"વાહન માલિકોને પહેલાં કેમ જાણ ના કરાઈ..." E20 પેટ્રોલથી માઇલેજ ઘટવાનો વિવાદ પહોંચ્યો સંસદીય સમિતિમાં!

ટ્રાન્સપોર્ટ સાથે જોડાયેલી સંસદીય સમિતિએ સરકારના ઉચ્ચ અધિકારીઓને સવાલ કર્યો છે કે નોન-E20 વાહનોના માલિકોને એ કેમ ન જણાવાયું કે 20% ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ વાપરવાથી માઇલેજ ઘટી શકે છે.
JDU સાંસદ સંજય ઝાની અધ્યક્ષતાવાળી સમિતિએ માર્ગ પરિવહન અને પેટ્રોલિયમ મંત્રાલયના અધિકારીઓ, વહાન ટેસ્ટિંગ એજન્સીઓ અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓના પ્રતિનિધિઓને સમન્સ પાઠવ્યા હતા. આ બેઠક જૂના વાહનોના માઇલેજ અને એન્જિન પર E20ની અસરને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે યોજાઈ હતી.
કેટલાક સભ્યોએ એ પણ પૂછ્યું કે અચાનક આટલો વિરોધ અને ટીકા કેમ થઈ રહી છે, જ્યારે સરકારનો દાવો છે કે 19%થી વધુ ઈથેનોલ મિશ્રિત બળતણ બે વર્ષથી વધુ સમયથી વેચાઈ રહ્યું છે.
બેઠકમાં હાજર સૂત્રોએ જણાવ્યું કે સમિતિએ E20 ફ્યુઅલના કારણે માઇલેજમાં થતા ચોક્કસ ઘટાડા વિશે પણ પૂછપરછ કરી હતી. માર્ગ પરિવહન મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું કે માઇલેજમાં ઘટાડો 2થી 6%ની વચ્ચે છે, જ્યારે કેટલાક લોકો માત્ર અફવાઓના આધારે તેને 25% ગણાવી રહ્યા છે.
અધિકારીઓએ એવા બે મુદ્દાઓ તરફ ઈશારો કર્યો હતો જેના કારણે આ નવો વિવાદ શરૂ થઈ શકે છે. જેમાં વધુ ઈથેનોલ મિશ્રણવાળા E22, E25 અને E30 માટે BISનું નોટિફિકેશન અને ભેળસેળવાળા ઈંધણનું વેચાણ સામેલ છે.

