10 હજારને બદલે ત્રણ ગણા ભેગા થયા લોકો, વિજયની રેલીમાં એવું શું થયું જેના કારણે નાસભાગ મચી?

શનિવાર, 28 સપ્ટેમ્બર 2025ના રોજ તમિલનાડુના કરુરમાં અભિનેતામાંથી રાજકારણી બનેલા વિજયની રેલીમાં થયેલી ભાગદોડમાં ઓછામાં ઓછા 39 લોકોના મોત થયા છે અને 95 લોકો ઘાયલ થયા છે. પોલીસનું કહેવું છે કે રેલીના આયોજકોએ અંદાજ લગાવ્યો હતો કે લગભગ 10,000 લોકો હાજર હશે. જોકે, એકવાર લોકો આવવા લાગ્યા, તો ભીડને રોકી શકાય તેવી લાગતી નહોતી. કરુરના રેલી ગ્રાઉન્ડમાં લગભગ 27,000 લોકો એકઠા થયા હતા.
અધિકારીઓએ જણાવ્યું હતું કે રેલી બપોરે 3 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી યોજાવાની હતી, જોકે લોકો સવારે 11 વાગ્યાથી જ આવવા લાગ્યા હતા. સવારથી વિજયની રાહ જોતા ઘણા લોકો ભૂખ અને તરસથી પીડાતા હતા. સુરક્ષા વ્યવસ્થા અંગે, એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે 500 પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે વિજયે પોલીસના કાર્યની પણ પ્રશંસા કરી હતી.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, વિજયે કહ્યું હતું કે પાર્ટી કેડરને આ ગેરવહીવટની જવાબદારી લેવી જોઈએ. ભીડ જેટલા પોલીસ કર્મચારીઓ તૈનાત કરવા અશક્ય છે. તમિલનાડુના ડીજીપીએ જણાવ્યું હતું કે નાસભાગનું સાચું કારણ તપાસ પછી જ જાણી શકાશે. તેમણે ઉમેર્યું હતું કે તપાસ માટે એક સભ્યનું કમિશન બનાવવામાં આવ્યું છે.
રેલીમાં શું થયું?
અભિનેતામાંથી રાજકારણી બનેલા વિજયે 2024માં પોતાની તમિલગા વેત્રી કઝગમ નામની પાર્ટીની શરૂઆત કરી છે. તેઓ ત્રણ દાયકાથી તમિલ સિનેમામાં સ્ટાર છે. એવું કહેવામાં આવ્યું હતું કે વિજયે સાંજે લગભગ 7:30 વાગ્યે પોતાનું ભાષણ શરૂ કર્યું હતું ત્યારે જ ભાગદોડ મચી ગઈ. લોકો સવારથી જ તેમની રાહ જોઈ રહ્યા હતા. ભારે ભીડ કારણે લોકો બેભાન થઈને પડવા લાગ્યા. ઘણા બાળકો અને મહિલાઓ બેભાન થઈ ગયા. ત્યારબાદ વિજયે પોતાનું ભાષણ બંધ કર્યું અને ભીડને પાણીની બોટલો વહેંચવાનું શરૂ કર્યું. તેમણે પરિસ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસને પણ અપીલ કરી.
તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 39 લોકોના મોત થયા છે, જેમાં 13 પુરુષો, 17 મહિલાઓ અને ચાર બાળકોનો સમાવેશ થાય છે. ભાગદોડમાં પાંચ છોકરીઓનું પણ મોત થયું છે. સરકારે મૃત્યુ પામેલા લોકોના પરિવારોને 10 લાખનું વળતર આપવાની જાહેરાત કરી છે.

