VIDEO: Health/ શું તમને સતત ખાસી આવ્યા રાખે છે, અને ગળફામાં લોહી આવે છે? તો આ હોય શકે છે ગંભીર બિમારીના લક્ષણ!
વર્ષ 2026માં ટ્યુબરક્લોસિસ ડે (ક્ષય દિવસ)ની થીમ છે 'હા, આપણે ટીબી ખતમ કરી શકીએ છીએ', જેનો ઉદ્દેશ્ય 2030 સુધીમાં ટીબીને નાબૂદ કરવાના પ્રયાસોને વેગ આપવાનો છે. ભારતની વાત કરીએ તો, ટીબી હજુ પણ એક મોટી આરોગ્ય સમસ્યા બની રહી છે. આરોગ્ય સેવાઓમાં સુધારો અને જાગૃતિ છતાં, હજુ પણ મોટી સંખ્યામાં દર્દીઓ આ બીમારી સામે ઝઝૂમી રહ્યા છે. ભીડભાડવાળી જગ્યાઓ પર આ રોગ ઝડપથી ફેલાય છે. આ લેખમાં અમે ટીબીના કારણો, લક્ષણો અને બચાવના ઉપાયો જણાવી રહ્યા છીએ.
ટ્યુબરક્લોસિસ (TB) શું છે?
ટ્યુબરક્લોસિસ એટલે કે ટીબી એક ચેપી રોગ છે. તે મુખ્યત્વે ફેફસાંને અસર કરે છે, પરંતુ તે શરીરના અન્ય અંગોમાં પણ ફેલાઈ શકે છે. આ બીમારી 'માયકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ' નામના બેક્ટેરિયાથી ફેલાય છે. જો ટીબીની સમયસર અને યોગ્ય સારવાર ન કરવામાં આવે તો તે જીવલેણ પણ સાબિત થઈ શકે છે.
ટીબીની બીમારી કેવી રીતે ફેલાય છે?
ટીબીથી સંક્રમિત વ્યક્તિના ખાંસવા કે છીંકવાથી આ રોગ અન્ય લોકોમાં ફેલાઈ શકે છે. જે લોકોને 'એક્ટિવ ટીબી' છે, ફક્ત તેમના કારણે જ આ રોગ બીજા વ્યક્તિને સંક્રમિત કરી શકે છે.
ખરાબ વેન્ટિલેશન અને ભીડભાડવાળી જગ્યાઓએ ટીબી ફેલાવાનું જોખમ વધારે હોય છે.
ભારતમાં કુપોષણ, નબળી રોગપ્રતિકારક શક્તિ અને ખરાબ જીવનશૈલીને કારણે આ બીમારી ફેલાય છે.
ડાયાબિટીસ અને HIV ઇન્ફેક્શનથી પીડાતા દર્દીઓ, સિગારેટ અને દારૂનું સેવન તેમજ વાયુ પ્રદૂષણ પણ ટીબી થવાનું જોખમ વધારે છે.
ટીબીના લક્ષણો
એક્ટિવ ટીબી ધરાવતા લોકોમાં નીચે મુજબના લક્ષણો જોવા મળી શકે છે:
2 અઠવાડિયાથી વધુ સમય સુધી ખાંસી રહેવી.
ખાંસીની સાથે ગળફામાં લોહી આવવું.
કારણ વગર થાક અને નબળાઈ અનુભવવી.
ભૂખ ઓછી લાગવી.
સતત વજન ઘટવું.
તાવ મટવાનું નામ ન લેવો.
છાતીમાં દુખાવો રહેવો.
ટીબીના પ્રકાર
ટીબીના મુખ્યત્વે બે પ્રકાર જોવા મળે છે:
પલ્મોનરી ટીબી: આ સૌથી સામાન્ય પ્રકાર છે જે ફેફસાંને અસર કરે છે. તેના લક્ષણોમાં લાંબા સમયની ખાંસી, છાતીમાં દુખાવો અને ગળફામાં લોહીનો સમાવેશ થાય છે. ઘણા લોકો તેને સામાન્ય શરદી સમજીને અવગણે છે, જે જોખમી છે.
એક્સ્ટ્રાપલ્મોનરી ટીબી: ટીબી શરીરના અન્ય ભાગો જેવા કે હાડકાં, સાંધા, મગજ કે પેટને પણ અસર કરી શકે છે. તેના લક્ષણો અસરગ્રસ્ત ભાગ પર આધાર રાખે છે, જેમ કે ગરદનમાં સોજો અથવા સાંધાનો દુખાવો.
ટીબીને ફેલાતો કેવી રીતે અટકાવવો?
જો કોઈ વ્યક્તિને ટીબી થયો હોય, તો તેણે નીચેની બાબતોનું ધ્યાન રાખવું જોઈએ:
ખાંસતી કે છીંકતી વખતે મોં ઢાંકવું.
લોકોની વધુ પડતી નજીક ન જવું.
નિયમિતપણે દવાઓ લેવી.
ઓફિસ કે શાળાએ જવાનું ટાળવું.
બહાર નીકળતી વખતે માસ્ક પહેરવો.
ઘરનું વેન્ટિલેશન (હવાની અવરજવર) સારું રાખવું.
લક્ષણોને ઓળખો અને સારવાર લો
ટીબીના કેસોની સમયસર ઓળખ ન થવી એ ચિંતાનો વિષય છે. યોગ્ય સારવાર અને દવાઓના પૂરા કોર્સથી ટીબી મટી શકે છે. દર્દીઓએ કેટલાક મહિનાઓ સુધી નિયમિત દવા લેવી જોઈએ જેથી રોગ ફરી ઉથલો ન મારે. સાવધાની, જાગૃતિ અને યોગ્ય સારવારથી ભારતને ટીબી મુક્ત બનાવવું શક્ય છે.

