તમિલનાડુમાં એક્ટર વિજયની રેલીમાં થયેલ નાસભાગનું કારણ શું? જેમાં વધી રહ્યો છે મૃત્યુનો આંકડો!

તમિલનાડુના કરુરમાં અભિનેતામાંથી નેતા બનેલા વિજયની રેલીમાં અફરાતફરી અને નાસભાગ સર્જાતાં 29 લોકોના મોત થયા છે જ્યારે 45થી વધુ સારવાર હેઠળ છે. મૃતકોમાં બાળકો અને મહિલાઓ પણ સામલે છે. વિજય રેલીમાં ભાષણ આપી રહ્યા હતા તે સમયે જ દુર્ઘટના સર્જાઈ. પરિસ્થિતિ જોતાં વિજયે અધવચ્ચે જ ભાષણ અટકાવી દેવું પડ્યું હતું. મોતનો આંકડો હજુ પણ વધે તેવી આશંકા છે.
દુર્ઘટના બાદ રાજ્યના મુખ્યમંત્રી સ્ટાલિને બેઠક યોજી ઈજાગ્રસ્તોને યોગ્ય સારવાર આપવા નિર્દેશ આપ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ મામલે શોક વ્યક્ત કર્યો છે.
કલાકોથી વિજયની રાહ જોઈ રહ્યા હતા હજારો લોકો
નોંધનીય છે કે, કરુરમાં વિજયની રેલીમાં સામેલ થવા માટે હજારોની સંખ્યામાં લોકો આવશે તેની પહેલેથી જાણ તો હતી જ પરંતુ આશા કરતાં વધુ ભીડ આવી ગઈ. રેલી બપોરના સમયે થવાની હતી પરંતુ વિજય છ કલાક મોડા આવ્યા. હજારો લોકો બપોરના જ રસ્તા પર આવી ગયા હતા. લોકો કલાકો સુધી ધક્કામુક્કીમાં અને ગરમીમાં ઊભા રહ્યા. વિજયનું ભાષણ શરૂ થતાં ભીડ બેકાબૂ થવા લાગી. પાર્ટી કાર્યકરો તથા બાળકો અને મહિલાઓ બેભાન થવા લાગ્યા. જે બાદ આ અંગે વિજયને પણ જાણકારી અપાતાં તેમણે ભાષણ અધવચ્ચે જ અટકાવ્યું.

