બાંગ્લાદેશનું બેવડું વલણ! ક્રિકેટને લઈને કરી રહ્યું છે ડ્રામા, પરંતુ આ ટીમને ભારત મોકલવામાં નથી લાગી રહ્યો ડર

બાંગ્લાદેશ સરકારે તેના ખેલાડીઓની સુરક્ષાની ચિંતાઓને ટાંકીને T20 વર્લ્ડ કપ 2026 માટે તેની ટીમને ભારત મોકલવાનો ઈનકાર કર્યો હતો. હવે તેનું બેવડું વલણ જોવા મળ્યું છે. બાંગ્લાદેશની સરકારે T20 વર્લ્ડ કપને લઈને જેવી રીતે પોતાની ક્રિકેટ ટીમની આખી દુનિયા સામે ફજેતી કરાવી તે પછી સામે આવેલા તેના નિર્ણયથી ભવિષ્યમાં તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ બનશે. એશિયન એર ગન ચેમ્પિયનશિપ 2થી 14 ફેબ્રુઆરી દરમિયાન ભારતમાં યોજાવાની છે, જેમાં 17 દેશોના શૂટર્સ ભાગ લેશે અને તે દેશોમાં એક બાંગ્લાદેશ પણ છે, જેણે તેના શૂટર્સ મોકલવાનો નિર્ણય લીધો છે.
બાંગ્લાદેશના બે શૂટર્સ ભારત આવશે
2 ફેબ્રુઆરીથી ડો. કરણી સિંહ રેન્જ ખાતે યોજાનારી એશિયન એર ગન ચેમ્પિયનશિપમાં 17 દેશોના કુલ 300 શૂટર્સ ભાગ લેશે. સમાચાર એજન્સી ANIના અહેવાલ મુજબ બાંગ્લાદેશના બે શૂટર્સ 21 વર્ષીય મહિલા શૂટર આરેફિન શાયરા અને 26 વર્ષીય ઓલિમ્પિયન રૂબિલ ઇસ્લામ પણ આ ઈવેન્ટમાં ભાગ લેવા માટે બાંગ્લાદેશ શૂટિંગ ટુકડીના ભાગ રૂપે ભારત આવશે. બંને શૂટર્સ 10-મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં ભાગ લેશે. બાંગ્લાદેશ સરકારે શૂટર્સને મોકલવાના નિર્ણય અંગે જણાવ્યું હતું કે તેમને ભારત માટે કોઈ ખતરો નથી, કારણ કે આ ઈવેન્ટ ઈન્ડોર સ્ટેડિયમમાં યોજાશે. આ નિવેદન બાંગ્લાદેશ સરકારના બેવડા વલણને સ્પષ્ટપણે ઉજાગર કરે છે.
સ્કોટલેન્ડને વર્લ્ડ કપમાં સ્થાન આપવામાં આવ્યું
ICC T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ દ્વારા ટીમને ભારત ન મોકલવાની જીદ બાદ તેને ટુર્નામેન્ટમાંથી બહાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ICCએ તેમની જગ્યાએ સ્કોટલેન્ડની ટીમને સ્થાન આપ્યું, જે હવે 7 ફેબ્રુઆરીથી શરૂ થનારા આગામી ટુનાર્મેન્ટમાં ગ્રુપ Cનો ભાગ હશે. વર્લ્ડ કપમાં ન રમવાથી બાંગ્લાદેશના ખેલાડીઓ સૌથી વધુ નિરાશ થયા હતા, જેઓ લાંબા સમયથી આ મહત્ત્વપૂર્ણ ટૂર્નામેન્ટની તૈયારી કરી રહ્યા હતા.

