ગુજરાતથી અરુણાચલ જતી એકમાત્ર સ્પેશિયલ ટ્રેનમાં રેલવેનો મોટો ફેરફાર, ઈનર લાઈન પરમિટ' લાગુ થતાં જનરલ ટિકિટ નહીં મળે

અરુણાચલ પ્રદેશમાં કડક સુરક્ષા અને કાનૂની નિયમોના પાલન માટે લાગુ કરાયેલી 'ઈનર લાઈન પરમિટ' (ILP) વ્યવસ્થાને કારણે મુસાફરો માટે નિયમો અનિવાર્ય બન્યા છે. જેના પગલે પશ્ચિમ રેલવે દ્વારા ગુજરાતની એકમાત્ર હાપા-નાહરલાગુન-હાપા સ્પેશિયલ ટ્રેનના કોચ સંયોજનમાં એક મહત્વપૂર્ણ ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નવી વ્યવસ્થા 5 ઓગસ્ટથી 7 નવેમ્બર, 2026 સુધી અમલમાં રહેશે.
ટ્રેનમાં શું બદલાવ કરવામાં આવ્યો છે?
સિનિયર ડીસીએમ સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, હાપા-નાહરલાગુન-હાપા ટ્રેનમાં જોડવામાં આવતા 4 જનરલ કોચ અને લગેજવાન સાથેના અનઅનામત કોચને તાત્કાલિક હટાવી દેવામાં આવશે. તેના બદલે હવે સંપૂર્ણપણે અનામત સેકન્ડ ક્લાસ કોચ જોડવામાં આવશે. જો કે, રાહતની વાત એ છે કે ટ્રેનની કુલ 21 એલએચબી કોચની સંખ્યા યથાવત રહેશે. આ સમગ્ર 4 મહિનાના સમયગાળા દરમિયાન આ ટ્રેન સંપૂર્ણપણે 'રિઝર્વ્ડ ટ્રેન' તરીકે દોડશે અને કોઈ પણ જનરલ ટિકિટો ઈશ્યુ કરવામાં આવશે નહીં.
'ઈનર લાઈન પરમિટ' એટલે શું?
'ઈનર લાઈન પરમિટ' એ ભારત સરકાર દ્વારા અમલી પાસપોર્ટ જેવો સત્તાવાર મુસાફરી દસ્તાવેજ છે, જે હોય તો જ પૂર્વોત્તરના ચુનંદા વિસ્તારોમાં જવાની થોડા સમય માટેની મંજૂરી-પરમીટ મળે છે. બ્રિટિશકાળથી શરૂ થયેલી આ પ્રથાનો મૂળ હેતુ રાષ્ટ્રીય સંસાધનોનું રક્ષણ અને સુરક્ષા વ્યવસ્થા જાળવવાનો છે. હાલમાં અરુણાચલ પ્રદેશ ઉપરાંત નાગાલેન્ડ, મિઝોરમ અને મણિપુર જેવા ઉત્તર-પૂર્વના રાજ્યોમાં આ કડકપણે અમલમાં છે.
ગુજરાતથી 3188 કિલોમીટર દૂર અરુણાચલને જોડતી એકમાત્ર સીધી ટ્રેન
હાપા-નાહરલાગુન-હાપા સ્પેશિયલ ટ્રેન એ ગુજરાતથી સીધી પૂર્વોત્તર ભારતને જોડતી લાંબા અંતરની અનોખી ટ્રેન છે. આ ટ્રેન ગુજરાતથી શરૂ થઈને મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને આસામ થઈને અરુણાચલ પ્રદેશમાં પ્રવેશ કરે છે. 3188 કિલોમીટરનું લાંબુ અંતર કાપતી આ ટ્રેન ગુજરાત સહિત 7 રાજ્યોના કુલ 84 રેલવે સ્ટેશનો પર રોકાય કરે છે. મુસાફરોની સુવિધા અને સરળતાને ધ્યાનમાં રાખીને તા. 5 ઓગસ્ટથી 16 સપ્ટેમ્બર સુધીની મુસાફરી માટેનું એડવાન્સ બુકિંગ આજથી એટલે કે 2 ઓગસ્ટથી ચાલુ કરી દેવામાં આવ્યું છે.

