Religion: આ રાશિઓ માટે સફેદ મોતી છે આશીર્વાદ સમાન; કુંડળીના દોષો થશે દૂર

જ્યોતિષશાસ્ત્રમાં મોતીને શાંતિ અને શીતળતાનું રત્ન માનવામાં આવે છે. આ રત્ન સીધો સંબંધ નવગ્રહોમાં સામેલ ચંદ્ર ગ્રહ સાથે ધરાવે છે, તેથી તેને ધારણ કરવાથી માનસિક શાંતિ મળે છે. જ્યોતિષમાં મોતીને મન, બુદ્ધિ અને ભાવનાઓનું કારક માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ માનસિક તણાવ, મૂંઝવણ, નકારાત્મક વિચારો, ભાવનાત્મક ભાર અથવા અનિદ્રા (ઊંઘ ન આવવી) જેવી સમસ્યાઓથી પીડિત હોય, તો તેણે સફેદ મોતી અવશ્ય પહેરવું જોઈએ. આ રત્ન પહેરવાથી વ્યક્તિનો ગુસ્સો ધીમે-ધીમે ઓછો થાય છે, મન શાંત બને છે અને આત્મવિશ્વાસમાં અદભુત વધારો થાય છે.
જ્યોતિષીય દ્રષ્ટિકોણથી સફેદ મોતી એક અત્યંત કિંમતી અને પવિત્ર રત્ન છે, જે કુદરતી રીતે દરિયાઈ છીપમાંથી મેળવવામાં આવે છે. બજારમાં મોતીના ઘણા પ્રકારો જોવા મળે છે, જેમાં દક્ષિણ સમુદ્રના મોતી સૌથી મોટા અને અત્યંત ચમકદાર હોવાથી આ શ્રેણીમાં સૌથી મોંઘા ગણાય છે. આ સિવાય શ્રેષ્ઠ ગોળાકાર ધરાવતા જાપાનીઝ 'અકોયા મોતી', વિવિધ આકારોમાં મળતા મીઠા પાણીના કુદરતી મોતી અને ઘેરા રાખોડી રંગના 'તાહિતિયન મોતી' પણ લોકપ્રિય છે. કુંડળીમાં ચંદ્ર નબળો હોય ત્યારે મોતી ધારણ કરવાથી ચીડિયાપણું અને માનસિક ચિંતાઓ દૂર થાય છે તેમજ વ્યક્તિની વિચારવાની અને નિર્ણય લેવાની ક્ષમતા ખૂબ જ મજબૂત બને છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, મોતી મુખ્યત્વે કર્ક, મીન, વૃશ્ચિક, તુલા અને મેષ રાશિના જાતકો માટે અત્યંત શુભ અને ફળદાયી માનવામાં આવે છે. આ રાશિના લોકો જો મોતી પહેરે તો તેમની કુંડળીમાં નબળો રહેલો ચંદ્ર સ્થિર થઈને શુભ અસરો આપવા લાગે છે. ખાસ કરીને જે લોકોની કુંડળીમાં ચંદ્ર નીચનો હોય અને તેના કારણે જીવનમાં વારંવાર ભાવનાત્મક ઉતાર-ચઢાવ તેમજ માનસિક અશાંતિનો સામનો કરવો પડતો હોય, તેમના માટે મોતી આશીર્વાદ સમાન સાબિત થાય છે. તે નાની-નાની બાબતોમાં આવતા ગુસ્સાને નિયંત્રિત કરે છે, હૃદયમાં ધીરજ વધારે છે અને નકારાત્મકતાને જડમૂળથી દૂર કરે છે.
મોતી ધારણ કરવા માટે સોમવાર અથવા તો પૂનમનો (પૂર્ણિમા) દિવસ સૌથી શ્રેષ્ઠ અને પવિત્ર માનવામાં આવે છે. આ રત્નને હંમેશા ચાંદીની ધાતુમાં જ મઢાવવું જોઈએ, કારણ કે ચાંદી પણ ચંદ્રની સ્થિતિને વધુ બળવાન બનાવે છે. સોમવારે સવારે મોતીની વીંટીને શુદ્ધ કરવા માટે ગંગાજળ, કાચું દૂધ અને મધના મિશ્રણમાં (પંચામૃતમાં) થોડો સમય પલાળી રાખવી. ત્યારબાદ, ચંદ્રદેવના વિશેષ મંત્ર "ઓમ શ્રામ શ્રીમ શ્રૌમ સઃ ચંદ્રમસે નમઃ" નો ૧૦૮ વાર શ્રદ્ધાપૂર્વક જાપ કરવો. મંત્રોચ્ચાર પૂર્ણ થયા પછી વીંટીને ભગવાન શિવના ચરણોમાં સ્પર્શ કરાવીને જમણા હાથની સૌથી નાની આંગળીમાં (ટચલી આંગળીમાં) ધારણ કરવી જોઈએ.
વ્યવસાયિક દ્રષ્ટિએ જોઈએ તો મોતી પહેરવાથી ગ્લેમર, મનોરંજન, અભિનય, લેખન અને અન્ય સર્જનાત્મક ક્ષેત્રો સાથે સંકળાયેલા લોકોને બહુ મોટો ફાયદો થાય છે, કારણ કે તેનાથી તેમની કલ્પનાશક્તિ ખીલે છે. અસલી સફેદ મોતીની ઓળખ કરવી પણ ખૂબ સરળ છે. સાચું મોતી હંમેશા દૂધિયા સફેદ કે સહેજ ક્રીમી રંગનું હોય છે અને તેની સપાટી પર એક કુદરતી અને મનમોહક ચમક હોય છે. અસલી મોતી સ્પર્શ કરવાથી સહેજ ઠંડકનો અહેસાસ કરાવે છે અને તેની સપાટી એકદમ સપાટ કે લીસી હોવાને બદલે થોડી અસમાન હોય છે. જો તમે તેને દાંત પર હળવેથી ઘસો, તો પ્લાસ્ટિક કે કાચ જેવા કૃત્રિમ કણોને બદલે કુદરતી પથ્થર જેવો અનુભવ થાય છે.
નોંધ: આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે પંચાંગો, ધાર્મિક માન્યતાઓ, જ્યોતિષીઓ અને શાસ્ત્રોમાંથી સંકલિત કરીને તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. આ અંગે કોઈ પણ નિર્ણય લેતા પહેલાં નિષ્ણાતનું માર્ગદર્શન જરૂર લેવું.

