VIDEO : મુર્શિદાબાદની રેલીમાં PM મોદીના તીખા પ્રહાર, SSC કૌભાંડ-પે કમિશન મુદ્દે મમતા સરકારને ઘેરી
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં એક વિશાળ જાહેર સભાને સંબોધતા PM મોદીએ TMC સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. PM મોદીએ બંગાળમાં થયેલા વિવિધ ભ્રષ્ટાચારની ઘટનાઓ, ખાસ કરીને SSC ભરતી કૌભાંડનો ઉલ્લેખ કરીને યુવાનો સાથે થયેલા અન્યાયનો મુદ્દો ઉઠાવ્યો હતો.
ભ્રષ્ટાચાર અને રોકડની વસૂલાત પર નિશાન
વડાપ્રધાને મમતા સરકારને 'નિષ્ઠુર' ગણાવતા કહ્યું કે, " SSC ભરતી કૌભાંડ દ્વારા બંગાળના લાખો યુવાનોનું ભવિષ્ય જોખમમાં મૂકવામાં આવ્યું છે. આ ઘટનાની તપાસ વખતે બંગાળના તત્કાલીન શિક્ષણ મંત્રીના નજીકના સહયોગીના ઘરેથી કરોડો રૂપિયાની રોકડ મળી આવી હતી. વર્ષ 2023માં સીબીઆઈના દરોડા દરમિયાન પણ એક TMC ધારાસભ્યના ઘરેથી લાખો રૂપિયાની રોકડ જપ્ત થઈ હતી. આ જ બતાવે છે. TMC સરકારમાં ભ્રષ્ટાચાર કેટલો ઊંડો ઉતરી ગયો છે.
સરકારી કર્મચારીઓ માટે મોટી જાહેરાત
બંગાળના સરકારી કર્મચારીઓની લાંબા સમયથી ચાલી રહેલી માંગણીઓ અંગે પીએમ મોદીએ મહત્વનું આશ્વાસન આપતા કહ્યું કે, જો પશ્ચિમ બંગાળમાં સરકાર બન્યાના 45 દિવસની અંદર જ તમામ સરકારી કર્મચારીઓને 7મા પગાર પંચનો લાભ લાગુ કરી દેવામાં આવશે. કેન્દ્ર સરકારે 8માં પગાર પંચની રચના પણ કરી દીધી છે, જેનો લાભ આગામી સમયમાં કર્મચારીઓને મળશે.
બંગાળના વિકાસનો સંકલ્પ
પીએમ મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, બંગાળના વિકાસ માટે પારદર્શક વહીવટ અને ભ્રષ્ટાચાર મુક્ત શાસન અનિવાર્ય છે. તેમણે આરોપ લગાવ્યો કે, વર્તમાન સરકાર મતબેંકની રાજનીતિ અને તુષ્ટિકરણમાં વ્યસ્ત છે, જેના કારણે સામાન્ય જનતા અને ખાસ કરીને યુવાનોને હાલાકી ભોગવવી પડી રહી છે. આ રેલીમાં લોકોની જંગી મેદની ઉમટી પડી હતી, જે આગામી સમયમાં બંગાળના રાજકીય માહોલમાં મોટા ફેરફારના સંકેત આપી રહી છે.

