VIDEO: "યુવાનોને ગટર કહેવાનું બંધ કરો, નહીંતર સરકારને ગટરમાં ઉતારી દેશે" જેપી નડ્ડા અને કંગના રનૌતનું નામ લીધા વગર સંજયસિંહે લીધા આડે હાથ!
સંસદના ચાલી રહેલા સત્ર દરમિયાન રાજ્યસભામાં કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા પેપર લીક વિરોધી વિધેયક (Anti-Paper Leak Bill) પરની ચર્ચા અત્યંત ગરમાવો પકડી રહી છે. ચર્ચા દરમિયાન આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભા સાંસદ સંજય સિંહે કેન્દ્ર સરકાર અને શાસક પક્ષ પર અત્યાર સુધીનો સૌથી તીખો હુમલો બોલ્યો હતો. તેમણે NEET પરીક્ષામાં થયેલી ગડબડના કારણે આત્મહત્યા કરનારા 21 માસૂમ વિદ્યાર્થીઓ તેમજ દેશમાં દર વર્ષે માનસિક તણાવ અને ડિપ્રેશનના કારણે જીવ ગુમાવતા અંદાજે 2,000 જેટલા વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને પોતાના વક્તવ્યની શરૂઆત કરી હતી.
સંજય સિંહે ગૃહમાં આંકડાકીય વિગતો રજૂ કરતા સરકારને સીધા કઠઘેરામાં ઊભી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, NEETની પ્રથમ પરીક્ષામાં 22 લાખ 80 હજાર જેટલા વિદ્યાર્થીઓ બેઠા હતા, પરંતુ વ્યાપક ધાંધલી અને વિવાદ બાદ જ્યારે ફરીથી પરીક્ષા યોજવામાં આવી ત્યારે તેમાંથી માત્ર 20 લાખ વિદ્યાર્થીઓ જ હાજર રહ્યા હતા. આશરે 2 લાખ 80 હજાર જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવાનું જ છોડી દીધું. સંજય સિંહે તીખો સવાલ ઉઠાવ્યો હતો કે દેશના લાખો યુવાનોનું ભવિષ્ય રોળવા માટે સીધી રીતે વર્તમાન સરકાર જ જવાબદાર છે.
ભાજપના નેતાઓ અને સાંસદો દ્વારા આંદોલનકારીઓ અને મહિલાઓ વિશે કરાતી ટિપ્પણીઓ પર આક્રોશ વ્યક્ત કરતા તેમણે કંગના રનૌતનું નામ લીધા વિના કહ્યું કે, ભાજપના સાંસદો દ્વારા યુવાઓ અને દીકરીઓ માટે એવી નિર્લજ્જ ટિપ્પણીઓ કરવામાં આવી છે જે ગૃહમાં બોલી પણ શકાય તેમ નથી. તેમણે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાને ટાંકીને ચેતવણી આપી હતી કે, પોતાના નેતાઓને સમજાવે અને યુવાનોને 'ગટર' કહેવાનું બંધ કરે, નહીંતર આ જ યુવાવર્ગ તમારી સરકારને ગટરમાં ધકેલી દેશે.
નવા લાવવામાં આવેલા બિલની કાર્યક્ષમતા સામે ગંભીર સવાલો ઉઠાવતા AAP સાંસદે કહ્યું હતું કે, આ બિલ સાબિત કરે છે કે સરકારને પોતાની ક્ષમતા પર જ સેજ પણ આત્મવિશ્વાસ નથી. સરકાર અગાઉથી જ માનીને ચાલે છે કે પેપર લીક થશે જ અને લીક થયા બાદ જ સજાની જોગવાઈ કરવામાં આવશે. તેમણે પ્રશ્ન કર્યો હતો કે સરકાર એવી પારદર્શી સિસ્ટમ કેમ નથી બનાવી શકતી જેમાં પેપર લીક થવાની કોઈ શક્યતા જ ન રહે?
બિલમાં પ્રસ્તાવિત ફાસ્ટ ટ્રેક કોર્ટની જોગવાઈ પર કટાક્ષ કરતા તેમણે 'શાહીન' નામની પીડિતાનો કિસ્સો ટાંક્યો હતો. શાહીનનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં 15 વર્ષ સુધી ચાલ્યો અને અંતે તમામ આરોપીઓ નિર્દોષ છૂટી ગયા. તેમણે ઉમેર્યું કે દેશની ફાસ્ટ ટ્રેક કોર્ટ્સમાં પહેલાથી જ 2.5 લાખ જેટલા કેસો પેન્ડિંગ પડ્યા છે, ત્યારે યુવાનોને ન્યાય ક્યારે મળશે તે મોટો સવાલ છે.
કેન્દ્ર સરકારની નીતિઓ પર પ્રહાર કરતા સંજય સિંહે કહ્યું કે, "આ સરકારનો એક જ મંત્ર બની ગયો છે - 'અનપઢ રહેશે ઈન્ડિયા, તો જ અંધભક્ત બનશે ઈન્ડિયા'. આ સરકારે માત્ર વિદ્યાર્થીઓના પેપર જ નથી ચોર્યા, પણ શાળાઓ અને રામ મંદિરના નામે લેવાયેલા ચંદાઓ પણ ચોર્યા છે. પેપર ચોરીથી લઈને ચંદા ચોરી સુધીના તમામ ગુનાઓમાં શાસક પક્ષની સીધી સંડોવણી છે."
પોતાના હક માટે અવાજ ઉઠાવતા નાગરિકો પ્રત્યે સરકારના વલણની ટીકા કરતા તેમણે ઉમેર્યું કે, જ્યારે દેશનો અન્નદાતા ખેડૂત આંદોલન કરે છે તો તેને 'ખાલિસ્તાની' કહેવામાં આવે છે, મુસ્લિમ સમુદાય અવાજ ઉઠાવે તો તેને 'પાકિસ્તાની' ઠેરવાય છે અને જ્યારે દેશનો યુવા વર્ગ પોતાના ભવિષ્ય માટે રસ્તા પર ઉતરે છે ત્યારે તેને 'ચાઈનિઝ' કહેવામાં આવે છે. પોતાના હકની માંગણી કરતા વિદ્યાર્થીઓ પર બિહાર સહિતના રાજ્યોમાં લાઠીચાર્જ કરાયો અને બર્બરતા આચરવામાં આવી.
પોતાના વક્તવ્યના અંતમાં સંજય સિંહે એક અત્યંત ગંભીર આરોપ લગાવ્યો હતો. તેમણે દાવો કર્યો કે જે કંપનીને ગુજરાતમાં ગેરરીતિ બદલ 'બ્લેકલીસ્ટ' કરવામાં આવી હતી, તે જ અમદાવાદ સ્થિત કંપનીને ઉત્તર પ્રદેશ અને બિહારમાં મહત્વની પરીક્ષાઓના પેપર છાપવાનો કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો હતો. આ કંપનીના તાર વડાપ્રધાન અને અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે જોડાયેલા છે, જેના કારણે સરકાર પેપર ચોરો સામે કડક પગલાં ભરવાથી ડરી રહી છે.

