Sahiyar : સાવધાન! આંસુ માત્ર વેદના નથી, સ્વાસ્થ્યના પણ ખોલે છે આ રહસ્યો

ચિકિત્સાના નિરંતર વિકસતા વિશ્વમાં નોન-ઈન્વેસીવ, ઓછી ખર્ચાળ અને વહેલું નિદાન કરનારા સાધનોની શોધ સર્વોપરી રહે છે. નવીનતમ સફળતાઓમાં એક અસંભવિત સાધન નિષ્ણાંતોને હાથ લાગ્યું છે અને એ છે આંસુ. આ નાનકડા, ઉપેક્ષિત બિંદુઓ વ્યક્તિના આરોગ્ય વિશે ઘણુ કહી જાય છે જેથી તેમાં ભારત અને વિશ્વભરમાં નિદાન પ્રથાઓમાં ક્રાંતિ લાવવાની ક્ષમતા છે.
ભારતીય સંશોધકો અને આરોગ્ય નિષ્ણાંતો આંસુ આધારીત નિદાન કિટ વિકસાવવાની હોડમાં સૌથી મોખરે છે. આ કિટ અત્યંત પ્રારંભિક તબક્કે રોગોને ઓળખી કાઢવા ઉપરાંત લાખો લોકોને સુલભ અને સસ્તા આરોગ્ય સંભાળ નિરાકરણો ઉપલબ્ધ કરવાનું સુનિશ્ચિત કરે છે.
આંસુમાં છુપાયેલી શક્તિ
આંસુનો નિદાન ઉપકરણ તરીકે ઉપયોગ કરવાનો વિચાર એક સાદા પણ શક્તિશાળી અવલોકનમાંથી ઉદ્ભવ્યો છે. ઘણા રોગો શરીરમાં લક્ષણો દેખાય તે પહેલા જ સોજા સંબંધિત ફેરફાર ઉત્પન્ન કરે છે. આંખો સૌથી સંવેદનશીલ અવયવ હોવાથી તેમાં આ પરિવર્તનોનું પ્રતિબિંબ વહેલું અનુભવાય છે અને આંસુના પ્રવાહીમાં આ બાયોમાર્કર્સ હાજર હોય છે.
આંસુ પ્રોટીન, એન્ઝાઈમ્સ, લિપિડ્સ, મેટાબોલિટ્સ અને ઈલેક્ટ્રોલાઈટ્સથી ભરપુર હોય છે જે શરીરની આંતરિક સ્થિતિની બાયોકેમિકલ તસવીર રજૂ કરે છે. રુમેટોઈડ આર્થરાઈટીસ, આલ્ઝાઈમર્સ, વિભિન્ન કેન્સર અને ડાયાબીટીસ જેવા મેટાબોલીક રોગો પણ પરંપરાગત નિદાન પદ્ધતિથી જાણ થાય તે પહેલા અશ્રુની સંરચનામાં ઓળખી શકાય તેવા ફેરફાર પ્રકટ કરે છે. પરિણામે આંસુ જીવને જોખમમાં મુકતી અનેક બીમારીઓ અને જૂના હઠીલા રોગો માટે અર્લી વોર્નિંગ સીસ્ટમની ગરજ સારે છે.
ઉપરાંત આંસુ આધારીત નિદાનમાં શરીરમાં કોઈ ઉપકરણો પ્રવેશવાની જરૂર ન પડતી હોવાથી તે પીડારહિત અને પરંપરાગત રક્ત ચકાસણી, બાયોપ્સી અથવા ઈમેજિંગ સ્કેન કરતા અત્યંત સસ્તા હોય છે. નમૂના એકત્ર કરવા માટે આંસુ શોષી લેવા માટે માત્ર એક જંતુરહિત કાગળના નાનકડા ટૂકડાની જરૂર પડે છે. આ સરળતાને કારણે માત્ર ૯૦ મિનિટમાં ઝડપી વિશ્લેષણ અને પરિણામ મળી જાય છે. પરિણામે આ પદ્ધતિ ખાસ કરીને સંસાધનોનો અભાવ હોય તેવા સ્થળોમાં રૂટિન સ્ક્રીનિંગ માટે આદર્શ સાબિત થાય છે.

