IND vs SA / 'તેનું શરીર અત્યારે...', કેટલી ગંભીર છે શુભમન ગિલની ઈજા? રિષભ પંતે આપ્યું અપડેટ

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની સિરીઝની બીજી ટેસ્ટ ગુવાહાટીના બારસાપરા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં ટીમ ઈન્ડિયા તેના નિયમિત કેપ્ટન શુભમન ગિલ વિના મેદાનમાં ઉતરી હતી. ગિલ સંપૂર્ણપણે સ્વસ્થ નથી થયો અને આ કારણે રિષભ પંતને બીજી ટેસ્ટ માટે ટીમની કમાન સોંપવામાં આવી છે.
પંત ટોસ જીતવામાં નિષ્ફળ ગયો અને ભારતીય ટીમ પહેલા બોલિંગ કરવા ઉતરી છે. રિષભે ગિલની ઈજા અંગે પણ એક મોટું અપડેટ આપી. તેણે જણાવ્યું કે શુભમન બીજી ટેસ્ટમાં રમવા માંગતો હતો, પરંતુ તેનું શરીર તેને મંજૂરી નહતું આપી રહ્યું.
પંતે ગિલની ફિટનેસ વિશે અપડેટ આપ્યું
ટોસ સમયે પંતે તેને ટેસ્ટમાં પહેલી વખત કેપ્ટનસી આપવા બદલ BCCIનો આભાર માન્યો. તેણે કહ્યું, "સ્વાભાવિક છે કે, આ મારા માટે એક ખાસ ક્ષણ છે. એક ક્રિકેટર તરીકે તમે હંમેશા તમારા દેશનું પ્રતિનિધિત્વ કરવા માંગો છો. હું BCCIનો આભાર માનું છું કે તેમણે મને આ તક આપી. મેં તેના વિશે બિલકુલ નહતું વિચાર્યું, પરંતુ તમે આવી તક ઝડપી લેવા માંગો છો."
જ્યારે પંતને ગિલની ઈજા વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેણે કહ્યું, "શુભમન ધીમે ધીમે સ્વસ્થ થઈ રહ્યો છે. તે આ ટેસ્ટ મેચ રમવા માટે ઉત્સુક હતો, પરંતુ તેનું શરીર અત્યારે તેને મંજૂરી નહતું આપી રહ્યું. તે ચોક્કસપણે મજબૂત વાપસી કરશે." તમને જણાવી દઈએ કે ગિલને પહેલી ટેસ્ટમાં બેટિંગ કરતી વખતે ગરદનમાં દુખાવો થયો હતો, જેના પછી તે મેદાનની બહાર નીકળી ગયો હતો. આ પછી તેને હોસ્પિટલમાં દાખલ પણ થવું પડ્યું હતું.
પ્લેઈંગ ઈલેવનમાં બે ફેરફાર
સાઉથ આફ્રિકા સામેની બીજી ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરવામાં આવ્યા છે. શુભમન ગિલ ઈજાને કારણે મેદાનની બહાર છે અને તેના સ્થાને સાઈ સુદર્શનને ફરી એકવાર પોતાની ક્ષમતા સાબિત કરવાની તક આપવામાં આવી છે. સુદર્શનને પહેલી ટેસ્ટમાં પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રાખવામાં આવ્યો હતો. જોકે, આ વખતે તેની પાસે સારું પ્રદર્શન કરવાની તક હશે. આ સિવાય અક્ષર પટેલને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવામાં આવ્યો છે અને તેના સ્થાને નીતિશ કુમાર રેડ્ડીને મેદાનમાં ઉતારવામાં આવ્યો છે. અક્ષરે પહેલી ટેસ્ટમાં ફક્ત બે વિકેટ લીધી હતી અને બેટિંગમાં પણ ખાસ પ્રભાવશાળી નહતો રહ્યો.

