VIDEO: વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત નહીં ચાલે: NEET પેપર લીક પર વડાપ્રધાન મોદીનું આશ્વાસન, કડક કાર્યવાહીના આપ્યા સંકેત
સંસદના મોનસૂન સત્રની શરૂઆત સાથે જ NEET પરીક્ષામાં કથિત ગોટાળાનો મુદ્દો ગરમાયો છે. આ દરમિયાન કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજૂએ NEET મુદ્દે સરકારનો પક્ષ રાખતાં જણાવ્યું છે કે, ગોટાળાની માહિતી મળતાં જ સરકારે ત્વરિત અને કડક કાર્યવાહી કરી હતી. વડાપ્રધાને સ્પષ્ટ કર્યું છે કે આ મામલે 13 લોકોની ધરપકડ કરીને તેમને જેલમાં મોકલાયા છે અને વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને વિલંબ વગર ફરીથી પરીક્ષા યોજી પરિણામ પણ જાહેર કરી દેવાયું હતું.
‘ભવિષ્યમાં પેપર લીક રોકવા કડક પગલાં’
કિરેન રિજિજૂએ વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાને ભવિષ્યમાં આવા પેપર લીક અટકાવવા માટે લેવાઈ રહેલા સખત પગલાંની રૂપરેખા આપી છે. સરકારે દોષિતોને સખતમાં સખત સજા આપવા અને ભવિષ્ય માટે સંપૂર્ણપણે ‘ફૂલપ્રૂફ સિસ્ટમ’ તૈયાર કરવા પર ભાર મૂક્યો છે જેથી નિર્દોષ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે કોઈ રમત ન રમાય.
વિપક્ષને સહયોગ કરવા અપીલ
સંસદના મોનસૂન સત્ર અંગે વાત કરતાં મંત્રીએ ઉમેર્યું હતું કે, NDA સત્ર દરમિયાન સકારાત્મક ભૂમિકા ભજવશે. દેશના હિત માટે લાવવામાં આવેલા બિલો અને કાયદાકીય કામકાજને પસાર કરવા માટે અમે એકજૂથ છીએ. તેમણે વિપક્ષને પણ અપીલ કરી હતી કે અલગ-અલગ વિચારધારા હોવા છતાં દેશ, તેના ભવિષ્ય અને યુવાનોના હિત માટે તમામ પક્ષોએ મળીને કામ કરવું જોઈએ.

