના બેલઘરિયા વિસ્તારમાંથી કોઈ વ્યક્તિએ કુરિયર દ્વારા આ ચિટ્ઠી ગાંગુલીની ઓફિસે મોકલી હતી.
પહેલા પણ મળી ચૂકી છે ધમકીઓ
ગાંગુલીને આવી ધમકીઓ મળવાનો આ કોઈ પહેલો કિસ્સો નથી. પરંતુ તેમની ક્રિકેટ કારકિર્દીના દિવસોથી જ BCCIના પૂર્વ અધ્યક્ષને આવી ધમકીઓ મળતી રહી છે. વર્ષ 2000ની શરૂઆતના વર્ષોમાં જ્યારે તેઓ ટીમ ના કેપ્ટન હતા, તે સમયે પણ ગાંગુલીને ધમકી મળી હતી. ત્યારે અંડરવર્લ્ડ અને આતંકી સંગઠનોએ સૌરવ ગાંગુલી અને સચિન તેંડુલકરને નિશાનો બનાવ્યા હતા. જેના કારણે લાંબા સમય સુધી બંનેને સરકાર તરફથી 'Z' કેટેગરીની સુરક્ષા આપવામાં આવી હતી.

