VIDEO: શું વૈભવ સૂર્યવંશીને જલ્દી જ મળશે ભારતીય ટીમમાં તક? BCCIના સચિવે આપ્યો મોટો સંકેત
IPL 2026માં પોતાના વિસ્ફોટક પ્રદર્શનથી ક્રિકેટ જગતને આશ્ચર્યચકિત કરનાર 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી હવે ભારતીય ટીમના દરવાજા ખખડાવતો જોવા મળી રહ્યો છે. માત્ર 15 વર્ષની ઉંમરે ઓરેન્જ કેપ જીતનારા આ યુવા બેટ્સમેનને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવાની માંગ સતત જોર પકડી રહી છે. આ દરમિયાન ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) તરફથી પણ તેના ભવિષ્યને લઈને સકારાત્મક સંકેતો મળ્યા છે.
ટુર્નામેન્ટનો સૌથી ચર્ચિત ખેલાડી
રાજસ્થાન રોયલ્સ માટે રમનારા વૈભવ સૂર્યવંશીએ IPL 2026માં બેટથી એવો ધમાકો કર્યો કે તે ટુર્નામેન્ટનો સૌથી ચર્ચિત ખેલાડી બની ગયો. તેણે માત્ર રન જ ન બનાવ્યા, પરંતુ ઓરેન્જ કેપ, ઈમર્જિંગ પ્લેયર, મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર અને સુપર સ્ટ્રાઈકર જેવા કેટલાક મોટા એવોર્ડ પણ પોતાના નામે કર્યા.
ભારતીય ટીમમાં તક પાક્કી!
IPL 2026ની ફાઈનલ બાદ મીડિયા સાથેની વાતચીતમાં BCCI સચિવ દેવજીત સૈકિયાએ વૈભવના જોરદાર વખાણ કર્યા. તેમણે કહ્યું- "તે એક શાનદાર પ્રતિભા છે. તેનું ભવિષ્ય અત્યંત ઉજ્જવળ છે. BCCI તમામ શક્ય પ્રયાસો કરશે જેથી વૈભવ ક્રિકેટના સર્વોચ્ચ સ્તર પર રમી શકે." આ નિવેદન બાદ આ ચર્ચા વધુ તેજ થઈ ગઈ છે કે આવનારા મહિનાઓમાં વૈભવને ભારતીય ટીમમાં તક મળી શકે છે.
IPL 2026માં વૈભવનું રેકોર્ડબ્રેક પ્રદર્શન
વૈભવ સૂર્યવંશીએ રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા 16 ઈનિંગ્સમાં 776 રન બનાવ્યા. તેની એવરેજ 48.50 અને સ્ટ્રાઈક રેટ 237.30નો રહ્યો. સમગ્ર સિઝન દરમિયાન તેણે એક સદી અને પાંચ અડધી સદી ફટકારી. તેના બેટમાંથી 63 ચોગ્ગા અને 72 છગ્ગા નીકળ્યા. આ સાથે જ તે IPL ઈતિહાસમાં સૌથી નાની ઉંમરે ઓરેન્જ કેપ જીતનારો બેટ્સમેન બન્યો. એટલું જ નહીં, તેણે કોઈપણ એક T20 ટુર્નામેન્ટમાં સૌથી વધુ છગ્ગા લગાવવાનો વર્લ્ડ રેકોર્ડ પણ પોતાના નામે કર્યો.
આગામી પડાવ ઈન્ડિયા-A ટીમ
IPL પૂર્ણ થયા બાદ વૈભવનું આગામી પડાવ ઈન્ડિયા-A ટીમ હશે. તે 9 જૂનથી શરૂ થનારી શ્રીલંકા ટ્રાય સિરીઝમાં ભારતીય ટીમનો હિસ્સો હશે. ક્રિકેટ નિષ્ણાતોનું માનવું છે કે જો તેનું પ્રદર્શન આ જ રીતે ચાલુ રહેશે તો આયર્લેન્ડ કે ઝિમ્બાબ્વે પ્રવાસ માટે પણ તેને ભારતીય ટીમમાં તક મળી શકે છે. આ સિવાય વૈભવને એશિયન ગેમ્સ 2026 માટે પણ શોર્ટલિસ્ટ કરવામાં આવ્યો છે. આ પહેલા તે ભારતની અંડર-19 વર્લ્ડ કપ ટીમ અને રાઈઝિંગ સ્ટાર્સ એશિયા કપમાં પણ દેશનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યો છે.
વૈભવ સૂર્યવંશીનું સપનું શું છે
વૈભવ સૂર્યવંશીએ IPL 2026ની ફાઈનલ બાદ પોતાના ભવિષ્યના લક્ષ્યનો ખુલાસો કર્યો. તેણે કહ્યું કે તેનું સૌથી મોટું સપનું ભારત માટે ટેસ્ટ ક્રિકેટ રમવાનું છે. આ માટે તેણે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. જો કે તેનું માનવું છે કે હજુ તેને આ ફોર્મેટમાં પોતાને સાબિત કરવાની પૂરતી તક નથી મળી. IPLમાં રેકોર્ડબ્રેક પ્રદર્શન, BCCIનો ભરોસો અને સતત મળી રહેલી મોટી તકો એ વાતનો સંકેત છે કે ભારતીય ક્રિકેટને ભવિષ્યનો એક મોટો સિતારો મળી ચૂક્યો છે. હવે તમામની નજર એ વાત પર રહેશે કે વૈભવ સૂર્યવંશી ક્યારે અને કયા પ્રવાસ પર ભારતીય ટીમની સિનિયર જર્સીમાં જોવા મળે છે.

