"દિવસમાં 3 વાર કપડાં ઉતરાવ્યા, 27 વખત નિર્વસ્ત્ર કરી..." તિહાર જેલમાંથી બહાર આવી એક્ટ્રેસે કર્યો કંપાવી દેનારો ખુલાસો!

પંજાબી ફિલ્મ અભિનેત્રી, મોડેલ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સંદીપા વિર્કે દિલ્હીની કુખ્યાત તિહાર જેલમાં વિતાવેલા સાડા ચાર મહિનાના અત્યંત દર્દનાક અને કડવા અનુભવો જાહેરમાં વર્ણવ્યા છે. એક પોડકાસ્ટ ઇન્ટરવ્યુ દરમિયાન ભાવુક થતાં સંદીપાએ જેલ પ્રશાસન, સુરક્ષા તપાસના નામે થતી હેરાનગતિ અને મહિલા કેદીઓની દયનીય સ્થિતિ અંગે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. આશરે ₹6 કરોડના કથિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ બાદ તે તિહાર જેલમાં બંધ હતી, જ્યાંથી જામીન પર બહાર આવ્યા બાદ તેણે જેલની અંદર ચાલતી માનસિક અને શારીરિક યાતનાઓ પરથી પડદો ઉંચક્યો છે.
તપાસના બહાને 27 વખત સ્ટ્રીપ સર્ચ: દિવસમાં 3 વાર કપડાં ઉતરાવાતા
સંદીપાએ જણાવ્યું કે જેલમાં મહિલાઓના આત્મસન્માનની કોઈ કિંમત નથી અને ચેકિંગના નામે ભારે અમાનવીય વર્તણૂક કરવામાં આવે છે. જેલવાસ દરમિયાન તેને કુલ 27 વખત સંપૂર્ણપણે નિર્વસ્ત્ર કરવામાં આવી હતી. તેણે દાવો કર્યો કે દરરોજ દિવસમાં ઓછામાં ઓછી ત્રણ વખત તેના કપડાં ઉતરાવીને તપાસ કરવામાં આવતી હતી. કોર્ટમાં હાજરી આપવા જતી વખતે અને પરત ફરતી વખતે વાળથી લઈને મોં અંદર સુધી તપાસ થતી હતી અને પ્રાઇવેટ પાર્ટ્સ પર વાંધાજનક રીતે સ્પર્શ કરીને શારીરિક તપાસ કરવામાં આવતી હતી. તેણે ઉમેર્યું કે ધરપકડ બાદ તેને દીન દયાલ ઉપાધ્યાય હોસ્પિટલમાં મોડી રાત્રે લઈ જવાઈ હતી, જ્યાં તાલીમાર્થી તબીબો સામે અત્યંત શરમજનક રીતે તેનો પ્રેગ્નન્સી ટેસ્ટ કરાવાયો હતો, જે તેના માટે ભારે અપમાનજનક હતું.
ભૂખ-તરસથી તડપ, જીવજંતુઓ અને ગંદકીભર્યું વાતાવરણ
જેલની બેરેકની કંગાળ સ્થિતિનો ચિતાર આપતાં સંદીપાએ કહ્યું કે સામાન્ય માનવી માટે ત્યાં શ્વાસ લેવો પણ અઘરો બની જાય છે. જેલમાં પીવાનું શુદ્ધ પાણી અને યોગ્ય ગુણવત્તાનું ખાવાનું પણ મળતું નહોતું, જેના કારણે તે દિવસો સુધી ભૂખ-તરસથી તડપતી રહી હતી. જગ્યાના અભાવે કેદીઓએ એકબીજા પર ગીચતામાં સૂવું પડતું હતું અને શૌચાલયો અત્યંત ગંદા તથા નાના હતા.
રાત્રે સૂતી વખતે જમીન પરથી તેના શરીર પર કીડા-મકોડા અને જીવજંતુઓ ચડી જતા હતા. સંદીપાએ તિહાર જેલના માહોલની સરખામણી કરતાં કહ્યું કે રસ્તા પર ભીખ માંગતો ભિખારી પણ જેલમાં રહેલા કેદી કરતાં વધુ સુખી હોય છે, કારણ કે જેલની અંદર કોઈપણ વ્યક્તિનું માનસિક સંતુલન બગડી શકે છે.
જેલ સ્ટાફનું રુડ વર્તન અને ગેરરીતિઓના આક્ષેપો
સંદીપાએ જેલના સ્ટાફ અને ફરજ પરની મહિલા અધિકારીઓના કડવા વર્તન પર પણ પ્રહાર કર્યા હતા. તેણે જણાવ્યું કે જેલમાં ડ્યુટી પર રહેલી મહિલા અધિકારીઓ કેદીઓ સાથે અત્યંત ઉદ્ધત અને તોછડી વર્તણૂક કરતી હોય છે. જેલની અંદરના ભ્રષ્ટાચાર તરફ ઈશારો કરતાં તેણે કેદીઓ પાસેથી પેટીએમ કરાવવા અને ક્રેડિટ મેળવવા જેવી અનિયમિતતાઓ તરફ પણ નિર્દેશ કર્યો હતો. તેણે ભારપૂર્વક કહ્યું કે તે કોઈનાથી ડરતી નથી અને તેથી જ આ આઘાતજનક વાસ્તવિકતા સામે લાવી છે, જેથી ન્યાય મળતાં પહેલાં જ કેદીઓને દોષિત માની અપાતી આવી અમાનવીય યાતનાઓ અટકી શકે.

