Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Ahead of Rath Yatra, AMC issues notices to dangerous buildings

રથયાત્રા પૂર્વે AMCનું મેગા સર્વે, 274 મકાનો ભયજનક જાહેર, માલિકોને ફટકારી નોટિસ

Timeછેલ્લું અપડેટ : 12 May 2026
લાઇવ ટીવીGoogle News
રથયાત્રા પૂર્વે AMCનું મેગા સર્વે, 274 મકાનો  ભયજનક જાહેર, માલિકોને ફટકારી નોટિસ
સોર્સ : GSTV

અમદાવાદ શહેરમાં આગામી અષાઢી બીજની રથયાત્રા અને ચોમાસાના આગમન પૂર્વે જનહિત અને સલામતીને ધ્યાને રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC) દ્વારા કવાયત તેજ કરવામાં આવી છે. AMC દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેમાં શહેરના વિવિધ વિસ્તારોમાં 274 ઇમારતો અત્યંત ભયજનક અને જર્જરિત હાલતમાં મળી આવી છે. તંત્ર દ્વારા E મકાનમાલિકોને નોટિસ ફટકારીને જોખમી ભાગો તાત્કાલિક દૂર કરવા તાકીદ કરવામાં આવી છે.

App Store

સેન્ટ્રલ ઝોનમાં સૌથી વધુ જોખમ

AMCના જણાવ્યા અનુસાર, મધ્ય ઝોન (સેન્ટ્રલ ઝોન)માં હાથ ધરાયેલા સર્વેમાં 274 મિલકતો જોખમી હોવાનું બહાર આવ્યું છે. આ મિલકતોમાં સરકારી, ખાનગી અને ધાર્મિક ટ્રસ્ટની માલિકીની ઇમારતોનો સમાવેશ થાય છે. રથયાત્રા જે રૂટ પરથી પસાર થવાની છે તેવા ખાડિયા જેવા ગીચ વિસ્તારોમાં પણ ખાસ તપાસ કરીને નોટિસો આપવામાં આવી છે, જેથી યાત્રા દરમિયાન કોઈ દુર્ઘટના ન સર્જાય.

GPMC એક્ટની કલમ 264 હેઠળ કાર્યવાહી

મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન (GPMC) ઍક્ટની કલમ 264 હેઠળ નોટિસો બજાવવામાં આવી છે. નોટિસમાં સ્પષ્ટ જણાવાયું છે કે જો કોઈ જર્જરિત ઇમારત ધસી પડવાને કારણે જાન-માલનું નુકસાન થશે, તો તેની સંપૂર્ણ જવાબદારી મિલકતના માલિક કે કબજેદારની રહેશે.

ત્રણ વર્ષમાં 1500થી વધુ નોટિસ

તંત્રના આંકડા મુજબ, વર્ષ 2023થી 2025 દરમિયાન કુલ 1251 ભયજનક મિલકતોને નોટિસ આપવામાં આવી હતી. ચાલુ વર્ષે 2026માં 274 નવી મિલકતોનો ઉમેરો થતાં કુલ આંકડો 1525 પર પહોંચ્યો છે. કોર્પોરેશને મિલકત ધારકોને તાત્કાલિક મરામત કરાવવા અથવા જોખમી ભાગો જાતે જ ઉતારી લેવા કડક સૂચના આપી છે.

નાગરિકોને સાવચેત રહેવા અપીલ

તંત્ર દ્વારા જાહેર જનતાને પણ અપીલ કરવામાં આવી છે કે ભયજનક જાહેર કરાયેલી ઇમારતોમાં રહેવાનું કે પ્રવેશવાનું ટાળવું. ખાસ કરીને રથયાત્રા દરમિયાન દર્શનાર્થીઓએ જૂના મકાનોના જોખમી ગેલેરી કે છત પર ઊભા ન રહેવું જોઈએ. ચોમાસા દરમિયાન પણ આસપાસના રહીશોને સતર્ક રહેવા અને કોઈ પણ અઘટિત ઘટનાની જાણ તાત્કાલિક તંત્રને કરવા જણાવાયું છે.