VIDEO: દિલ્હીમાં BRICS સમિટ વચ્ચે અક્ષરધામ મંદિર પર ચુસ્ત સુરક્ષાનો પહેરો; વિદેશી મહેમાનો કરશે મુલાકાત!
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં BRICS સમિટ 2026 ચાલી રહી છે, જેને લઈને સમગ્ર શહેરમાં સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક બનાવવામાં આવી છે. આ દરમિયાન પ્રસિદ્ધ સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર પરિસરમાં પણ સુરક્ષાના અભેદ્ય કિલ્લેબંધી જેવા ધોરણો ગોઠવવામાં આવ્યા છે, કારણ કે સમિટમાં ભાગ લેવા આવેલા અનેક વિદેશી પ્રતિનિધિઓ અને મહેમાનો અક્ષરધામની મુલાકાતે આવે તેવી પ્રબળ સંભાવના છે.
સુરક્ષા વ્યવસ્થા અંગે માહિતી આપતા ઈસ્ટ ડિસ્ટ્રિક્ટના ડીસીપી રાજીવ કુમારે જણાવ્યું હતું કે, "શહેરમાં પધારેલા અનેક વિદેશી પ્રતિનિધિઓ અક્ષરધામની મુલાકાતે આવવાના છે, જેને ધ્યાનમાં રાખીને અહીં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ સ્થળ માત્ર એક ધાર્મિક આસ્થાનું કેન્દ્ર નથી, પરંતુ આપણો સાંસ્કૃતિક વારસો પણ છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે."
સુરક્ષાની વિગતો આપતા તેમણે ઉમેર્યું કે, "સમગ્ર વિસ્તાર પર અદ્યતન ટેકનોલોજી એટલે કે ડ્રોનની મદદથી સતત નજર રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત, સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે નજીકના યમુના વિસ્તારમાં પેટ્રોલિંગ માટે બે બોટ પણ તૈનાત કરવામાં આવી છે. સુરક્ષા દળોની સાથે પૂરતો પોલીસ સ્ટાફ પણ ખડેપગે છે. બહારથી પણ વધારાની ફોર્સ બોલાવવામાં આવી છે, જેમાં ૩ કંપનીઓ અને એક પ્લૂટૂન તૈનાત કરવામાં આવી છે."
ટ્રાફિક વ્યવસ્થા અંગે વાત કરતા તેમણે સ્પષ્ટ કર્યું કે, ટ્રાફિક પોલીસ પણ સ્થાનિક પોલીસ સાથે સંપૂર્ણ સંકલનમાં રહીને કામ કરી રહી છે, જેથી સામાન્ય નાગરિકો કે પ્રવાસીઓને કોઈ પણ પ્રકારની અસુવિધાનો સામનો ન કરવો પડે. બ્રિક્સ સમિટના આયોજનને ધ્યાનમાં રાખીને દિલ્હી પ્રશાસન સુરક્ષા બાબતે કોઈ પણ પ્રકારનીી ઢીલાશ મૂકવાના મૂડમાં નથી.

