લાલ કિલ્લાનો એ કાળો ઈતિહાસ, અંગ્રેજોએ લાલ કિલ્લા સાથે શું કર્યું હતું?

દિલ્હીનો ભવ્ય લાલ કિલ્લો એક સમયે 'કિલા-એ-મુબારક' તરીકે જાણીતો હતો. મુઘલ બાદશાહ શાહજહાંના સમયથી લઈને સપ્ટેમ્બર 1857 સુધી, લગભગ બે સદીઓ સુધી આ કિલ્લો મુઘલ શાસકોનું મુખ્ય ઘર અને તેમની સત્તાનું કેન્દ્ર રહ્યો હતો.
પરંતુ 1857ના દેશના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ. ભારતના ખૂણે-ખૂણેથી આવેલા ક્રાંતિકારીઓએ અંગ્રેજો સામે એક થઈને ભારે લડત આપી હતી. છતાં પણ બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીની સેનાએ આ ક્રાંતિને દબાવી દીધી. તેમણે લાલ કિલ્લા પર હુમલો કરીને મુઘલ સામ્રાજ્યના અંતિમ બાદશાહ બહાદુર શાહ ઝફરને સત્તા પરથી હટાવી દીધા હતા અને લાલ કિલ્લા પર પોતાનો સંપૂર્ણ કબજો જમાવી લીધો હતો.
શાહી મહેલમાંથી સૈન્ય છાવણીમાં રૂપાંતર
સંગ્રામના એક વર્ષની અંદર જ બ્રિટિશ રાજે ઈસ્ટ ઈન્ડિયા કંપની પાસેથી ભારતનું શાસન પોતાના હાથમાં લઈ લીધું હતું. ત્યારબાદ આ ભવ્ય કિલ્લાને બ્રિટિશરોએ લશ્કરી છાવણી (આર્મી બેઝ) બનાવી દીધો હતો. અંગ્રેજોએ કિલ્લાની અંદર રહેલા મોટા ભાગના ઐતિહાસિક રહેણાંક વિસ્તારો અને ઈમારતોને નષ્ટ કરી દીધા હતાં અને સૈનિકો માટે પથ્થરના બેરેક બનાવી દીધા હતાં. મુઘલ સામ્રાજ્યના અંત સાથે અંગ્રેજોને અહીંથી બહુમૂલ્ય વસ્તુઓ લૂંટવાની તક મળી ગઈ હતી. કિલ્લાની કિંમતી વસ્તુઓ અને ફર્નિચર કાં તો નષ્ટ કરી દેવામાં આવ્યા અથવા ઈંગ્લેન્ડ મોકલી દેવાયા હતાં. નાદિર શાહના આક્રમણમાંથી પણ બચી ગયેલા આ કિલ્લાને અંગ્રેજોના કબજા બાદ ભારે નુકસાન પહોંચ્યું હતું.
અદાલત અને કોર્ટ-માર્શલનું કેન્દ્ર
અંગ્રેજોએ લાલ કિલ્લાનો ઉપયોગ માત્ર આર્મી બેઝ તરીકે જ નહીં, પરંતુ પોતાની લશ્કરી કોર્ટ (મિલિટ્રી કોર્ટ) તરીકે પણ કર્યો હતો. 1858માં વિદ્રોહના એક વર્ષ બાદ, અંગ્રેજોએ અંતિમ બાદશાહ બહાદુર શાહ ઝફર પર લાલ કિલ્લાના'દિવાન-એ-ખાસ'માં જ મુકદ્દમો ચલાવ્યો હતો અને તેમને દોષી ઠેરવીને બર્મા (મ્યાનમાર) દેશનિકાલ કરી દીધો હતો. બ્રિટિશ શાસકો પોતાની સત્તા અને શક્તિનું પ્રદર્શન કરવા માટે પણ અહીં જાહેર કોર્ટ-માર્શલ યોજતા હતા.
આઝાદ હિંદ ફોજનો ઐતિહાસિક મુકદ્દમો અને આઝાદી પછીનો સમય
ભારતની આઝાદી સુધી અંગ્રેજોએ લાલ કિલ્લામાં સૈનિક કોર્ટ ચાલુ રાખી હતી. બહાદુર શાહ ઝફર પછીનો સૌથી પ્રસિદ્ધ મુકદ્દમો નવેમ્બર 1945થી 1946 દરમિયાન ચલાવવામાં આવ્યો હતો, જે 'લાલ કિલ્લા ટ્રાયલ' તરીકે જાણીતો છે. જેમાં આઝાદ હિંદ ફોજ (INA)ના સાહસિક અધિકારીઓ—પ્રેમ સહગલ, ગુરબક્ષ સિંહ ઢિલન અને શાહનવાઝ ખાન પર બ્રિટિશ સેનાએ કોર્ટ-માર્શલનો મુકદ્દમો ચલાવ્યો હતો. દેશ આઝાદ થયા પછી, ભારતીય સેનાએ લાલ કિલ્લાના મોટા ભાગનો કબજો સંભાળ્યો હતો અને પાછળથી આ ઐતિહાસિક વારસાના જતન અને જીર્ણોદ્ધાર માટે તેને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ને સોંપી દેવામાં આવ્યો હતો.

