હાડકાં થશે મજબૂત અને વજન પણ ઘટશે! સવારના નાસ્તામાં સામેલ કરો રાગી

રાગીમાં કેલ્શિયમ, આયર્ન, ફાઇબર, પ્રોટીન, મેગ્નેશિયમ અને ઘણા જરૂરી વિટામિન્સ તેમજ મિનરલ્સ મળી આવે છે. ફાઇબર હોવાને કારણે તે પાચનને સારું રાખવામાં મદદ કરી શકે છે. જ્યારે કેલ્શિયમ હાડકાંને મજબૂત બનાવવામાં મદદરૂપ માનવામાં આવે છે અને આયર્ન શરીરમાં લોહીની ઉણપ (એનિમિયા)ના જોખમને ઘટાડવામાં મદદ કરી શકે છે. જો તમે રોજના નાસ્તામાં કંઈક હેલ્ધી અને ટેસ્ટી ખાવા માંગતા હોવ, તો રાગી એક ઉત્તમ વિકલ્પ બની શકે છે. અહીં જાણો રાગીમાંથી બનતી કેટલીક સરળ અને સ્વાદિષ્ટ બ્રેકફાસ્ટ રેસિપીઝ.
રાગીમાંથી બનાવો આ 4 ટેસ્ટી બ્રેકફાસ્ટ રેસિપી
રાગી ચીલા (પૂડલા): રાગીનો લોટ, ઝીણી સમારેલી ડુંગળી, ટામેટાં, લીલા મરચાં, કોથમીર અને થોડું મીઠું ઉમેરીને ખીરું (બેટર) તૈયાર કરો. તેને તવા પર બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો. રાગી ચીલા ફાઇબર અને પ્રોટીનથી ભરપૂર હોય છે, જે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખવા અને પાચન સુધારવામાં મદદ કરે છે.
રાગી વેજ ઉત્તપમ: રાગીના લોટમાં દહીં અને થોડું પાણી ઉમેરીને ખીરું તૈયાર કરો. તેમાં ઝીણી સમારેલી ડુંગળી, ટામેટાં, ગાજર, કેપ્સિકમ અને લીલી કોથમીર ઉમેરો. તવા પર બંને બાજુથી શેકી લો. આ રેસિપી ફાઇબર, કેલ્શિયમ અને શાકભાજીના પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે.
રાગી ઉપમા: થોડા તેલમાં રાઈ, કઢી પત્તો, લીલા મરચાં અને શાકભાજી સાંતળી લો. ત્યારબાદ રાગીનો લોટ ઉમેરીને હળવો શેકી લો અને જરૂર મુજબ પાણી ઉમેરીને પકવો. આ એક હલકો અને પૌષ્ટિક નાસ્તો છે, જે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે.
રાગી ઈડલી: રાગીનો લોટ, સોજી, દહીં અને થોડું પાણી મિક્સ કરીને ખીરું તૈયાર કરો. તેમાં ઈનો અથવા બેકિંગ સોડા ઉમેરીને ઈડલીના કૂકરમાં બાફી લો. રાગી ઈડલી પચવામાં હલકી હોવાની સાથે કેલ્શિયમ અને ફાઇબરનો સારો સ્ત્રોત છે.
રાગીની રેસિપી બનાવતી વખતે કઈ વાતોનું ધ્યાન રાખવું?
હંમેશા સારી ક્વોલિટીના રાગીના લોટનો જ ઉપયોગ કરવો. જો લોટ જૂનો હશે, તો તેનો સ્વાદ અને પોષણ બંને બગડી શકે છે.
સ્વાદ વધારવા માટે તમે તેમાં ડુંગળી, ટામેટાં, ગાજર અને કેપ્સિકમ જેવા વિવિધ શાકભાજી ઉમેરી શકો છો.
વાનગીને હેલ્ધી રાખવા માટે જરૂર કરતાં વધુ તેલ કે ઘી વાપરવાનું ટાળો.
રાગીનું ખીરું બહુ પાતળું કે બહુ ઘટ્ટ ન રાખવું.
રાગીની આ વાનગીઓને દહીં, સાંભાર કે નાળિયેરની ચટણી સાથે પીરસવાથી તેનો સ્વાદ બમણો થઈ જાય છે.
કયા લોકોએ રાગી ખાતી વખતે સાવચેતી રાખવી જોઈએ?
રાગી મોટાભાગના લોકો માટે સુરક્ષિત અને પૌષ્ટિક છે, પરંતુ કેટલાક લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે:
કીડની સ્ટોનની સમસ્યા: જે લોકોને કીડનીમાં પથરીની સમસ્યા હોય કે પહેલાં થઈ ચૂકી હોય, તેમણે ડૉક્ટરની સલાહ લીધા પછી જ રાગી ખાવી જોઈએ, કારણ કે તેમાં ઓક્સાલેટ (Oxalate) મળી આવે છે.
એલર્જી કે પાચનની તકલીફ: જો રાગી ખાધા પછી પેટમાં દુખાવો, ગેસ, પેટ ફૂલવું કે એલર્જી જેવી તકલીફ જણાય, તો તેનું સેવન બંધ કરીને ડૉક્ટરની સલાહ લેવી.
કોઈપણ વસ્તુનું જરૂર કરતાં વધુ સેવન કરવાથી બચવું જોઈએ.

