BCCIનો નિર્ણય: હવે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ બાંગ્લાદેશ સાથે આ મેચ નહીં રમે

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ડિસેમ્બરમાં બાંગ્લાદેશ સામે સીરિઝ રમવાની હતી, પરંતુ તે રદ્દ કરવામાં આવી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ડિસેમ્બરમાં જ નવી સીરિઝ બનાવવાની યોજના બનાવી છે. ટીમ ઇન્ડિયા વર્લ્ડ કપ જીત્યા પછી બાંગ્લાદેશ સામે તેની પહેલી સીરિઝ રમવાની હતી, પરંતુ ત્યાંની વર્તમાન પરિસ્થિતિને જોતાં બોર્ડે તેને રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે.
હવે ભારત અને શ્રીલંકા વચ્ચે રમાશે મેચ
એક રિપોર્ટ પ્રમાણે ભારત અને શ્રીલંકા વચ્ચે 21 થી 30 ડિસેમ્બર દરમિયાન પાંચ મેચની T20 સીરિઝ રમાશે. બધી મેચ બે સ્થળો (વિશાખાપટ્ટનમ અને તિરુવનંતપુરમ) પર રમાશે. પ્રથમ બે મેચ ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમમાં અને બાકીની ત્રણ મેચ ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે.
આ મેચ થઈ રદ્દ
ભારત અને બાંગ્લાદેશ ICC ફ્યુચર ટૂર પ્રોગ્રામના ભાગ રૂપે ત્રણ ODI અને એક T20I સીરિઝ રમવાના હતા. આ સીરિઝ કોલકાતા અને કટકમાં રમવાની હતી. PTIએ BCCIના એક સૂત્રને ટાંકીને અહેવાલ આપીને કહ્યું હતું કે, બોર્ડને બાંગ્લાદેશ સામે શ્રેણી રમવાની મંજૂરી મળી નથી.
BCCIએ પત્ર લખ્યો
BCCIએ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને સીરિઝ રદ્દ કરવા માટે પત્ર લખ્યો હતો. PTIએ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના એક અધિકારીને ટાંકીને કહ્યું, 'અમને BCCI તરફથી સીરિઝ રદ્દ કરવાની જાણ કરતો પત્ર મળ્યો. અમે હવે નવી તારીખોની રાહ જોઈ રહ્યા છીએ.'

