ભગવાન પોતે જ જેમનું ધ્યાન ધરે છે, એવા નિષ્કામ ભક્તોના પ્રેમ અને ભક્તિનો અલૌકિક મહિમા

નારદજી એકવાર વૈકુંઠ લોકમાં આવ્યા. લક્ષ્મીજીને જોયાં પણ ભગવાન ન દેખાયા. શોધતાંશોધતાં ભગવાનને છેવટે ધ્યાનમાં બેઠેલા જોયા.
નારદજીએ ભગવાનને પૂછયું, 'પ્રભુ ! તમે કોનું ધ્યાન કરો છો ?'
ભગવાન કહે : 'હું મારા પ્રિય ભક્તોનું ધ્યાન કરું છું.'
નારદજીએ પૂછયું : 'મહારાજ ! આ ભક્તો તમારા કરતાં પણ શ્રેષ્ઠ છે? કે… જેથી તમે તેમનું ધ્યાન ધરો છો?'
ભગવાને પૂણ પ્રેમભાવમાં કહ્યું, 'હા, તે મારા કરતાં પણ વધુ શ્રેષ્ઠ છે.'
નારદે કહ્યું : 'પ્રભુ તે સાબીત કરી આપો તો,હું માનું.'
ભગવાને પૂછયું : 'જગતમાં મોટામાં મોટું કોણ ?'
નારદે કહ્યું, 'પૃથ્વી'. ભગવાન કહે : 'પૃથ્વી શાની મોટી? પૃથ્વી તો શેષનાગની ફણા ઉપર છે… તો પછી શેષનાગ મોટા કહેવાય.'
ભગવાન કહે : 'અરે… નારદજી ! એ શેષનાગ શાના મોટા? એ તો શંકરજીના હાથના કડા જેવા છે.' 'તો પછી શિવજી મોટા…' નારદે કહ્યું, 'રાવણે કૈલાસ પર્વતને ઉઠાવેલો. રાવણ મોટો.' ભગવાને કહ્યું : 'અરે, વાલીએ તેને તો બગલમાં દબાવી દીધેલો.'
'માટે વાલી મોટો….' 'અરે ! વાલી શાનો મોટો? રામજીએ તો તેને મારી નાખેલો.' પ્રભુ હસ્યા.
નારદજીએ કહ્યું, 'તો તો પ્રભુ આપ જ સર્વથી શ્રેષ્ઠ છો.'
ભગવાને કહ્યું…. નારદજી ! હું શ્રેષ્ઠ નથી. મારા કરતાં તો મારા ભક્તો શ્રેષ્ઠ છે. આખું જગત મારા હૈયામાં. પણ, હું તો ભક્તોના હૃદયમાં રહેનારો. મને હૈયામાં રાખીને જે ભક્તો જગતવ્યવહાર કરે છે એવા જ્ઞાની-પ્રેમી ભક્તો મારાથી શ્રેષ્ઠ છે. સર્વશ્રેષ્ઠ છે.
મારા નિષ્કામ ભક્તો કોઈપણ પ્રકારની મુક્તિની ઈચ્છા રાખતા નથી. મારી સેવા વિના બીજી કોઈ ઈચ્છા તેઓ રાખતા નથી.
એવા નિષ્કામ ભક્તો મારી સેવાને છોડીને… સાલોક્ય, સાર્ષ્ટિ, સામીપ્ય, સારૂપ્ય અને સાયુજ્ય મુક્તિઓને લેતા નથી.'
હરિના જન તો મુક્તિ ન માગે,
માગે જન્મોજન્મ અવતાર રે…
નિત સેવા, નિત કીર્તન ઓચ્છવ,
નીરખવા નંદકુમાર રે…
અષ્ટ મહાસિદ્ધિ આંગણિયે રે ઊભી,
મુક્તિ છે એમની દાસી રે…
મારા ભક્તો, મારા પ્રેમરૂપ અપ્રાકૃત સ્વરૂપને પામે છે.
તેથી તો હું મારા લાડીલા ભક્તોનું ધ્યાન ધરું છું.
પ્રાર્થના :- હે પ્રભુ ! તમે મારા ઉપર એવી કૃપા કરો કે અનન્ય ભાવથી, મારું મન તમારા મંગલમય ગુણોનું સ્મરણ કરતું રહે, મારી વાણી આપના ગુણોનું ગાન કરે. અને શરીર તમારી સેવામાં જ સંલગ્ન રહે.
લાભુભાઈ ર. પંડયા

