ફ્લોપ ફિલ્મો પછી પણ હાર નથી માની, વાણી કપૂરે કહી પ્રેરણાદાયક વાત

'મને ક્યારેક એવો વિચાર પણ આવે કે શું હું આ ઇન્ડસ્ટ્રી માટે બની છું ખરી? શું હું મારા ધાર્યા મુકામ પર પહોંચીને ક્રિએટિવ સંતોષ અનુભવી શકીશ? મારી અંદર તુમુલ યુદ્ધ ચાલ્યા કરે છે.'
કેટલાક કમનસીબ એકટર્સને સખત મહેનત કર્યા બાદ પણ બોલિવુડમાં ધારી સફળતા નથી મળતી. વાણી કપૂર આવી જ એક કમનસીબ એકટ્રેસ છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યાને 13 વરસ થઈ ગયા હોવા છતાં અભિનેત્રીની આજ સુધી કોઈ મુવી સુપર હિટ નથી થઈ. છેલ્લે મિસ કપૂર, અજય દેવગન જેવા ટોપના એક્ટર સાથે 'રેડ-2' (2025) માં જોવા મળી હતી. પરંતુ રેડની આ સિકવલ પણ ચાલી નહીં. કદાચ ફિલ્મ ચાલી પણ જાત તો પણ વાણીને એનો યશ મળવાનો નહોતો, કારણ કે ફિલ્મમાં એને દેવગનની પત્નીનો શોભાના ગાંઠિયા જેવો રોલ ફાળવાયો હતો.
નવાઈની વાત એ છે કે, યશરાજ ફિલ્મ જેવા પ્રતિષ્ઠિત બેનરનું બેકિંગ હોવા છતાં વાણી ઠેર ઠેરની છે. એ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન અને ઓળખ નથી બનાવી શકી. નિરાશાના આ દોરમાં 37 વરસની દિલ્હીની પંજાબી કુડીએ હમણાં એક પોડકાસ્ટમાં પોતાના સંઘર્ષકાળ, પોતાના કરિયર, અંગત નબળાઈઓ અને સબળાઈઓ સહિત ઘણી બધી વાતો કરી છે.
સૌથી પહેલાં મુંબઈમાં પોતાની શરૂઆતના દિવસો યાદ કરતાં વાણી કહે છે, 'દિલ્હીથી મુંબઈ આવી ત્યારે આ ડ્રીમ સિટીમાં મારા કોઈ સગા કે મિત્રો નહોતા. સાવ એકલી હતી અને મારી પાસે કોઈ કામ પણ નહોતું. વળી, સ્વભાવે હું અંતર્મુખી હોવાથી બોલિવુડની ગ્લેમરસ દુનિયામાં એડજસ્ટ થવું મારા માટે મુશ્કેલ હતું. ત્યારે મનમાં એક વાત નક્કી કરી રાખી હતી કે એક્ટર બનવાનું સપનું પૂરું કરવા હું મારી જાતને એકાદ બે વરસ આપીશ. ઉસ દૌરાન કોઈ બાત અગર નહીં બની તો મેં લાઇફ મેં આગે બઢ જાઉંગી. પોતાની અને ફેમિલી પ્રત્યેની જવાબદારીઓનું ભાન હોવાથી હું વરસો સુધી સ્ટ્રગલ કરવા નહોતી ઇચ્છતી. એ દોરમાં ભાવિ વિશેની અનિશ્ચિતતા અને એકલવાયાપણું મારા સાથી હતા. મનમાં પોતાના ટેલેન્ટ વિશે શંકા રહ્યા કરતી. એકલી બેસીને વિચાર્યા કરતી કે શું હું કાંઈક બની શકીશ ખરી?'
અત્રે નોંધવું ઘટે કે વાણી દિલ્હીના એક સંપન્ન પંજાબી પરિવારની પુત્રી છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ઝાકઝમાળ કે લખલૂંટ પૈસો નહીં, પણ અભિનયની રુચિ એને મુંબઈ ખેંચી લાવી હતી. એ તો પોતાના કરિયરમાં ઘણાં પ્રત્યક્ષ કે આડકતરા પડકારોનો સામનો કરવો પડયો છે. એ વિશે વાત કરતા કપૂર કહે છે, 'મારી ચેલેન્જીસ લોકોને બહું દેખાતી નથી, કારણ કે એ પ્રગટ સ્વરૂપની નથી હોતી. ઘણીવાર એવું બન્યું છે કે મારી ફિલ્મો લાંબા ગેપ બાદ રિલીઝ થાય એટલે મને ક્રિએટિવ સંતોષ ન મળે. મારી એક સારી કે ખરાબ ટેવ છે કે પોતાની જાત માટે હું વધુ પડતો કડક અભિગમ અપનાવું છું. પોતાના માટે એકદમ કઠોર બની જાઉં છું, પોતાના માટે એક પ્રકારનું પ્રેશર ઊભું કરી દઉં છું. મારા અંતરમનમાં એક જ ગડમથલ ચાલ્યા કરે છે કે હું પોતાના માટે કઈ રીતે થોડી હળવી બનું?'
પોતાની ફિલ્મો ન ચાલે ત્યારે બીજા એકટર્સની જેમ વાણી પણ હતાશ થઈ જાય છે. એ વિશેની પોતાની લાગણીઓ શેયર કરતા સુડોળ અને લચીલી કાયા ધરાવતી હિરોઇન કહે છે, 'મને ક્યારેક એવો વિચાર પણ આવે કે શું હું આ ઇન્ડસ્ટ્રી માટે બની છું? શું હું મારા ધાર્યા મુકામ પર પહોંચીને ક્રિએટિવ સંતોષ અનુભવી શકીશ? મારી અંદર તુમુલ યુદ્ધ ચાલ્યા કરે છે. નિરાશાના એ દોરમાં પછી અંદરથી એવો અવાજ આવે કે કશો વાંધો નહીં. તું તારી રીતે મહેનત કરે રાખ. જે થવાનું હશે એ થઈને રહેશે. પોતાના તરફથી કોઈ કસર રહેવા ન દેતી, બાકી ઇશ્વર પર છોડી દે. એક પોઝિટિવ વાત કહું તો અમારી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એટલી બધી અનિશ્ચિતતાઓ છે કે એ તમને ધીરજ અને વિનમ્ર બનાવવાની સાથોસાથ મક્કમ મનના પણ બનાવી દે. હું તો નિષ્ફળતાઓમાંથી ઘણુંબધું શીખું છું. એ આપણને સુદ્રઢ અને વધુ સારી વ્યક્તિ બનાવી દે છે.

