Bihar Electionમાં સુરોનો સંગ્રામ; ગાયકોની એન્ટ્રીથી શું સમીકરણ બદલાશે?

બિહાર વિધાનસભા ચૂંટણી માટે રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. બિહારની ચૂંટણી જીતવા માટે રાજકીય પક્ષોએ સિંગરોને પણ ટિકિટ આપી છે. ભોજપુરી સુપરસ્ટાર ખેસારીલાલ યાદવ,લોકગાયિકા મૈથિલી ઠાકુર અને અભિનેતા-ગાયક રિતેશ પાંડે પણ બિહાર ચૂંટણી મેદાનમાં છે.
ખેસારીલાલ યાદવ-RJD
RJDએ છપરા બેઠક પરથી ભોજપુરી સુપરસ્ટાર ખેસારીલાલ યાદવ પર દાંવ લગાવ્યો છે. ખેસારીલાલ યાદવની ટક્કર ભાજપની છોટી કુમારી સાથે છે. 2020 અને 2015માં આ બેઠક પરથી RJDએ રણધીર કુમાર સિંહને ઉમેદવાર બનાવ્યા હતા પરંતુ તે ભાજપના ડૉ.સીએન ગુપ્તા સામે હારી ગયા હતા.આ વખતે તેજસ્વી યાદવે ભાજપને હરાવવા માટે ખેસારીલાલ યાદવને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.
આ વખતે ખેસારીનો પ્રશંસક વર્ગ ચર્ચાનો વિષય બન્યો છે. ખેસારીલાલ યાદવનું ચૂંટણી ગીત 'તેજસ્વી કે બિના સુધાર ન હોઈ,લાલુ બિના ચાલુ બિહાર ન હુઇ.'સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયું છે.
લોકગીતોથી વોટરોને લલચાવી રહી છે મૈથિલી ઠાકુર
ભાજપે દરભંગાની અલીનગર બેઠક પર લોકગાયિકા મૈથિલી ઠાકુરને RJDના બિનોદ મિશ્રા વિરૂદ્ધ મેદાનમાં ઉતાર્યા છે. છઠ્ઠ અને લોકગીતોના માધ્યમથી મૈથિલી ઠાકુરની સાંસ્કૃતિક ગૂંજ મૈથિલ બ્રાહ્મણ વોટ બેન્કને આકર્ષિત કરે છે. મૈથિલી ઠાકુરને ચૂંટણી મેદાનમાં ઉતારી ભાજપે મહિલા ઉમેદવારની સાથે સાથે મૈથિલાંચલને લલચાવવા કાર્ડ રમ્યું છે.
અભિનેતા-ગાયક રિતેશ પાંડેને જનસુરાજે આપી ટિકિટ
કરગહર બેઠક પર જનસુરાજના પ્રશાંત કિશોરે કોંગ્રેસના ધારાસભ્ય સંતોષ કુમાર મિશ્રા અને JDUના બશિષ્ઠ સિંહને પડકાર આપવા માટે અભિનેતા-ગાયક રિતેશ પાંડેને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. રિતેશ પાંડેનું ગીત 'હર ઘર કી આવાજ બરૂએ, આને વાલા જનસુરાજ બરુએ' પહેલા જ ઓનલાઇન લોકપ્રિય થઇ ગયું છે.
ત્રણેય હસ્તીઓના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાખો ફોલોઅર્સ છે, જે એક નવી ચૂંટણી રણનીતિને દર્શાવે છે. આ હસ્તીઓનો કરિશ્મા, મીડિયા અપીલ અને વાયરલ કન્ટેન્ટ પારંપરિક રાજકીય કાર્યો પર ભારે પડી શકે છે.

