VIDEO: રાજ્યસભામાં ચોંકાવનારો ખુલાસો:હજારો ધરપકડો અને વર્ષો સુધી જેલ, છતાં ED માત્ર 1% કેસમાં જ આરોપીઓને સજા કરાવી શકી!
Enforcement Directorate news: રાજ્યસભામાં સીપીઆઈ(એમ) નેતા શિવદાસન દ્વારા પૂછવામાં આવેલા એક સવાલના જવાબમાં કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ દેશની બે મુખ્ય નાણાકીય તપાસ એજન્સીઓ—એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) અને ઈનકમ ટેક્સ (આઈટી) વિભાગના કામગીરીના સત્તાવાર આંકડા રજૂ કર્યા છે. આ ડેટા દર્શાવે છે કે બંને એજન્સીઓ નવા કેસો નોંધવામાં ખૂબ આગળ છે, પરંતુ આરોપીઓને કોર્ટમાં દોષિત સાબિત કરીને સજા અપાવવામાં ભારે નિષ્ફળ નીવડી છે.
5 વર્ષમાં EDએ 4,622 કેસ નોંધ્યા, પણ કન્વિકશન રેટ 1%થી પણ ઓછો
નાણાકીય વર્ષ 2021-22થી 2025-26 સુધીના છેલ્લા 5 વર્ષમાં ઈડીએ મની લોન્ડરિંગ વિરોધી કાયદા (PMLA) હેઠળ કુલ 4,622 નવા કેસ દાખલ કર્યા છે. જોકે, આ સમયગાળા દરમિયાન એજન્સી માત્ર 43 કેસમાં જ આરોપીઓ સામે દોષ સાબિત કરી શકી છે, જેમાં કુલ 104 લોકોને સજા થઈ છે. આ આંકડા દર્શાવે છે કે ઈડીનો કન્વિકશન રેટ 1% કરતાં પણ ઓછો છે. એકલા નાણાકીય વર્ષ 2025-26માં ઈડીએ 1,080 કેસ નોંધ્યા હતા, જે છેલ્લા 4 વર્ષમાં સૌથી વધુ છે. 2021-22થી 2023-24 વચ્ચે કેસોમાં ઘટાડો નોંધાયો હતો, પરંતુ 2024-25 અને 2025-26માં ફરીથી તેમાં ઉછાળો જોવા મળ્યો છે.
1,243 લોકોની ધરપકડ અને સ્પેશિયલ કોર્ટની સ્થિતિ
સંસદમાં અપાયેલી માહિતી મુજબ, ઈડીએ આ વર્ષે 30 જૂન સુધીમાં PMLA હેઠળ સ્પેશિયલ કોર્ટમાં 2,444 કેસ રજૂ કર્યા છે અને આ દરમિયાન 1,243 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આમાંના મોટાભાગના કેસો હાલ કોર્ટમાં અલગ-અલગ તબક્કે પેન્ડિંગ છે. સત્તાવાર ડેટા સ્પષ્ટ કરે છે કે હજારો લોકો તપાસની જાળમાં ફસાયેલા છે અને વર્ષો સુધી ચુકાદાની રાહ જોતા રહે છે, જ્યારે એજન્સી માત્ર ગણતરીના કેસોમાં જ સજા કરાવી શકી છે.
આવકવેરા (IT) વિભાગની પણ કથળતી સ્થિતિ: 854 કેસમાં આરોપીઓ નિર્દોષ છૂટ્યા
આવી જ કમ્પાઉન્ડિંગ સ્થિતિ ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટની પણ છે. નાણામંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યા મુજબ, છેલ્લા 5 નાણાકીય વર્ષમાં આઈટી વિભાગે આઈટી એક્ટ 279(1) હેઠળ કુલ 2,127 કેસ નોંધ્યા હતા. આમાંથી માત્ર 233 કેસમાં જ દોષ સાબિત થઈ શક્યો છે, જ્યારે 854 કેસમાં આરોપીઓનો નિર્દોષ છુટકારો થયો છે. એટલે કે આઈટી વિભાગે કરેલા કુલ કેસોમાંથી 78% કેસમાં દોષ સિદ્ધ થઈ શક્યો નથી. નાણાકીય વર્ષ 2025-26માં આઈટી વિભાગ માત્ર 47 કેસમાં સજા કરાવી શક્યું છે, જે છેલ્લા 2 વર્ષમાં સૌથી ઓછો આંકડો છે.
કાયદાકીય નિષ્ણાતોનો દાવો: જામીન મુશ્કેલ, ન્યાયમાં વિલંબ
કાયદાકીય નિષ્ણાતો અને ડિફેન્સ એટર્નીનું કહેવું છે કે ઈડી PMLA હેઠળ રોજેરોજ અનેક નવા કેસ દાખલ કરે છે, પરંતુ વાર્ષિક ધોરણે 10થી પણ ઓછા કેસોનો આખરી ઉકેલ આવે છે. PMLA જેવા કડક કાયદા હેઠળ જામીન મળવા અત્યંત મુશ્કેલ હોવાથી આરોપીઓએ વર્ષો સુધી જેલમાં રહીને ટ્રાયલનો સામનો કરવો પડે છે. બીજી તરફ, આવકવેરા વિભાગ દ્વારા ટેક્સની વસૂલી માટે કોર્ટમાં કરાયેલા મોટાભાગના કેસોમાં પણ અદાલતો દ્વારા આરોપીઓને નિર્દોષ છોડી મૂકવામાં આવે છે.

