IND vs ENG / માન્ચેસ્ટર ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાની સ્કવોડમાં થયો ફેરફાર, આ બોલરનો સમાવેશ કરાયો

ટીમ ઈન્ડિયા 23 જુલાઈથી ઈંગ્લેન્ડના પ્રવાસ પર 5 મેચની ટેસ્ટ સિરીઝની ચોથી મેચ માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર રમવાની છે. આ સિરીઝમાં અત્યાર સુધી રમાયેલી ત્રણ મેચમાંથી, યજમાન ઈંગ્લેન્ડ 2 જીતવામાં સફળ રહ્યું છે, ત્યારે ટીમ ઈન્ડિયાએ એક મેચ જીતી છે. હવે આવી સ્થિતિમાં, ચોથી મેચ બંને ટીમોના દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્ત્વપૂર્ણ બનવાની છે. માન્ચેસ્ટર પહોંચ્યા પછી ટીમ ઈન્ડિયા એ આ મેચ માટે પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે. ત્યારે મેચ પહેલા, ટીમ ઈન્ડિયાની સ્કવોડમાં ફેરફારના સમાચાર પણ સામે આવ્યા છે, જેમાં 24 વર્ષીય ફાસ્ટ બોલર અંશુલ કંબોજને કવર પ્લેયર તરીકે સામેલ કરવામાં આવ્યો છે.
અર્શદીપ સિંહ ઈજાગ્રસ્ત થયા બાદ લેવાયો નિર્ણય
માન્ચેસ્ટર ટેસ્ટ પહેલા, ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ, જેની આ મેચમાં રમવાની શક્યતા હતી, તેને પ્રેક્ટિસ દરમિયાન ડાબા હાથમાં ઈજા થઈ હતી, જેના પછી તેને સંપૂર્ણ રીતે ફિટ થવામાં સમય લાગશે. આવી સ્થિતિમાં, એક અહેવાલ મુજબ, ઘરેલુ ક્રિકેટમાં હરિયાણા તરફથી રમતા ફાસ્ટ બોલર અંશુલ કંબોજને કવર પ્લેયર તરીકે ટીમ ઈન્ડિયાની સ્કવોડમાં સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અંશુલ ગયા મહિનાની શરૂઆતમાં ઈન્ડિયા-A ટીમ સાથે ઈંગ્લેન્ડના પ્રવાસે ગયો હતો, જ્યાં તેણે ચાર દિવસીય બંને મેચમાં પોતાની બોલિંગથી બધાને પ્રભાવિત કર્યા હતા.
અંશુલ કંબોજની અત્યાર સુધીની કારકિર્દી
અંશુલ કંબોજ વિશે વાત કરીએ તો, તે ઘરેલુ ક્રિકેટમાં હરિયાણા ટીમ માટે રમે છે, જેમાં તેણે અત્યાર સુધી રમાયેલી 24 ફર્સ્ટ ક્લાસ મેચમાં 22.88ની એવરેજથી કુલ 79 વિકેટ લીધી છે. અંશુલે લિસ્ટ-A ફોર્મેટમાં 25 મેચ રમી છે અને તેમાં 20.20ની એવરેજથી 40 વિકેટ લીધી છે. અંશુલે IPLમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું છે, તે છેલ્લી સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો ભાગ હતો. અંશુલે 11 મેચમાં 10 વિકેટ લીધી છે.

