ચિન્નાસ્વામી સ્ટેડિયમ પાસેથી છીનવાઈ ગઈ વર્લ્ડ કપ મેચની યજમાની, ICCએ જાહેર કર્યું નવું શેડ્યૂલ

ICCએ વિમેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2025 માટે સુધારેલા શેડ્યૂલની જાહેરાત કરી છે. હવે આ વર્લ્ડ કપ દરમિયાન, બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મેચ ન રમાયહીં. એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં યોજાનારી મેચો હવે નવી મુંબઈ ખસેડવામાં આવી છે. નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં મહત્તમ પાંચ મેચ રમાશે.
આમાં ત્રણ લીગ મેચ, એક સેમીફાઈનલ અને સંભવતઃ 2 નવેમ્બરના રોજ વિમેન્સ ક્રિકેટ વર્લ્ડ કપની 13મા એડિશનની ફાઈનલ મેચનો સમાવેશ થાય છે. પાકિસ્તાની ટીમ ફાઈનલમાં પહોંચશે તો જ આ મેચ કોલંબોના આર. પ્રેમદાસ સ્ટેડિયમમાં યોજાશે. તમને જણાવી દઈએ કે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમને અસુરક્ષિત જાહેર કરવામાં આવ્યું હતું.
ICC વિમેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 30 સપ્ટેમ્બરથી 2 નવેમ્બર દરમિયાન ભારત અને શ્રીલંકામાં યોજાવાનો છે. ડીવાય પાટિલ સ્ટેડિયમ ઉપરાંત, એસીએ સ્ટેડિયમ (ગુવાહાટી), હોલકર સ્ટેડિયમ (ઇન્દોર), એસીએ-વીડીસીએ સ્ટેડિયમ (વિશાખાપટ્ટનમ) અને આર. પ્રેમદાસા સ્ટેડિયમ (કોલંબો) ખાતે મેચ રમાશે.
RCBની વિજય પરેડ દરમિયાન ભાગદોડ
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) એ ટાઈટલ જીત્યા પછી, એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે વિજય પરેડ યોજાઈ હતી. આ વિજય પરેડ દરમિયાન, સ્ટેડિયમની બહાર ભાગદોડ મચી હતી, જેમાં 11 લોકો માર્યા ગયા હતા. 50થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ ઘટના પછી, જસ્ટિસ જોન માઈકલ ડી'કુન્હાની અધ્યક્ષતામાં એક કમિશનની રચના કરવામાં આવી હતી, જેણે તેની તપાસમાં એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમને મોટી ઈવેન્ટ માટે અસુરક્ષિત ગણાવ્યું હતું.
ICCના અધ્યક્ષ જય શાહ માને છે કે નવી મુંબઈનું ડીવાય પાટિલ સ્ટેડિયમ વિમેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ માટે એક આદર્શ વેન્યુ છે. તેણે કહ્યું, "નવી મુંબઈ તાજેતરના વર્ષોમાં મહિલા ક્રિકેટ માટે એક શાનદાર વેન્યુ તરીકે ઉભરી આવ્યું છે. આંતરરાષ્ટ્રીય મેચો અને વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) દરમિયાન તેને મળેલો સપોર્ટ નોંધપાત્ર છે. આનાથી ખેલાડીઓનો ઉત્સાહ વધ્યો છે અને ફેન્સને પ્રેરણા મળી છે. મને ખાતરી છે કે 12 વર્ષ પછી ભારતમાં યોજાનારા ICC વિમેન્સ ક્રિકેટ વર્લ્ડ કપની મોટી મેચો દરમિયાન પણ આવી જ ઉર્જા જોવા મળશે."
ICC વિમેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2025ની પહેલી સેમીફાઈનલ 29 ઓક્ટોબરે ગુવાહાટી અથવા કોલંબોમાં યોજાશે. જ્યારે બીજી સેમીફાઈનલ 30 ઓક્ટોબરે નવી મુંબઈમાં રમાશે. જ્યારે ટુર્નામેન્ટની ફાઈનલ 2 નવેમ્બરે કોલંબો અથવા નવી મુંબઈમાં યોજાશે, જો પાકિસ્તાની ટીમ અંતિમ 4 માટે ક્વોલિફાય થાય છે, તો તે કોલંબોમાં પહેલી સેમીફાઈનલ રમશે.
જો પાકિસ્તાની ટીમ ફાઈનલમાં પહોંચે છે, તો ટાઈટલ મેચ પણ કોલંબોમાં યોજાશે. જો ભારત અને પાકિસ્તાન વચ્ચે સેમીફાઈનલ મેચ હોય, તો પહેલી સેમીફાઈનલ કોલંબોમાં યોજાશે. જો પાકિસ્તાન સેમીફાઈનલમાં પહોંચવામાં અસમર્થ રહે છે, તો બધી નોકઆઉટ મેચ ભારતમાં યોજાશે.

