VIDEO: મુંબઈમાં ગણેશોત્સવ પહેલા જ દુર્ઘટના, ‘ભુલેશ્વરચા રાજા’ની 22 ફૂટની મૂર્તિ પડી... 2નાં મોત
મુંબઈમાં ગણેશોત્સવ (Ganeshotsav) શરૂ થાય તે પહેલાં જ એક દુઃખદ અકસ્માત (Accident) સર્જાયો છે. દક્ષિણ મુંબઈના ભુલેશ્વર વિસ્તારમાં ‘ભુલેશ્વરચા રાજા’ ગણેશ પ્રતિમાના આગમન સમારોહ (Arrival Ceremony) દરમિયાન 22 ફૂટ ઊંચી ગણેશજીની મૂર્તિ અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. આ ઘટનામાં બે લોકોનાં મોત થયા છે, જ્યારે બે બાળકો સહિત પાંચ લોકો ઘાયલ થયા છે.
મળતી માહિતી પ્રમાણે, શનિવારે રાત્રે આશરે 10 વાગ્યે ભુલેશ્વરના જય અંબે ચોક પાસે કબૂતરખાના નજીક બલરામ મર્ચન્ટ રોડ પર આ ઘટના બની હતી. ગણેશ પ્રતિમાના આગમન સરઘસ (Procession) માટે મોટી સંખ્યામાં ભક્તો અને સ્થાનિક લોકો એકત્ર થયા હતા. આ દરમિયાન મૂર્તિને સહારો આપતા બોલ્ટ (Bolt)માં ખામી સર્જાતા 22 ફૂટ ઊંચી પ્રતિમા નીચે પડી ગઈ હતી. મૂર્તિનો કેટલોક ભાગ તૂટી જતાં તેની નીચે અને આસપાસ ઉભેલા લોકો તેની ચપેટમાં આવી ગયા હતા.
અકસ્મતની જાણ થતાં મુંબઈ ફાયર બ્રિગેડ (Fire Brigade), મુંબઈ પોલીસ (Mumbai Police), ટ્રાફિક પોલીસ, 108 એમ્બ્યુલન્સ સર્વિસ (Ambulance Service) અને BMCના કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત બે લોકોને બચાવી શકાયા નહોતા.
અધિકારીઓના જણાવ્યા મુજબ મૃતકોની ઓળખ 33 વર્ષીય સંકેત નેવશે અને 30 વર્ષીય બૃજેશ હેમંત જોશી તરીકે થઈ છે. જ્યારે વૈભવ ઘેનંદ (38), પવન ચૌરસિયા (25), 5 વર્ષીય લાવણ્યા ગણેર, 7 વર્ષીય દિવ્યા ગણેર અને કુણાલ કાશીદ (26) ઈજાગ્રસ્ત થયા છે. તમામ ઘાયલોની હાલત સ્થિર હોવાનું જણાવાયું છે.
ગણેશોત્સવ પહેલા મોટી દુર્ઘટના
મુંબઈ અને મહારાષ્ટ્રમાં ગણેશોત્સવ સૌથી મોટા તહેવારોમાંનો એક છે. દર વર્ષે ભક્તો ઢોલ-નગારાં અને ભવ્ય સરઘસ સાથે ગણેશ પ્રતિમાઓનું આગમન કરાવે છે. આ વખતે પણ ભુલેશ્વરચા રાજાના આગમન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા, પરંતુ મૂર્તિ ધરાશાયી થતાં ખુશીનો માહોલ અચાનક માતમમાં ફેરવાઈ ગયો હતો.
પ્રશાસન દ્વારા હવે ઘટનાની તપાસ (Investigation) કરવામાં આવી રહી છે અને મૂર્તિ સ્થાપન તથા તેને સુરક્ષિત રીતે ખસેડવા માટે ઉપયોગમાં લેવાયેલા સાધનોની પણ તપાસ કરવામાં આવી રહી છે.

