VIDEO: ગુજરાતીઓના ફેવરિટ ડેસ્ટિનેશને જતી વંદે ભારત હવે સુરતથી ઉપડશે
ગુજરાત અને રાજસ્થાન વચ્ચે રેલવે કનેક્ટિવિટીને વધુ મજબૂત અને ઝડપી બનાવવાના ભાગરૂપે રેલવે બોર્ડ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં ઉદયપુર સિટી અને અમદાવાદના અસારવા વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને હવે દક્ષિણ ગુજરાતના ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી સુરત સુધી લંબાવવા માટે સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે.
આ નિર્ણયથી શ્રીનાથદ્વારા અને ઉદયપુર સહિત રાજસ્થાન જતા દક્ષિણ ગુજરાતના હજારો વેપારીઓ, પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓને સીધી સેમી-હાઈસ્પીડ ટ્રેનની ઉત્તમ સુવિધા મળશે.
અઠવાડિયામાં 6 દિવસ દોડશે ટ્રેન
રેલવે બોર્ડના આયોજન મુજબ આ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન મંગળવાર સિવાય અઠવાડિયામાં કુલ 6 દિવસ નિયમિતપણે દોડાવવામાં આવશે.
નવું સમયપત્રક
સુરત અને ઉદયપુર વચ્ચે મુસાફરોને ઝડપી મુસાફરીનો લાભ મળી રહે તે રીતે સમયપત્રક ગોઠવવામાં આવ્યું છે.
સુરતથી ઉદયપુર: આ ટ્રેન સવારે 6.10 કલાકે સુરતથી ઉપડશે અને બપોરે 13.40 કલાકે ઉદયપુર સિટી પહોંચશે.
ઉદયપુરથી સુરત: આ ટ્રેન બપોરે 15.35 કલાકે ઉદયપુર સિટીથી ઉપડીને રાત્રે 23.00 કલાકે સુરત પહોંચશે.
પ્રારંભિક / અંતિમ સ્ટેશન: સુરત – ઉદયપુર સિટી
વચ્ચેના મુખ્ય સ્ટોપેજ: ભરૂચ, વડોદરા, આણંદ, મણિનગર, અસારવા
ઓપરેટિંગ દિવસો: અઠવાડિયામાં 6 દિવસ (મંગળવાર સિવાય)
રેલવે બોર્ડ દ્વારા સુરત સુધી રૂટ લંબાવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી છે. જોકે, આ નવા રૂટ અને સમયપત્રકનો ગ્રાઉન્ડ પર કઈ ચોક્કસ તારીખથી અમલ શરૂ થશે તેની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં પશ્ચિમ રેલવે દ્વારા કરવામાં આવશે.

