VIDEO : ઉનાળામાં ઠંડક આપતું રાયતું ક્યારે બની જાય છે બીમારીનું ઘર?
રાયતું એક લોકપ્રિય સાઇડ ડિશ છે, જે માત્ર જમવાનો સ્વાદ જ નથી વધારતું પણ શરીરને ઠંડક પણ આપે છે. ખાસ કરીને ઉનાળામાં રાયતું પુષ્કળ પ્રમાણમાં બનાવાય છે અને તેનો ઠંડો સ્વાદ દરેકને પસંદ પડે છે. રાયતું અનેક પ્રકારના બને છે ડુંગળીનું, કાકડીનું, બુંદીનું અને દૂધીનું પણ. પરંતુ જો આયુર્વેદનું માનીએ તો, દરેક વસ્તુનું રાયતું બનાવીને ખાવું યોગ્ય નથી. હકીકતમાં, કેટલાક એવા ફૂડ કોમ્બિનેશન છે જે દહીં સાથે ભળતા જ 'વિરુદ્ધ આહાર' બની જાય છે. આ ધીમે-ધીમે પાચનથી લઈને સમગ્ર સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે. તેથી ઉનાળામાં જો તમે પણ રાયતું ખાવાના શોખીન હોવ, તો એ જાણવું ખૂબ જરૂરી છે કે કઈ વસ્તુઓનું રાયતું ખાવું બિલકુલ યોગ્ય નથી.
કાકડીનું રાયતું બનાવીને ક્યારેય ન ખાઓ
ઉનાળામાં કાકડીનું રાયતું ખૂબ જ પસંદ કરવામાં આવે છે, પરંતુ આયુર્વેદ અનુસાર કાકડી અને દહીં ક્યારેય સાથે ન ખાવા જોઈએ. હકીકતમાં આ બંનેની તાસીર ખૂબ જ ઠંડી હોય છે, તેથી તેનું સેવન કરવાથી શરીરમાં કફ અને વધી શકે છે, જે સાઇનસ કન્જેશનની સમસ્યા પેદા કરી શકે છે. ખાસ કરીને જે લોકોને પહેલેથી જ શરદી, ઉધરસ, એલર્જી કે સાઇનસની તકલીફ હોય, તેના માટે કાકડીનું રાયતું મુશ્કેલી વધારી શકે છે. ઉનાળામાં કાકડીને બદલે દૂધીનું રાયતું ખાવું એ એક સારો અને સ્વાસ્થ્યપ્રદ વિકલ્પ હોઈ શકે છે.
ખૂબ જ ભારે હોય છે બુંદીનું રાયતું
આયુર્વેદ મુજબ દહીં પોતે જ પચવામાં ભારે હોય છે, તેથી તેની સાથે તળેલા ખોરાક (ફ્રાઈડ ફૂડ) ટાળવા જોઈએ. બુંદી સાથે સમસ્યા એ છે કે તે તેલ કે ઘીમાં ડીપ ફ્રાય થયેલી હોય છે, જેના કારણે તેમાં તેલ અને કેલરીનું પ્રમાણ ઘણું વધારે હોય છે. દહીં સાથેનું આ મિશ્રણ પચવામાં અત્યંત ભારે બની શકે છે અને વારંવાર ખાવાથી વજન વધવાની કે પાચન ધીમું પડવાની સમસ્યા થઈ શકે છે.
ડુંગળીનું રાયતું ક્યારેય ન ખાવું જોઈએ
ડુંગળીનું રાયતું ઘણા લોકોનું ફેવરિટ હોય છે, પરંતુ સ્વાસ્થ્યની દૃષ્ટિએ આ કોમ્બિનેશન ટાળવું જ જોઈએ. દહીં અને ડુંગળી બંનેની પ્રકૃતિ અલગ-અલગ હોય છે; જ્યાં ડુંગળી ગરમ છે, ત્યાં દહીં ઠંડક આપવાનું કામ કરે છે. જ્યારે આ બંને વસ્તુઓ સાથે ખાવામાં આવે છે, ત્યારે ચામડીની એલર્જી જેવી કે રેશિઝ, એક્ઝિમા અને સોરાયસિસ જેવી સમસ્યાઓ થવાનું જોખમ રહે છે.
ફળોનું રાયતું ન બનાવવું જોઈએ
કેટલાક લોકો ફળોનું પણ રાયતું (ફ્રુટ રાયતું) બનાવીને ખાતા હોય છે, પરંતુ આ ફૂડ કોમ્બિનેશન પણ બિલકુલ યોગ્ય નથી. આયુર્વેદ મુજબ કોઈપણ પ્રકારના ફળોને દહીં સાથે ભેળવવા ન જોઈએ. તેને એકસાથે ખાવાથી શરીરમાં 'આમ' (ટોક્સિન્સ/ઝેરી તત્વો) બનવાની શક્યતા વધી જાય છે. જો તમે લાંબા સમય સુધી ફ્રુટ રાયતું ખાઈ રહ્યા હોવ, તો તમે અનેક પ્રકારની એલર્જી અને મેટાબોલિઝમ (ચયાપચય)ને લગતી બીમારીઓને આમંત્રણ આપી રહ્યા છો.
નોંધ : આર્ટિકલ જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યો છે.

