તિરુમાલાથી લઈને તમિલનાડુ ટ્રેજેડી, જાણો વર્ષ 2025માં બનેલી ભાગદોડની દુર્ઘટનાઓ

આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાં આવેલા વેંકટેશ્વર સ્વામી મંદિરમાં નાસભાગ થતા 10 લોકોનાં મોત થયા છે. તેમજ અનેક લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે. આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાં આવેલા કાશિબુગ્ગા વેંકટેશ્વર મંદિરમાં શનિવારે સવારે દર્શન દરમિયાન મચેલી નાસભાગમાં 9 શ્રદ્ધાળુઓનાં મોત થયા છે. આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે મોટી સંખ્યામાં લોકો ભગવાન વેંકટેશ્વરના વાર્ષિક ઉત્સવમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. અચાનક ભીડ વધી જવાના કારણે અફરાતફરી મચી ગઈ હતી. જેના કારણે ઘણા લોકો દબાઈ ગયા. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
દેશના વિવિધ ભાગોમાં આવી જ ઘટનાઓ બની છે. 2025માં જ અનેક ભાગદોડની ઘટનાઓ નોંધાઈ છે, જેનાથી વહીવટીતંત્ર દ્વારા પરિસ્થિતિને સંભાળવાની રીત પર સવાલ ઉભા થાય છે. જોકે, વહીવટીતંત્રે હજુ સુધી કોઈ કાર્યવાહી કરી નથી. ચાલો 2025માં થયેલી બધી ભાગદોડ પર એક નજર કરીએ.
8 જાન્યુઆરી, 2025 - તિરુમાલા, આંધ્રપ્રદેશ
ભગવાન વેંકટેશ્વર સ્વામી મંદિરમાં વૈકુંઠ દ્વાર દર્શનમ ટોકન મેળવવા માટે ભક્તોની ભીડ એકઠી થઈ હતી. અપૂરતી વ્યવસ્થાપન અને સાંકડા બહાર નીકળવાના રસ્તાઓને કારણે, ભાગદોડ મચી ગઈ, જેના પરિણામે ઓછામાં ઓછા છ લોકોના મોત થયા અને ડઝનેક લોકો ઘાયલ થયા.
29 જાન્યુઆરી, 2025 - મહાકુંભ મેળો, પ્રયાગરાજ, ઉત્તર પ્રદેશ
મૌની અમાવસ્યાના દિવસે મહાકુંભ મેળા દરમિયાન સંગમમાં પવિત્ર સ્નાન માટે લાખો લોકો એકઠા થયા હતા. રાત્રે 1થી 2 વાગ્યાની વચ્ચે એક તૂટેલા બેરિકેડને કારણે ભારે ભીડ ઉમટી પડી હતી, જેમાં ઓછામાં ઓછા 30 લોકોના મોત થયા હતા. 60થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ ઘટનાએ વહીવટીતંત્ર પર અનેક પ્રશ્નો ઉભા કર્યા હતા.
15 ફેબ્રુઆરી, 2025 - નવી દિલ્હી રેલ્વે સ્ટેશન
પ્રયાગરાજ મહાકુંભમાં ભાગ લેવા જઈ રહેલા લોકો દિલ્હી રેલવે સ્ટેશને પહોંચ્યા હતા. આ દરમિયાન પ્લેટફોર્મ 14 અને 15ની ટ્રેનો મોડી પડવાને કારણે મોટી ભીડ એકઠી થઈ હતી. જેને પગલે ભાગદોડ મચતાં 18 લોકોના મોત થયા હતા. જેમાં મુખ્યત્વે પ્રયાગરાજ જઈ રહેલા યાત્રાળુઓ હતા. ભાગદોડમાં 15થી વધુ લોકો ઘાયલ થયા હતા. માળખાકીય સુવિધાઓમાં નિષ્ફળતા અને સંદેશાવ્યવહારમાં વિક્ષેપને નાસભાગના મુખ્ય કારણો તરીકે દર્શાવવામાં આવ્યા હતા. ત્યારબાદ ઉચ્ચ સ્તરીય રેલ્વે તપાસ શરૂ કરવામાં આવી હતી.
4 જૂન 2025, બેંગલુરુ- કર્ણાટક( એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર નાસભાગ)
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની પ્રથમ IPL જીતની ઉજવણી માટે ભેગા થયેલા ફેન્સની એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ બહાર નાસભાગ મચી હતી. આ નાસભાગના કારણે 11 લોકોના મોત થયા હતા. જ્યારે 50થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ ઘટનાએ મોટા મેળાવડા દરમિયાન ભીડ નિયંત્રણમાં ગંભીર ખામીઓ ઉજાગર કરી હતી. ન્યાયિક અહેવાલ બાદ, અધિકારીઓ, RCB, KSCA અને ઇવેન્ટ મેનેજરો સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવી હતી.
29 જૂન, 2025 - રથયાત્રા, પુરી, ઓડિશા
29 જૂનના રોજ ગુંડિચા મંદિરમાં વહેલી સવારે રથયાત્રા દરમિયાન ભાગદોડ મચી હતી. જેમાં ત્રણ લોકોના મોત થયા હતા. જ્યારે 50થી વધુ લોકો ઘાયલ થયા હતા.
હરિદ્વાર મનસા દેવી મંદિર
ઉત્તરાખંડના હરિદ્વાર સ્થિત મનસા દેવી મંદિરમાં 27 જુલાઈ 2025 રવિવારે સવારે મચેલી ભાગદોડમાં 8 લોકોના મોત થયા હતા અને 30થી વધુ ઘાયલ થયા હતા. મંદિરના પગથિયા પર ભારે ભીડ જમા થઈ જતા અને વીજળીનો તાર તૂટવાની અફવાને પગલે શ્રદ્ધાળુઓમાં ભાગદોડ મચી હતી.
27 સપ્ટેમ્બર, 2025, (વિજયની રેલીમાં ભાગદોડમાં 39 લોકોના મોત)
27 સપ્ટેમ્બર, 2025ના રોજ શનિવાર સાંજે તમિલનાડુના કરુરમાં અભિનેતા વિજયની રેલીમાં ભાગદોડ મચી હતી, જેમાં 36 લોકો માર્યા ગયા હતા. તમિલનાડુના કરુરમાં TVK પ્રમુખ વિજયની એક રાજકીય રેલીમાં ભાગદોડમાં 36 લોકો માર્યા ગયા હતા અને ઘણા ઘાયલ થયા હતા, જેમાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે.

