VIDEO: IND vs NZ / ત્રીજી વખત ટ્રોફી ઉઠાવવી હોય, તો ભારતીય ટીમે ટાળવી પડશે આ 3 ભૂલો
ભારત આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે T20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલમાં ન્યુઝીલેન્ડનો સામનો કરશે. સૂર્યકુમાર યાદવની કેપ્ટનશિપ હેઠળ ભારતીય ટીમ પાસે સતત બીજું T20 ટાઈટલ જીતીને ઈતિહાસ રચવાની સુવર્ણ તક છે.
જોકે, ભારતીય ટીમ સામે 'કિવી ચેલેન્જ' એક મોટો અવરોધ ઉભો કરે છે. વર્લ્ડ કપ ઈતિહાસમાં ન્યુઝીલેન્ડ સામે ભારતનો રેકોર્ડ 0-3નો રહ્યો છે. આ 'કિવી જિંક્સ' તોડવા અને ટાઈટલ ડિફેન્ડ કરવા માટે ભારતે એવી ભૂલો ટાળવી પડશે જે તેને મોંઘી પડી શકે છે.
ભારતે 3 મોટી ભૂલો ટાળવી પડશે
બેટિંગ ઓર્ડર સાથે ચેડા
એવું ઘણીવાર જોવા મળ્યું છે કે ન્યુઝીલેન્ડ સામેની મોટી મેચોમાં ભારતીય ટીમ મેનેજમેન્ટ ઘણીવાર દબાણમાં બેટિંગ ઓર્ડર સાથે ચેડાં કરે છે. T20 વર્લ્ડ કપ 2021માં મળેલી હાર આનું ઉત્તમ ઉદાહરણ છે, જ્યારે રોહિત શર્માના સ્થાને ઇશાન કિશનને ઈનિંગ ઓપન કરવા માટે મોકલવામાં આવ્યો હતો.
અભિષેક શર્માનું ફોર્મ વર્તમાન ટુર્નામેન્ટમાં ચિંતાનો વિષય છે, પરંતુ સૂર્યકુમારે તેના સ્થિર બેટિંગ ઓર્ડરમાં વિશ્વાસ રાખવાની જરૂર છે. છેલ્લી ઘડીના ફેરફારો ટીમના આત્મવિશ્વાસને નબળો પાડી શકે છે.
સ્પિન ટ્રેપમાં ફસાવું
ન્યુઝીલેન્ડે ભારત સામે સ્પિનનો ઉપયોગ હંમેશા એક હથિયાર તરીકે કર્યો છે. 2016 નાગપુર મેચમાં મિચેલ સેન્ટનર અને ઈશ સોઢીએ ભારતીય બેટિંગને ખૂબ પરેશાન કર્યા હતા. કિવી સ્પિનર્સે રનની ગતી ધીમી કરીને દબાણ બનાવ્યું હતું, જેના કારણે ભારતીય બેટ્સમેનોને ખોટા શોટ રમવાની ફરજ પડી હતી. સૂર્યકુમાર યાદવ અને તિલક વર્મા જેવા બેટ્સમેનોએ સ્ટ્રાઈક રોટેટ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર પડશે, જેથી તે સ્પિન ટ્રેપમાં ન ફસાઈ જાય.
વધુ પડતો આત્મવિશ્વાસ
19 નવેમ્બર, 2023નો દિવસ ભારતીય ટીમ અને ફેન્સ માટે કોઈ ખરાબ સપનાથી ઓછો નથી. ટુર્નામેન્ટની તમામ મેચ જીત્યા પછી ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવીને ટાઈટલ જીત્યું હતું.
હવે અમદાવાદના આ જ મેદાન પર ભારત સતત ત્રીજી વખત ટ્રોફી જીતવાનું લક્ષ્ય રાખશે. વધુમાં, ન્યુઝીલેન્ડ જેવી હોંશિયાર ટીમને ઓછી આંકવી મોંઘી સાબિત થઈ શકે છે. કિવી ટીમ તેના ચોક્કસ આયોજન માટે જાણીતી છે, તેથી ભારતે વધુ પડતા આત્મવિશ્વાસ વિના મેદાનમાં ઉતરવું પડશે.

