સુપ્રીમ કોર્ટનો કડક નિર્ણય: સમજૂતી બાદ પત્ની ફરી જતાં 23 વર્ષ જૂના લગ્ન એક ઝટકે ખતમ કર્યા

સુપ્રીમ કોર્ટમાં એક એવો અનોખો કિસ્સો સામે આવ્યો છે જેમાં પત્નીના આચરણથી નારાજ થઈને સર્વોચ્ચ અદાલતે કડક પગલું ભર્યું છે. પતિ અને પત્ની વચ્ચેના લાંબા વિવાદમાં પત્ની પહેલા સમજૂતી કરવા સંમત થઈ અને ત્યારબાદ છેલ્લી ઘડીએ તેમાંથી ફરી જઈને પતિ પર કેસ ઠોકી દીધો હતો. આ મામલે જસ્ટિસ રાજેશ બિંદલ અને જસ્ટિસ વિજય બિશ્નોઈની બેન્ચે પત્નીની દલીલોને ફગાવીને 23 વર્ષ જૂના લગ્ન ભંગ કરવાનો આદેશ આપ્યો છે.
શું હતો સમગ્ર મામલો?
પતિ અને પત્ની વચ્ચેના વિવાદમાં કોર્ટની મધ્યસ્થતા (Mediation) બાદ બંને પક્ષો વચ્ચે સમજૂતી થઈ હતી. પતિ પત્નીને 1.5 કરોડ રૂપિયા આપવા માટે સંમત થયો હતો. જોકે, પત્ની અંતિમ સમયે આ સમજૂતીથી ફરી ગઈ અને પતિ સામે ઘરેલુ હિંસાનો કેસ દાખલ કરી દીધો. પત્નીએ કોર્ટમાં એવી દલીલ કરી હતી કે પતિએ લેખિત સમજૂતી સિવાય 120 કરોડની જ્વેલરી અને 50 કરોડના સોનાના બિસ્કિટ આપવાનું પણ વચન આપ્યું હતું, જે ટેક્સ બચાવવા માટે લેખિતમાં રખાયું નહોતું.
કોર્ટની ફટકાર: "ભારભારે દંડ થવો જોઈએ"
પત્નીની આ દલીલો સાંભળીને સુપ્રીમ કોર્ટ લાલઘૂમ થઈ ગઈ હતી. કોર્ટે કહ્યું કે, "આ પ્રકારની પાયાવિહોણી દલીલો કરવી એ ન્યાય વ્યવસ્થા પ્રત્યે ગંભીર અસમ્માન છે." કોર્ટે નોંધ્યું કે 23 વર્ષના લગ્ન જીવનમાં પત્નીએ ક્યારેય ઘરેલુ હિંસાની ફરિયાદ કરી નહોતી, પરંતુ સમજૂતી તોડવા માટે જ આ કેસ છેલ્લી ઘડીએ કરવામાં આવ્યો હતો.
અનુચ્છેદ 142નો ઉપયોગ
સુપ્રીમ કોર્ટે પોતાની વિશેષ સત્તા અનુચ્છેદ 142નો ઉપયોગ કરીને આ લગ્ન જીવનને સમાપ્ત કરી દીધું છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે પરસ્પર સંમતિથી તલાકના કિસ્સામાં કોઈ પક્ષ અંતિમ આદેશ પહેલા સંમતિ પાછી ખેંચી શકે છે, પરંતુ જો તમામ વિવાદોનો અંતિમ નિકાલ (Full and Final Settlement) થઈ ચૂક્યો હોય અને કોર્ટે તેને મંજૂરી આપી દીધી હોય, તો તેમાંથી પાછળ હટવું સ્વીકાર્ય નથી.
મધ્યસ્થતા સિસ્ટમ પર અસર
જસ્ટિસ વિજય બિશ્નોઈએ ચુકાદામાં લખ્યું કે, એકવાર મધ્યસ્થતામાં સમજૂતી થયા બાદ અને કોર્ટ દ્વારા તેને મંજૂર કરવામાં આવ્યા પછી તેનાથી ફરી જવું એ 'મેડિયેશન સિસ્ટમ' ને નબળી પાડે છે. આવા વર્તનને કારણે ન્યાયિક પ્રક્રિયામાં વિલંબ થાય છે અને કોર્ટે પત્ની દ્વારા કરવામાં આવેલા ઘરેલુ હિંસાના કેસને પણ રદ કરી દીધો છે.

